કોલંબો10 કલાક પેહલા
- કૉપી લિંક
T20 અને ODI બાદ શ્રીલંકા ક્રિકેટે ટેસ્ટ ટીમના કેપ્ટનમાં પણ ફેરફાર કર્યો છે. દિમુથ કરુણારત્નેની જગ્યાએ ધનંજય ડી સિલ્વાને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી છે. શ્રીલંકન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર ઉપુલ થરંગાએ ટેસ્ટ ટીમના કેપ્ટન બદલવાની પુષ્ટિ કરી છે.
અગાઉ, ઝિમ્બાબ્વે સામે 6 જાન્યુઆરીથી શરૂ થનારી ઘરેલું T20 અને ODI શ્રેણી માટે અલગ-અલગ કેપ્ટનની નિમણૂક કરવામાં આવી હતી. ODIની કમાન કુસલ મેન્ડિસને સોંપવામાં આવી હતી અને T20ની જવાબદારી વાનિંદુ હસરંગાને સોંપવામાં આવી હતી.
ડી સિલ્વા શ્રીલંકાનો 18મો ટેસ્ટ કેપ્ટન
ધનંજય ડી સિલ્વા શ્રીલંકન ટેસ્ટ ટીમનો 18મો કેપ્ટન છે. ધનંજય ડી સિલ્વાએ શ્રીલંકા માટે અત્યાર સુધી રમાયેલી 51 ટેસ્ટ મેચમાં 39.77ની એવરેજથી 3301 રન બનાવ્યા છે. તેણે 10 સદી અને 13 અડધી સદી પણ ફટકારી હતી.
સાઉથ આફ્રિકામાં શ્રેણી જીતનારી પ્રથમ એશિયન ટીમ બની
જ્યારે દિમુથ કરુણારત્નેએ 2019માં શ્રીલંકા ટેસ્ટની કપ્તાની સંભાળી હતી. તેણે 30 ટેસ્ટ મેચમાં શ્રીલંકાની કેપ્ટનશિપ કરી છે, જેમાં ટીમ 12માં જીતી છે અને 12માં હાર છે. જેમાં 6 મેચ ડ્રો રહી હતી. તેમની આગેવાની હેઠળ, શ્રીલંકાની ટીમ 2019માં દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતીને આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતનારી પ્રથમ એશિયન ટીમ બની હતી.
કરુણારત્નેની ટેસ્ટમાં કેપ્ટન તરીકેની એવરેજ એકંદર એવરેજ કરતાં સારી
જ્યારે કરુણારત્નેએ કેપ્ટન તરીકે 30 મેચ રમી અને 49.86ની એવરેજથી 2643 રન બનાવ્યા. જેમાં 8 સદી અને 12 અડધી સદી પણ સામેલ છે. જ્યારે શ્રીલંકા માટે તેણે 88 મેચમાં 40.93ની એવરેજથી 6631 રન બનાવ્યા હતા.
એકમાત્ર ટેસ્ટ ફેબ્રુઆરીમાં અફઘાનિસ્તાન સામે રમવાની છે
શ્રીલંકાને ફેબ્રુઆરીમાં અફઘાનિસ્તાન સામે ટેસ્ટ મેચ રમવાની છે. આ ટેસ્ટ 6 ફેબ્રુઆરીથી યોજાવાની છે. તે પછી શ્રીલંકાને ઓગસ્ટમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે, જ્યાં તેણે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે.