મૈસુર/અયોધ્યા9 કલાક પેહલા
- કૉપી લિંક
અયોધ્યાના રામમંદિર માટે રામલલ્લાની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જે કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પાએ સોશિયલ મીડિયા પર આપી હતી.
તેમણે લખ્યું, ‘જ્યાં રામ છે ત્યાં હનુમાન છે. કર્ણાટક હનુમાનની ભૂમિ છે. તેમાં કોઈ શંકા નથી કે હનુમાનની ભૂમિ કર્ણાટકના રામલલ્લા માટે આ એક મહત્ત્વપૂર્ણ સેવા છે. બીજી તરફ બીજેપી નેતા યેદિયુરપ્પાએ પણ યોગીરાજને અભિનંદન પાઠવ્યા હતા અને તેને રાજ્ય માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. જો કે રામમંદિર ટ્રસ્ટે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.
મૈસુરમાં આવેલ યોગીરાજનું આ ઘર છે.
યોગીરાજે એમ પણ કહ્યું- મને હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી
અરુણ યોગીરાજે કહ્યું કે તેમને સત્તાવાર માહિતી મળી નથી. તેમણે કહ્યું- મને ખુશી છે કે હું તે શિલ્પકારોમાં છું જેમને આ કાર્ય માટે પસંદ કરવામાં આવ્યા છે. મૂર્તિ એવી હોવી જોઈએ કે ભગવાનના દિવ્ય બાળ સ્વરૂપનાં દર્શન થાય. જ્યારે લોકો મૂર્તિને જુએ છે ત્યારે તેઓ દિવ્યતા અનુભવે છે. બાળક જેવો ચહેરો તેમજ દિવ્યતાને ધ્યાનમાં રાખીને મેં છ-સાત મહિના પહેલાં કામ શરૂ કર્યું હતું.
પીએમ મોદીએ પણ યોગીના કામનાં વખાણ કર્યા
અરુણે ઈન્ડિયા ગેટ પર સ્થાપિત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા પણ બનાવી છે
રામલલ્લાની પ્રતિમા તૈયાર કરનાર 37 વર્ષીય અરુણ યોગીરાજ મૈસુર મહેલના કલાકારોના પરિવારમાંથી આવે છે. તેમણે 2008માં મૈસુર યુનિવર્સિટીમાંથી MBA કર્યું. પછી ખાનગી કંપનીમાં નોકરી કરી. આ પછી તેમણે પ્રતિમા બનાવવાનું કામ શરૂ કર્યું. તેમને બાળપણથી જ મૂર્તિ બનાવવાનો શોખ હતો.
અરુણ યોગીરાજે જગદગુરુ શંકરાચાર્યની ભવ્ય પ્રતિમા બનાવી હતી, જે કેદારનાથમાં સ્થાપિત કરવામાં આવી છે. અરુણે 2022માં ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવનાર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા પણ બનાવી છે. પીએમ મોદીએ પણ તેમના કામનાં વખાણ કર્યાં છે.
ત્રણ પ્રતિમાઓમાંથી પસંદગી કરવામાં આવી હતી
અયોધ્યા રામમંદિરના ગર્ભગૃહ માટે રામલલ્લાની ત્રણ પ્રતિમાઓ બનાવવામાં આવી હતી. ત્રણેયની ઊંચાઈ 51-51 ઈંચ છે. ત્રણેય પ્રતિમાઓમાં કમળના આસન પર બેઠેલા રામલલ્લાનું 5 વર્ષનું બાળ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. જેમાં એક પ્રતિમા મકરાણાના પથ્થરમાંથી અને બે કર્ણાટકના પથ્થરમાંથી બનાવવામાં આવી છે. મકરાણાની સફેદ આરસની પ્રતિમા સત્યનારાયણ પાંડે દ્વારા તૈયાર કરવામાં આવી છે.
આ અયોધ્યાના રામમંદિરનું ગર્ભગૃહ છે. રામલલ્લા આમાં 22 જાન્યુઆરીએ બિરાજમાન થશે.
અરુણે રામલલ્લાની વાદળી રંગની મૂર્તિ બનાવી
સૂત્રોનું કહેવું છે કે અરુણ યોગીરાજે રામલલ્લાની વાદળી રંગની મૂર્તિ બનાવી છે. આમાં રામલલ્લાને ધનુષ અને તીર સાથે ઊભા દર્શાવવામાં આવ્યા છે. પ્રતિમા એવી છે કે તે રાજાના પુત્ર અને વિષ્ણુના અવતાર જેવી લાગે છે. રામલલ્લાને ગર્ભગૃહમાં કમળના ફૂલ પર બિરાજમાન કરવામાં આવશે. કમળના ફૂલ સાથે તેની ઊંચાઈ લગભગ 8 ફૂટ હશે. અંતિમ પ્રતિમાનો ફોટો હજુ જાહેર કરવામાં આવ્યો નથી.
29મી ડિસેમ્બરે પ્રતિમાની પસંદગી અંગે પોતાનો મત આપ્યો હતો
રામમંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થનારી પ્રતિમાની પસંદગી 31 ડિસેમ્બરે કરવામાં આવી હતી. 29 ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ યોજાયેલી બેઠક બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તમામ સભ્યોએ મહાસચિવ ચંપત રાયને લેખિતમાં 3 પ્રતિમાઓ પર પોતાનો મત આપ્યો હતો.