44 મિનિટ પેહલાલેખક: તાન્યા અગ્રવાલ
- કૉપી લિંક
સંજય લીલા ભણસાલી, આજે આ નામ ફિલ્મ ઉદ્યોગના મોટા ડિરેક્ટરોમાં ગણાય છે. ભણસાલી આજે 62 વર્ષના થયા. એક સમયે રંગહીન દીવાલોવાળી 300 ચોરસ ફૂટની ચાલીમાં રહેતા ભણસાલી આજે ભારતીય સિનેમામાં તેમના ભવ્ય સેટ અને પરફેક્શનિસ્ટ અભિગમ માટે જાણીતા છે.
સંજયની ફિલ્મોમાં, ફક્ત વાર્તા જ નહીં, પરંતુ દરેક ફ્રેમ એક ગતિશીલ ચિત્ર હોય છે. 940 કરોડ રૂપિયાના માલિક ભણસાલીએ ફિલ્મ ઉદ્યોગમાં પોતાની કારકિર્દીમાં લગભગ 10 ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે, 7ફિલ્મોમાં પ્રોડ્યુસર, ૩ ફિલ્મોમાં મ્યુઝિક ડિરેક્ટર અને 16 ફિલ્મોમાં લેખક તરીકે કામ કર્યું છે. જોકે, સંજય લીલા ભણસાલી માટે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરવો સરળ નહોતો.
ભણસાલીના 62મા જન્મદિવસ નિમિત્તે, ચાલો જાણીએ તેમના ડિરેક્શન અને પરફેક્શનિસ્ટ સાથે જોડાયેલા કિસ્સાઓ…

જન્મ ચાલીમાં થયો હતો, કહ્યું- દીવાલો પણ રંગહીન હતી
સંજય લીલા ભણસાલી ફિલ્મોમાં તેમના વૈભવી અને ભવ્ય સેટ માટે જાણીતા છે, પરંતુ એક સમય હતો જ્યારે તેઓ પોતે એક ચાલીમાં રહેતા હતા. તેમણે તાજેતરમાં ધ હોલિવૂડ રિપોર્ટર સાથેની વાતચીતમાં પોતાના બાળપણના સંઘર્ષોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું-

હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મારો જન્મ એવા ઘરમાં થયો જ્યાં કોઈ પણ પ્રકારની સુખ-સુવિધાઓ નહોતી. મારો જન્મ 300 ચોરસ ફૂટની ચાલમાં થયો હતો. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કારણ કે મારો જન્મ એક એવા પિતાને ત્યાં થયો હતો જેમણે ઘણાં અધૂરાં સપનાઓ પાછળ છોડી દીધા હતા. હું જે ચાલમાં રહેતો હતો, તેની દીવાલો પણ રંગહીન હતી, અમે 4-5 લોકો એક નાની જગ્યામાં રહેતા હતા. મેં બાળપણથી સાંભળ્યું હતું કે સિનેમામાં પૈસા રોકાણ કરવાથી કોઈ ફાયદો નથી.
પિતાએ ફિલ્મમાં પૈસા રોક્યા, પરિવારને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો
આ જ ઇન્ટરવ્યૂમાં, સંજય લીલા ભણસાલીએ પણ પોતાની આર્થિક મુશ્કેલીઓનું કારણ ફિલ્મો ગણાવી હતી. તેમણે કહ્યું, ‘મારા પિતાએ ‘જહાજી લુટેરા’ નામની ફિલ્મમાં પૈસા રોક્યા હતા, જે મારા જન્મ પહેલાં રિલીઝ થઈ હતી. જ્યારે હું જન્મ્યો અને મોટો થયો, ત્યારે મેં હંમેશા મારા પરિવાર પાસેથી સાંભળ્યું કે સિનેમામાં પૈસા રોકાણ ન કરવા જોઈએ. સિનેમાના કારણે આપણે આવી સ્થિતિમાં પહોંચ્યા છીએ. શરૂઆતથી જ મારા ઘરમાં સિનેમાને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે.’
‘મારી દાદીએ એક વાર ૧૦,૦૦૦ રૂપિયા ભેગા કર્યા હતા. તેણે આ પૈસા મારા પિતાના મિત્રને આપ્યા, જે એક ફિલ્મનું નિર્માણ કરી રહ્યા હતા. અમને તે પૈસા ક્યારેય પાછા મળ્યા નહીં. આ પછી, મેં નક્કી કર્યું કે મારે ઘણા પૈસા કમાવવા છે અને તે 10 હજાર રૂપિયા વ્યાજ સહિત મારા પરિવારને પરત કરવા છે.’

