41 મિનિટ પેહલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય/અરૂણીમા શુક્લ
- કૉપી લિંક
દર સોમવારે ‘ સ્ટ્રગલ સ્ટોરી’ પબ્લિશ થાય છે. દર વખતે અલગ-અલગ સેલિબ્રિટીઓના સ્ટ્રગલ વિશે ઉલ્લેખ કરવામાં આવે છે. આજની સ્ટ્રગલ સ્ટોરી વીરેન્દ્ર સક્સેનાની છે. વીરેન્દ્ર ‘સરકાર’, ‘સુપર 30’ અને ‘દિલ હૈ કી માનતા નહીં’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. જોકે, તેમને મોટો બ્રેક તો મહેશ ભટ્ટની ફિલ્મ ‘આશિકી’થી મળ્યો હતો. 80 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા વીરેન્દ્ર સક્સેનાની જર્ની ઉતાર-ચઢાવથી ભરપૂર હતી.
પિતાના અવસાન પછી ગરીબીથી પરેશાન વીરેન્દ્રએ નાની ઉંમરે જ નાનાં-મોટાં કામ કરવાનું શરૂ કર્યું. ક્યારેક તેઓ બાળકોના ટ્યુશન કરાવીને તો ક્યારેક રાજાને પત્ર લખીને ઘરનો ખર્ચ કાઢતાં હતાં.
એક નાનકડા નાટકથી શરૂ થયેલી એક્ટિંગની જર્ની તેમને NSD સુધી લઇ ગઈ અને ત્યાંથી તેમણે ટીવી ફિલ્મ ‘તમસ’ સાથે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.
72 વર્ષના વીરેન્દ્ર સક્સેનાએ પોતાની પ્રોફેશનલ લાઈફમાં દરેક વળાંક પર પોતાને સાબિત કરવાની હતી.
આજની સ્ટ્રગલ સ્ટોરીમાં વીરેન્દ્ર સક્સેનાના સંઘર્ષની વાર્તા, તેમના જ શબ્દોમાં વાંચીએ…
‘સમગ્ર બાળપણ ગરીબીમાં વિતાવ્યું, ઇંડાં અને દૂધ વેચીને ગુજરાન ચલાવવાનો આવ્યો હતો વારો’
વીરેન્દ્ર વાતચીતની શરૂઆત કરે છે. કહ્યું, ‘મારો જન્મ ઉત્તર-પ્રદેશના મથુરા જિલ્લામાં થયો હતો. અમે 4 ભાઈ-બહેન હતા અને હું એમાં સૌથી નાનો છું. પિતા ડ્રેનેજ વિભાગમાં નાની પોસ્ટ પર કામ કરતા હતા. તેમની આવક ઓછી હતી અને પરિવારમાં વધુ લોકો હતા. ઓછી આવક સાથે દરેકની જરૂરિયાતો પૂરી કરવી તે સમયે ખૂબ જ મુશ્કેલ કામ હતું. જ્યારે પણ પૈસાની અછત હતી ત્યારે પડોશીઓ પાસેથી લોન લઈને ખર્ચ પૂરો કરવામાં આવતો હતો. આજ રીતે મારું આખું બાળપણ ગરીબીમાં વીત્યું હતું.’
‘સમયની સાથે-સાથે દરેકની જરૂરિયાતો વધવા લાગી હતી. અમે 2 ગાયો ખરીદી અને મરઘાં પાળ્યાં હતા. થોડા દિવસો સુધી દૂધ અને ઈંડાં વેચીને ઘરનું ગુજરાન ચલાવ્યું હતું. જોકે, ઉતાર-ચઢાવમાં પણ અમે ખૂબજ ખુશ હતા.’
‘ચારેય ભાઈ-બહેનો એક જ શાળામાં ભણતા હતા, જેથી તેમાંથી એકની ફી માફ થઈ શકે. દરેકની ફી લગભગ 10-12 રૂપિયા હતી, પરંતુ જો અમારા પિતાએ સમયસર સ્કૂલની ફી ન ભરી તો અમારા નામ શાળામાંથી કાઢી નાખવામાં આવતા હતા.’
