5 કલાક પેહલા
- કૉપી લિંક
પીઢ અભિનેત્રી તનુજાની તબિયત અચાનક બગડતાં રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 2 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ 80 વર્ષની અભિનેત્રીની હાલતમાં સુધારો થયો છે, જે બાદ હવે તેને રજા આપવામાં આવી છે. તનુજા રવિવારે ઘરે હતી ત્યારે અચાનક તેની તબિયત લથડી હતી. તેને તરત જ જુહુની ક્રિટીકેયર હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેને આઈસીયુમાં ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવી. હવે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ અભિનેત્રીની તબિયતમાં સુધારો થતાં તેને રજા આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, 80 વર્ષની તનુજાને સોમવારે સાંજે 5.30 કલાકે રજા આપવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીએ રવિવારે કંઈક ખાધું હતું, જેના પછી તેને સતત ઉલ્ટી થઈ રહી હતી.
તનુજા છેલ્લે એમેઝોન પ્રાઇમની સીરિઝ મોર્ડન લવ મુંબઈમાં જોવા મળી હતી.
તનુજાને એડમિટ કર્યા બાદ તનિષા સેટ પર પહોંચી, ટ્રોલ થઈ
તનુજાની નાની દીકરી તનિષા મુખર્જી હાલમાં શો ‘ઝલક દિખલા જા 11’નો ભાગ છે. તનુજાને હોસ્પિટલમાં દાખલ કર્યાના બીજા દિવસે, તનિષા ઝલક દિખલા જાના સેટની બહાર જોવા મળી હતી. કેટલાક લોકોએ તેના કામના સમર્પણની પ્રશંસા કરી હતી, તો ઘણા લોકો તેને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા હતા.
80 વર્ષની તનુજા 60-70ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી હતી, જે ‘હાથી મેરે સાથી’, ‘મેરે જીવન સાથી’, ‘દો ચોર’ જેવી અસંખ્ય હિટ ફિલ્મોમાં જોવા મળી હતી. તનુજા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કુમારસેન સમર્થ અને અભિનેત્રી શોભનાની પુત્રી છે. લોકપ્રિય અભિનેત્રી નૂતન તનુજાની મોટી બહેન છે. તનુજાએ ફિલ્મ નિર્માતા શોમુ મુખર્જી સાથે લગ્ન કર્યા, જેની સાથે તેને બે પુત્રીઓ છે, કાજોલ અને તનિષા.