સંજય માતા લીલા અને બહેન બેલા ભણસાલી સેહગલ સાથે.
સાંકડી જગ્યામાં મારી માતાને નાચતા જોયા પછી, મેં નક્કી કર્યું કે મારી હિરોઇન મોટા સેટ પર નાચશે સંજય લીલા ભણસાલીના પિતાએ ફિલ્મોમાં પૈસા રોક્યા અને ખોટ ગઈ, પરિવારને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આવી સ્થિતિમાં, તેમની માતા ઘરના ખર્ચને પહોંચી વળવા અને ગુજરાન ચલાવવા માટે સીવણકામ કરતી હતી. તેમની માતા નાના કાર્યક્રમોમાં નૃત્ય પણ કરતી હતી. ક્યારેક ભણસાલી પોતાની માતાનું પરફોર્મન્સ જોવા માટે કાર્યક્રમોમાં પણ જતા. એક દિવસ તેમણે તેમની માતાને એક નાની જગ્યાએ નાચતી જોઈ, ત્યારબાદ તેમણે નક્કી કર્યું કે જ્યારે પણ તે ફિલ્મ નિર્માતા બનશે, ત્યારે તેમની ફિલ્મોની હિરોઇનો હંમેશા મોટા સેટ પર નાચશે.

ગુસ્સાને કારણે FTII માંથી હાંકી કાઢવામાં આવ્યા ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેના જૂના ઇન્ટર્વ્યૂમાં, સંજય લીલા ભણસાલીએ તેમની પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની વાર્તા શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મેં પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં એડિટિંગ કોર્સમાં પ્રવેશ લીધો હતો. આ કોર્સ પૂર્ણ કર્યા પછી, મેં ડિપ્લોમા માટે પ્રવેશ લીધો, પરંતુ પછી મને સંસ્થામાંથી કાઢી મૂકવામાં આવ્યો અને હું મારો ડિપ્લોમા પૂર્ણ કરી શક્યો નહીં.’
‘ખરેખર, હું ત્યાં એડિટિંગનો વિદ્યાર્થી હતો, અમારા માટે કોઈ ડિરેક્શનના ક્લાસિસ નહોતા. એક દિવસ, દરેક વિદ્યાર્થી માટે એક-એક ડિરેક્ટરને બોલાવવામાં આવ્યા, જેમની ફિલ્મો અમારે એડિટ કરવાની હતી. મને દિલીપ ઘોષની ફિલ્મ મળી, પણ મને તેમની સાથે કામ કરવામાં થોડી સમસ્યા આવી, તેથી મેં મારી સંસ્થાના ડિરેક્ટર કે.જી.વર્માનો સંપર્ક કર્યો અને કહ્યું કે, મને બીજા કોઈ ડિરેક્ટરની ફિલ્મ આપે, પણ તેમણે ના પાડી. આ મુદ્દે થોડી ચર્ચા થઈ અને મેં કોર્ટમાં કેસ દાખલ કર્યો, જેમાં હું હારી ગયો. આ પછી હું વર્મા સર પાસે ગયો અને મને મારી ડિપ્લોમા ફિલ્મ પૂર્ણ કરવા દેવા વિનંતી કરી, પરંતુ તેમણે સંમતિ ન આપી અને મને સંસ્થામાંથી કાઢી મૂક્યો. મને ખૂબ ગુસ્સો આવ્યો અને મેં નક્કી કર્યું કે હું મુંબઈ જઈશ અને મારી પોતાની ફિલ્મ બનાવીશ. જોકે, આજે પણ મને ડિપ્લોમા ન કરી શકવાનો અફસોસ છે. આ જ કારણ છે કે હું હજુ પણ મારી જાતને એક અપૂર્ણ ફિલ્મ નિર્માતા માનું છું.’
સંજય લીલા ભણસાલીનો ફિલ્મો સાથેનો સંબંધ કેવી રીતે જોડાયેલો છે?
સંજય લીલા ભણસાલીના જીવનમાં એક સમય એવો હતો જ્યારે તેમના માટે ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાવું અશક્ય હતું. આ ત્યારે શક્ય બન્યું જ્યારે તેની બહેને વિધુ વિનોદ ચોપરાની ભૂતપૂર્વ પત્ની રેણુ ચોપરા સામે તેના કામની પ્રશંસા કરી. જે બાદ રેણુ ચોપરાએ વિધુ વિનોદ ચોપરાને સંજય લીલાને કામ આપવા દબાણ કર્યું. ખરેખર, સંજય લીલા ભણસાલીની બહેન બેલા ભણસાલી સહગલ વિધુ વિનોદ ચોપરા સાથે કામ કરતી હતી.

