Rajkot Accident : રાજકોટના માલીયાસણ નજીક ગોજારો અકસ્માત થયો છે. ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પાંચ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ત્યાં દોડી આવ્યો છે. અકસ્માત એટલો ગંભીર છે કે, ટ્રકની અડફેટે ચડતા રિક્ષાનો છૂંદો વળી ગયો છે. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે.
રિક્ષાનો કચ્ચરઘાણ નીકળો ગયો
અકસ્માત અંગે મળતી વિગતો મુજબ, ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો રિક્ષાની અંદર ફસાઈ ગયા છે. હાલ બંને લોકોને બચાવવા માટે પૂરજોશમાં બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત માલીયાસણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા પણ બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. અકસ્માતમાં ટ્રક નીચે ફસાયેલી રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.
દ્વારકા-પોરબંદર રોડ પર અકસ્માત થયો હતો
આ પહેલા મોડી રાત્રે દ્વારકા-પોરબંદર રોડ પર અકસ્માત થયો હતો. કર્ણાટકથી શ્રદ્ધાળુઓ ભરીને ઉપડેલી બસ સોમવારે મોડી રાત્રે પોરબંદર-દ્વારકા હાઇવે પર કુછડી ગામ નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 7 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
દાદરા નગર હવેલીમાં બેફામ એસટીએ મોપેડને ફંગોળી
આ પહેલા દાદરા નગર હવેલીમાં એસ.ટી. બસે સર્જેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. સેલવાસથી વાપી તરફ જઈ રહેલી આ બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોંગ સાઇડમાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન સામેથી મોપેડ પર આવતાં બે લોકોને બસે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ ગોજારા અકસ્માતમાં લવાસાના બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં.
આ પણ વાંચો : સોમનાથથી દ્વારકા જતા કર્ણાટકના પરિવારને નડ્યો અકસ્માત, 2ના મોત અને 7 ઇજાગ્રસ્ત