કોલકાતા32 મિનિટ પેહલા
- કૉપી લિંક
EDએ શનિવારે સવારે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી TMC નેતા અને બોનગાંવ નગરપાલિકાના ભૂતપૂર્વ અધ્યક્ષ શંકર આધ્યાની ધરપકડ કરી હતી. શુક્રવારે ED અને CRPFની ટીમો શંકર અને TMC નેતા શેખ શાહજહાંના ઘરે દરોડા પાડવા ગઈ હતી. આ દરમિયાન તેમના સમર્થકોએ અધિકારીઓ પર હુમલો કર્યો હતો.
EDએ શુક્રવારે રાત્રે થયેલા હુમલા અંગે નિવેદન બહાર પાડ્યું હતું. તપાસ એજન્સીએ સોશિયલ પ્લેટફોર્મ પર જણાવ્યું ટોળા પાસે લાકડીઓ, પથ્થરો, ઈંટો જેવા હથિયારો હતા. હુમલામાં ત્રણ અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ટોળાએ તેમના મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ અને પાકીટ પણ છીનવી લીધા હતા. આ ઉપરાંત તેમના વાહનોને પણ ભારે નુકસાન થયું હતું.
જાણો સમગ્ર મામલો…
ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા અનુસાર, રાશન કૌભાંડ કેસમાં EDએ શુક્રવારે રાજ્યમાં 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલી ગામમાં એક ટીમ શેખ શાહજહાં અને શંકર આધ્યાના ઘરે જઈ રહી હતી. આ દરમિયાન ટીએમસી સમર્થકોએ તેમને ઘેરી લીધા અને તેમના પર હુમલો કર્યો.
શેખ શાહજહાં ઉત્તર 24 પરગણા જિલ્લા પરિષદના મત્સ્યોદ્યોગ અને પ્રાણી સંસાધન અધિકારી અને સંદેશખાલીના બ્લોક પ્રમુખ પણ છે. તેઓ મમતા સરકારમાં વન મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકના નજીકના છે.
EDએ કહ્યું કે શાહજહાંના ઘરનું તાળું તોડવામાં આવી રહ્યું હતું ત્યારે ટોળાએ હુમલો કર્યો. આ પહેલા પણ શાહજહાંને અનેકવાર ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તે આવ્યા નહોતા. જિલ્લાના એસપી સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે પણ વાત કરી ન હતી.
હુમલા સાથે જોડાયેલી તસવીરો…
EDએ કહ્યું કે હુમલામાં 3 અધિકારીઓને ગંભીર ઈજાઓ થઈ છે.
ગ્રામજનોએ ED અને CRPFના વાહનો પણ તોડ્યા હતા.
મલ્લિકની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી
EDએ રાશન કૌભાંડ કેસમાં 26 ઓક્ટોબર 2023ના રોજ જ્યોતિપ્રિયા મલ્લિકના ઘર પર દરોડા પાડ્યા હતા. આ પછી 27 ઓક્ટોબરે તેની ધરપકડ કરવામાં આવી હતી. વન મંત્રી બનતા પહેલા મલ્લિક મમતા સરકારમાં ખાદ્ય મંત્રી હતા.
જ્યોતિપ્રિયા પહેલા EDએ આ જ કેસમાં રાઇસ મિલ માલિક બકીબુર રહેમાનની ધરપકડ કરી હતી. રહેમાને 2004માં રાઇસ મિલના માલિક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ બે વર્ષમાં વધુ ત્રણ કંપનીઓની સ્થાપના કરવામાં આવી. ED અનુસાર રહેમાને કથિત રીતે અનેક શેલ કંપનીઓ બનાવી અને પૈસા ઉપાડી લીધા.
EDએ 27 ઓક્ટોબરે જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી.
ગવર્નર બોઝે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી હતી
બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે ED પર હુમલાની ઘટના પર નારાજગી વ્યક્ત કરી હતી. હુમલાને ખતરનાક ગણાવતા તેમણે કહ્યું- આ ઘટના ચિંતાજનક અને નિંદનીય છે. લોકશાહીમાં, સંસ્કારી સરકારની ફરજ બર્બરતાને રોકવાની છે. જો સરકાર તેમની મૂળભૂત ફરજમાં નિષ્ફળ જશે તો ભારતનું બંધારણ તેનો માર્ગ અપનાવશે.
રાજ્યપાલે બંગાળના ડીજીપી અને ગૃહ સચિવને પણ સમન્સ પાઠવ્યા છે. છે.
ગવર્નર સીવી આનંદ બોઝ હુમલામાં ઘાયલ અધિકારીઓને મળવા શુક્રવારે સાંજે કોલકાતાની હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ભાજપની માગ – NIA ઘટનાની તપાસ કરાવે
ભાજપે આ ઘટનાને લઈને સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માગ કરી છે. તેમજ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી હતી. ED ટીમ પર હુમલાની નિંદા કરતા બીજેપી નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું- રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે પડી ભાંગી છે. આ હુમલો દર્શાવે છે કે રોહિંગ્યાઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા માટે શું કરી રહ્યા છે. અમે ગૃહમંત્રી અમિત શાહને આ ઘટનાની NIA દ્વારા તપાસ કરાવવાની માગ કરી છે.
કેન્દ્રીય મંત્રી નિસિથ પ્રામાણિકે કહ્યું- રાજ્યમાં કેન્દ્રીય એજન્સી પર હુમલાથી વધુ અપમાનજનક કંઈ ન હોઈ શકે. આ માત્ર ટીમ પર હુમલો નથી પરંતુ સમગ્ર બંધારણ અને દેશના સંઘીય માળખા પર હુમલો છે. પશ્ચિમ બંગાળમાં આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. આવું કેમ થઈ રહ્યું છે તેની અમે તપાસ કરીશું.
કોંગ્રેસે કહ્યું- આજે હુમલો થયો, કાલે હત્યા થઈ શકે છે
ED પરના હુમલા અંગે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, શાસક સરકારના ગુંડાઓ દ્વારા ED અધિકારીઓ પર હુમલા બાદ સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નથી. આજે તેઓ ઘાયલ છે, કાલે તેમની હત્યા થઈ શકે છે. જો આવું થાય તો તે મારા માટે આશ્ચર્યજનક નથી.
હુમલા અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી. ફરિયાદ મળતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.