સંજય લીલા ભણસાલીએ વિધુ વિનોદ ચોપરા સાથે 8 વર્ષ સુધી કામ કર્યું.
પહેલા વિધુ વિનોદ ચોપરાએ સંજય લીલાને નકારી કાઢ્યા. પછીથી તેમણે તેમને પોતાની સાથે કામ કરવાની તક આપી. સંજય લીલાએ તેમની સાથે 8 વર્ષ સુધી કામ કર્યું. તેમણે વિધુ વિનોદ ચોપરા સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું.
વિધુ વિનોદ ચોપરા સાથે કામ કરવાનો અનુભવ શેર કરતી વખતે સંજય લીલા ભણસાલીએ કહ્યું હતું કે, “મને લાગે છે કે તેમની સાથે 8 વર્ષ કામ કર્યા પછી, હું દુનિયાની કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકું છું. આજે પણ, જો મને વિધુ વિનોદ ચોપરાનો ફોન આવે છે, તો હું ઊભો થઈ જાઉં છું. આ તે વ્યક્તિને મારું સન્માન છે જેણે મારું જીવન બદલી નાખ્યું.’
પહેલી ફિલ્મ ‘ખામોશી: ધ મ્યુઝિકલ’ને 5 ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા.
સંજય લીલા ભણસાલીએ વિધુ વિનોદ ચોપરા સાથે ફિલ્મ પરિંદા (1989) માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે અને ‘1942: અ લવ સ્ટોરી’ (1994) માં રાઇટર-આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું.
વિધુ વિનોદ ચોપરા ઇચ્છતા હતા કે, સંજય લીલા ભણસાલી તેમની પ્રોડક્શન ફિલ્મ ‘કરીબ’નું દિગ્દર્શન કરે, પરંતુ તેમણે ના પાડી દીધી. આ ઇનકારથી તેમના સંબંધો પર અસર પડી.
આ પછી, સંજય લીલા ભણસાલીએ 1996 માં આવેલી ફિલ્મ ‘ખામોશી: ધ મ્યુઝિકલ’થી ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરી શકી નહીં, પરંતુ તેને વિવેચકો તરફથી ઘણી પ્રશંસા મળી. આ ફિલ્મે તે વર્ષે 5 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. વધુમાં, તેમણે ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘દેવદાસ’, ‘બ્લેક’ જેવી ઉત્તમ ફિલ્મોનું નિર્દેશન કરીને બોલિવૂડના શ્રેષ્ઠ દિગ્દર્શકોમાં પોતાને સામેલ કર્યા.

