57 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકપ્રિય ગાયક દિલજીત દોસાંઝ ભારતના 10 શહેરોમાં દિલ-લુમિનાટી ટૂર કરવા જઈ રહ્યો છે. ટૂરની જાહેરાત બાદથી ચાહકોમાં ટિકિટ માટે પડાપડી ચાલી રહી છે. દરમિયાન, ટિકિટ બુકિંગમાં ખામીને કારણે, દિલજીત દોસાંઝ કાનૂની મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળે છે. દિલજીત પર છેતરપિંડી અને હેરાફેરીનો આરોપ છે.
અઠવાડિયાથી ટિકિટની રાહ જોઈ રહેલી મહિલા ચાહકને જ્યારે શોની ટિકિટ ન મળી શકી ત્યારે તેણે દિલજીત દોસાંઝ સહિતના આયોજકોને કાનૂની નોટિસ મોકલી.

દિલજીત દોસાંઝ 26 ઓક્ટોબરે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં કોન્સર્ટ કરવા જઈ રહ્યો છે. આ શોની ટિકિટ વિન્ડો 12 સપ્ટેમ્બરે ખોલવામાં આવી હતી. ટિકિટ બુકિંગનો સમય બપોરે 1 વાગ્યે જાહેર કરવામાં આવ્યો હતો, જોકે આયોજકોએ તેને 12:59 વાગ્યે જ ખોલ્યો હતો. ફ્રી પ્રેસ જર્નલ અનુસાર, દિલ્હીની રહેવાસી રિદ્ધિમા કપૂર, જે ટિકિટ બુક કરાવવા માટે અઠવાડિયાથી રાહ જોઈ રહી હતી, તે 1 વાગ્યાના શોની રાહ જોઈ રહી હતી, પરંતુ જ્યારે તે સાઇટ પર પહોંચી ત્યારે શો પહેલેથી જ હાઉસફુલ હતો.
રિદ્ધિમાના ખાતામાંથી પૈસા પણ કપાઈ ગયા હતા, પરંતુ બાદમાં તેને એવું કહીને રિફંડ આપવામાં આવ્યું હતું કે શોની ટિકિટ એક મિનિટ પહેલા વેચાઈ ગઈ હતી.

રિપોર્ટ અનુસાર, રિદ્ધિમા દિલજીતના શો માટે એટલી ઉત્સાહિત હતી કે તેને અર્લી બર્ડ પાસ માટે ક્રેડિટ કાર્ડ પણ કઢાવી લીધુ. તેણે શોના આયોજકો પર ટિકિટના ભાવમાં હેરાફેરી કરવાનો અને ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. ચાહકોનો આરોપ છે કે ટિકિટનું બ્લેક માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. માત્ર 1 મિનિટમાં તમામ ટિકિટો વેચાઈ ગઈ હોવાથી ટિકિટનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું હોવાનું સ્પષ્ટ થાય છે. ફેન રિદ્ધિમાએ દિલજીત દોસાંઝ તેમજ ઝોમેટો, HDFC બેંક અને સારેગામા પ્રાઈવેટ લિમિટેડને કાનૂની નોટિસ મોકલી છે.

નોંધનીય છે કે, દિલજીત દોસાંઝ દિલ-લુમિનાટી ટૂર અંતર્ગત ભારતના 10 શહેરોમાં કોન્સર્ટ કરવા જઈ રહ્યો છે. આ શો હૈદરાબાદ, અમદાવાદ, પુણે, કોલકાતા, બેંગલુરુ, ઈન્દોર, ચંદીગઢ, ગુવાહાટી, લખનૌ અને દિલ્હીમાં યોજાશે.