એજન્સી, લખનૌ
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરે ભાજપથી અલગ થઈ જવાની જાહેરાત કરી દીધી છે. તેમણે સોમવારે જાહેર કર્યું કે તેમનો પક્ષ ભારતીય સમાજ પાર્ટી સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. આ માટે તેઓ 25 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે. ઉમેદવારોના નામની ઘોષણા આજે જ કરાશે. રાજભર ઘણા સમયથી પક્ષની વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે.
ઓમ પ્રકાશ રાજભર ઘણા સમયથી ભાજપથી નારાજ હતા. તેમણે અગાઉ પર એનડીએમાંથી અલગ થવાના સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હવે હું ભાજપનો નેતા નથી. અમારી અલગ પાર્ટી છે. પૂર્વાંચલમાં અમારી તાકાત જોઇને ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું. અમે કોઇની કૃપાથી નહીં પરંતુ પોતાની લડાઇ લડીને મંત્રી બન્યા છે.
અગાઉ રાજભરે ભાજપને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ભાજપ ઉત્તર પ્રદેશમાં પછાત જાતિને 27 ટકા અનામત નહીં આપે તો તેઓ એનડીએથી અલગ થઇ જશે. જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે ભાજપને તેના સહયોગી દળો યાદ આવે છે.