સંજય લીલા ભણસાલીની ફિલ્મો અને પરફેક્શન સાથે સંબંધિત કિસ્સાઓ-
સંજય લીલા ભણસાલી પોતાની ફિલ્મોની વાર્તાની સાથે સાથે પરફેક્શન, વૈભવી સેટ, કલાકારોના પોશાક અને સંગીત પર પણ ધ્યાન આપે છે. આ તેમની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યું છે.
ભણસાલીએ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દેવદાસ’ માટે ભવ્ય સેટ બનાવવા માટે 9 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. તે જ સમયે, 2018 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પદ્માવત’ના સેટને બનાવવામાં 250 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ભણસાલીએ ફિલ્મમાં દીપિકા પાદુકોણના મહારાણી લુક પર પણ ઘણો ખર્ચ કર્યો હતો.
દીપિકાએ પહેરેલા ઘરેણાં 200 કારીગરો દ્વારા 600 દિવસમાં બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ‘ઘૂમર’ ગીતના નિર્માણમાં 12 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. વર્ષ 2022 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો સેટ બનાવવામાં લગભગ 7 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ સેટ બનાવવામાં 5 થી 6 મહિના લાગ્યા.

વેબ સિરીઝ ‘હીરામંડી’નો સેટ સંજય લીલા ભણસાલીના કરિયરમાં અત્યાર સુધીનો સૌથી મોટો સેટ છે
તે જ સમયે, વર્ષ 2024 માં રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની પહેલી વેબ સિરીઝ ‘હીરામંડી’ ના સેટને બનાવવા માટે લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ૩ એકરમાં ફેલાયેલો આ સેટ ભણસાલીના કરિયરમાં અત્યાર સુધીનો સૌથી મોટો સેટ હતો. આ સેટ બનાવવા માટે 700 કારીગરોએ 210 દિવસ કામ કર્યું હતું. અને આ સિરીઝની સિક્વલ ‘હીરામંડી 2’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. સિરીઝનું શૂટિંગ ચાલુ છે.
સલમાનના નિવેદનથી સંજય લીલા ભણસાલી દુઃખી થયા
સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી વચ્ચેના સંબંધો ઘણા સમય સુધી ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. બંનેએ ‘ખામોશી: ધ મ્યુઝિકલ’ (1996) અને ‘હમ દિલ દે ચૂકે સનમ’ (1999) જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, પરંતુ બાદમાં, સલમાન ખાનના એક નિવેદનથી બંને વચ્ચે અણબનાવના અહેવાલો આવ્યા હતા. ખરેખર, વર્ષ 2010માં, સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ગુઝારિશ’ રિલીઝ થઈ હતી. ફિલ્મ વિશે સલમાને કહ્યું હતું કે ‘એક કૂતરો પણ ફિલ્મ જોવા ગયો નથી’. સલમાનના આ નિવેદનથી સંજય લીલા ભણસાલી ખૂબ જ દુઃખી થયા અને તેમની વચ્ચે અણબનાવ થયો.

સંજય લીલા ભણસાલી અને સલમાન ખાને પહેલી વાર ફિલ્મ ‘ખામોશી: ધ મ્યુઝિકલ’ માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ 9 ઓગસ્ટ 1996ના રોજ રિલીઝ થઈ હતી.
સલમાન સાથેની ફિલ્મ બંધ થઈ ગઈ
સંજય લીલા ભણસાલીએ સલમાન ખાન અને આલિયા ભટ્ટને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ 20 વર્ષ પછી ભણસાલી અને સલમાનની સાથે વાપસીને ચિહ્નિત કરતી હતી, પરંતુ આ પ્રોજેક્ટ અચાનક પડતો મૂકવામાં આવ્યો. અહેવાલો અનુસાર, સલમાન અને ભણસાલી વચ્ચે સર્જનાત્મક મતભેદો હતા. સલમાન ઇચ્છતો હતો કે ફિલ્મમાં એક્શન અને મસાલા એલિમેન્ટ હોય, જ્યારે ભણસાલી તેને ક્લાસિક રોમેન્ટિક ફિલ્મ બનાવવા માગતા હતા.
પાકિસ્તાની કલાકારોને કાસ્ટ કરવા માગતા હતા
‘હીરામંડી’ એ ભણસાલી દ્વારા દિગ્દર્શિત પ્રથમ વેબ સિરીