Vadodara : ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળના સેક્રેટરી જનરલ રાજુભાઈ ખત્રીએ જી.યુ.વી.એન.એલના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર પાઠવી ફોલ્ટ રિક્ટીફીકેશન ટીમ(FRT) માં બિનઅનુભવી કર્મચારીઓને કારણે માનવજીવન જોખમમાં મુકાય તેવી વ્યવસ્થા બંધ કરવાં રજૂઆત કરી છે. તેમણે મેસર્સ સંધા એન્ડ કંપની ગુરુગ્રામનો કોન્ટ્રાક્ટ રદ કરવા જણાવ્યું છે.
રાજુભાઈ ખત્રીએ જણાવ્યું છે કે, એમજીવીસીએલના ગૌત્રી સબડીવીઝનમાં કોન્ટ્રાકટરના કર્મચારીનું લાઇન કામ દરમ્યાન અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું અને જેનો મૃતદેહ લઇને સ્થાનિક લોકો તથા તેનાં પરીવારજનો સ્થળ પર હાજર કર્મચારીઓ પર પોલીસ ફરીયાદ અને વળતર મેળવવા માટે ઓફીસે ઘરણા પર બેસી ગયાં હતાં. જે ખરેખર ખુબ જ ગંભીર બાબત છે. ત્યારે હાલમાં એમજીવીસીએલમાં FRT નો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. જેમાં બિનઅનુભવી કર્મચારીઓની નિમણુંક કરવામાં આવે છે. તેમજ તેઓ ટેન્ડર પ્રક્રિયા કરતાં અપુરતા માણસો રાખીને ઓછાં માણસો પાસે કામગીરી કરાવી રહ્યા છે. જેમને સેફ્ટીના પુરતાં સાઘનો પણ આપવામાં આવેલ નથી. ત્યારે વિજપોલ પર ચડીને લાઇનકામ કરવું ખુબ જ જોખમી હોય નાની અમથી ચુકથી પણ જીવ જવાની શક્યતા હોય છે. ત્યારે FRT નાં કોન્ટ્રાકટર દ્વારા બિનઅનુભવી અને સલામતીના સાઘનો વિના ટેન્ડરની શરતથી ઓછાં માણસો રાખીને જીવનાં જોખમવાળી કામગીરી કરાવવામાં આવી રહીં છે. જેનાથી માનવ મૃત્યુ થવાની સંભાવના ખુબ વધી જાય છે. તેમજ આવાં બિનઅનુભવી કર્મચારીઓનું સુપરવિઝન કરવું ખરેખર ખુબ જ અઘરૂં હોય હાલ ગૌત્રી સબડીવીઝનમાં થયેલ અકસ્માતના બનાવને કારણે ફોલ્ટ રિક્ટીફિકેશન ટીમ( FRT)ના કર્મચારીઓનાં કામનું સુપરવિઝન કરવાથી વિજકર્મીઓ ડરી રહ્યા છે. તો આ ગંભીર બાબતે યોગ્ય નિર્ણય લઇને માનવજીવન જોખમમાં ન મુકાય તે માટે FRTનો મેસર્સ સંધા એન્ડ કંપની ગુરુગ્રામનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.