‘આ પછી ફી ભરીને જ ફરીથી શાળામાં પ્રવેશ મેળવી શકાતો હતો. વારંવાર મારું નામ કાઢી નાખવામાં આવતાં મને ઘણી અકળામણ થઈ હતી. મિત્રો પણ મજાક ઉડાવતા હતા પરંતુ અમે બધા ભાઈ-બહેન પિતાજીની આર્થિક સ્થિતિથી વાકેફ હતા. તેથી અમે કોઈને પણ કોઈ સવાલ કર્યા વગર મૂંગેમોઢે આ અપમાન સહન કરતા હતા.’
‘પિતાના અવસાન પછી મામા સહારો બન્યા’
‘આખા પરિવારનું ગુજરાન ખૂબ જ ઓછા પૈસાથી ચાલતું હતું, આ દરમિયાન 1966માંપિતાનું અવસાન થયું. મારા પિતા લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. તેમના જવાથી ઘર પર જાણે દુ:ખનો પહાડ તૂટી પડ્યો હોય તેમ લાગ્યું હતું. આખા ઘરમાં તેઓ એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. અમે ત્રણેય ભાઈઓ તે સમયે ભણતા હતા અને અમારી બહેનના લગ્ન હતા.’
‘આ સમયે અમારા 4 મામા મસીહા બન્યા. તેઓ દર મહિને 50-50 રૂપિયા મોકલતા હતા, જેનાથી અમુક હદ સુધી ઘર અને ફીના ખર્ચને પહોંચી વળાતું હતું.’
‘બાળકોને ભણાવીને ગુજરાન ચલાવ્યું’
‘થોડા સમય પછી પરિવારની સ્થિતિને જોતા મેં ગ્રેજ્યુએટ થયા પછી ટ્યુશન શરૂ કર્યા હતા. જેમાંથી મને દર મહિને 12 રૂપિયા મળતા હતા. પછી એક ડૉક્ટરના બાળકને ભણાવવાનું શરૂ કર્યું હતું, જેમાં તેમને 15 રૂપિયા મળતા હતા.’
‘મને ડર હતો કે મારા મિત્રો મને મારી ન નાખે’
‘મારા પિતાના મૃત્યુ પછી મારા વર્તનમાં સૌથી મોટો ફેરફાર આવ્યો. મારી મિત્રતા ગુંડાઓ સાથે થઈ ગઈ હતી. મારી મિત્રતાનું સૌથી મોટું કારણ એ હતું કે હું ગાતો અને વગાડતો હતો, જેના કારણે મારી આસપાસના લોકો મને ઓળખવા લાગ્યા. આ રીતે બધા જ મારા મિત્રો બની ગયા હતા.
એ લોકો સામાન્ય ગુંડા નહોતા, પણ લોકોને મારતા હતા. ઘણી વખત મને ખબર હતી કે કોણ કોને મારવા જઈ રહ્યું છે. હું ઈચ્છવા છતાં પણ પીડિતોને મદદ કરી શક્યો નહીં.
મેં મારાથી બનતો પ્રયાસ કર્યો હતો, પરંતુ મને ઓળખતા લોકો મને ધમકાવવા લાગ્યા હતા. થોડા સમય પછી સમજાયું કે, આવી મિત્રતા મારા માટે મોંઘી સાબિત થઈ શકે છે. કોણ જાણે ક્યારે હું પોતે જ ભોગ બની શકું? આ કારણે મારા મનમાં મથુરાથી બહાર જવાના વિચારો આવવા લાગ્યા હતા.’
ફક્ત 18 વર્ષની ઉંમરમાં જ ઘર છોડી દીધું
‘આ મિત્રતાની અસર મારા અભ્યાસ ઉપર પણ પડવા લાગી, જેના કારણે મોટા ભાઈ ખૂબ ગુસ્સે થયા. આખરે એક દિવસ તેમણે પત્ર દ્વારા પોતાની બધી નારાજગી વ્યક્ત કરી. તેમના શબ્દોએ મને ઘણું દુઃખ પહોંચાડ્યું અને મેં 18 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું. આ વાતનો રોષ એટલો બધો હતો કે હું 18 વર્ષથી મારા મોટા ભાઈના ઘરે નથી ગયો.’
‘5 દિવસથી ભૂખ્યો હતો, જ્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ ત્યારે દાખલ થવું પડ્યું’
‘ઘર છોડ્યા બાદ હું એક મિત્રના ઘરે ગયો. મને અહીં આવ્યાને પાંચ દિવસ વીતી ગયા, પણ મને અનાજ કે પાણીનો એક દાણો પણ મળ્યો ન હતો.. મારા મિત્રે વિચાર્યું કે હું બહાર જઈને કંઈક ખાઈ લેતો હોઈશ પણ મારી પાસે એક પૈસો પણ નહોતો.’
‘પછી એક દિવસ મને 25 પૈસા મળ્યા હતા, જેમાંથી મેં 5 કેળા ખરીદ્યા અને ખાધા હતા. ત્યાં સુધીમાં હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે મને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.’
100 રૂપિયામાં પત્ર લખવાની નોકરી
આ વાત 1976ની છે. એક મિત્રની મદદથી રાજા મહેન્દ્ર પ્રતાપના સચિવ બન્યા અને તેમની સાથે દિલ્હી જતા હતા. અહીં રોજ ત્રણ પત્ર લખવાના હતા. આ કામ માટે મને દર મહિને 100 રૂપિયા મળતા હતા.
‘થોડા સમય પછી હું કોલેજના સિનિયર અનિલ ચૌધરીને મળ્યો હતો. તે દિવસોમાં તેઓ એક નાટકનું દિગ્દર્શન કરતા હતા. તેમણે મને એક નાનકડો રોલ પણ ઓફર કર્યો હતો. પહેલાં તો હું ખૂબ જ ડરી ગયો હતો, પરંતુ પછીથી મેં હિંમત ભેગી કરી અને એ રોલ કર્યો. બીજે દિવસે પેપરમાં નામ પણ છપાયું, જે જોઈને હું ખૂબ ખુશ થયો હતો.’
‘જ્યારે પરિસ્થિતિ વણસી ત્યારે મારે પોસ્ટર બનાવીને ગુજરાન ચલાવવું પડ્યું’
‘તો ઘણા સમયથી રાજા સાહેબ લાંબા સમયથી મસૂરીમાં હતા. તેમની સાથે જવા માટે અસમર્થ હોય મારે નોકરી છોડવી પડી હતી. પછી એક નાના ભાઈના મિત્રના ઘરે રહેવા લાગ્યો. આ વખતે પણ ભગવાને મને બેઘર બનતો બચાવી લીધો, પરંતુ આર્થિક સમસ્યા હજુ પણ હતી.’
‘થોડા દિવસો આવી હાડમારીમાં વિતાવ્યા પછી મને NSD બાળકો માટે પોસ્ટર બનાવવાનું કામ મળ્યું. પ્રતિ પોસ્ટર 2 રૂપિયા મળતા હતા. પછી આ ટ્રેન્ડ 3 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. આ જ કારણે મારું ગુજરાન ચાલતું હતું.’
NSDમાં અભિનયનો અભ્યાસ કર્યો
પોસ્ટર બનાવવાના કામથી મારો થિયેટર તરફનો ઝુકાવ વધવા લાગ્યો હોય મેં નાટકમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. પછી 1979માં પરીક્ષા પાસ કર્યા પછી મને NSDમાં પ્રવેશ મળ્યો હતો. અહીં 3 વર્ષ અભ્યાસ કર્યા બાદ હું 1982માં પાસ આઉટ થયો હતો. આ સમયગાળા દરમિયાન મેં ઘણાં બધાં નાટકો કર્યા જેના કારણે લોકો મને ઓળખવા લાગ્યા.’
‘અહીંથી પાસ થયા બાદ મેં 1984માં કેટલાક મિત્રો સાથે ‘સમભાવ’ નામનું ગ્રુપ બનાવ્યું અને સ્થળે સ્થળે પ્લે કરવાનું શરૂ કર્યું હતું.’
ગોવિંદ નિહલાનીએ મોટો બ્રેક આપ્યો
‘એક દિવસ મને ગોવિંદ નિહલાનીનો ફોન આવ્યો અને તેમણે મને મળવાનું કહ્યું હતું. આટલા મોટા દિગ્દર્શકની ઓફર કોણ નકારી શકે? જરા પણ સમય બગાડ્યા વિના હું તેમને મળવા માટે જ્યાં તેઓ રોકાયા હતા તે હોટેલ પર પહોંચ્યો હતો. તેમણે મને 1988ની ટેલિ ફિલ્મ ‘તમસ’માં રોલ ઓફર કર્યો હતો. તેમણે કહ્યું કે તે નસીર સાહબને તે રોલમાં કાસ્ટ કરવા માગતો હતો, પરંતુ નસીરના વ્યસ્ત શેડ્યૂલને કારણે કામ થઈ શક્યું નહીં.’
‘આ કારણથી નિહલાની સાહેબ ઈચ્છતા હતા કે હું આ રોલ કરું, પરંતુ જો નસીર સાહેબ પછીથી હા કહે તો મારી પાસેથી આ ઑફર લેવામાં આવી શકે છે. મેં તેમની શરત સ્વીકારી. પછી તેમણે તેમને કેટલીક પંક્તિઓ વાંચવા કહ્યું. પછી 3 દિવસ પછી તેમના તરફથી મારું નામ કન્ફર્મ થયું હતું.’
20 હજાર રૂપિયા લઈને મુંબઈ આવ્યા, મહેશ ભટ્ટની ફિલ્મ ‘આશિકી’થી બદલાયું નસીબ
‘સમય જતાં મને અનુભવ થવા લાગ્યો કે, થિયેટરમાંથી મળેલા પૈસાથી હું આરામદાયક જીવન જીવી શકતો નથી. આ વાતને ધ્યાનમાં રાખીને મેં મુંબઈ આવવાનું નક્કી કર્યું. હું 1989માં મુંબઈ આવ્યો ત્યારે મારી પાસે માત્ર 20 હજાર રૂપિયા હતા.’
‘હું દિલ્હીમાં નામાંકિત થિયેટર આર્ટિસ્ટ હતો, પણ જ્યારે હું મુંબઈ આવ્યો ત્યારે મારે તદ્દન નવેસરથી શરૂઆત કરવી પડી. એક વર્ષ થિયેટર કરીને ટકી રહેવું પડ્યું. આ સમય દરમિયાન હું મહેશ ભટ્ટને સારી રીતે ઓળખી ગયો હતો. તેઓ મારી પ્રતિભાથી ખૂબ પ્રભાવિત થયા અને મને ફિલ્મ ‘આશિકી’માં કામ આપ્યું હતું.’
બોલવાને કારણે મોટા પ્રોજેક્ટ ગુમાવવા પડ્યા
મને ઘણા મોટા પ્રોજેક્ટમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને અમુક પ્રોજેક્ટ મેં જાતે છોડી દીધા હતા. મને હાંકી કાઢવામાં આવ્યો હતો એ પાછળનું કારણ એ હતું કે હું લોકોને બધું જ વિચાર્યા વગર કહું છું. મને જે ગમતું નથી, હું તેને મારા દિલમાં રાખી શકતો નથી. જેના કારણે અનેક મોટા પ્રોજેક્ટ ગુમાવવા પડ્યા હતા.’
‘બીજી બાજુ, મેં ઘણા પ્રોજેક્ટ્સને નકારી કાઢ્યા કારણ કે મને તેમની વાર્તાઓ નિસ્તેજ લાગી. શરૂઆતથી જ, મેં મારી પોતાની શરતો પર જીવન જીવ્યું છે, તેથી હું રીલ લાઇફમાં પણ કોઈ લેખકના કહેવા પ્રમાણે કામ કરવા માગતો ન હતો. હું એવા જ રોલ કરું છું જે મારી ઈચ્છા મુજબ હોય.’
આ પછી મેં ‘દામિની’,’જીદ્દી’, ‘પરદેશી બાબુ’ અને ‘સરકાર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. તાજેતરમાં મેં ‘ભીડ’ અને ‘મિશન રાનીગંજ’માં કામ કર્યું છે. હું હજુ આવનારા દિવસોમાં કોઈ મોટી ફિલ્મનો હિસ્સો બન્યો નથી. એક કે બે સિરીઝ એવી છે જેમાં હું જોવા મળીશ.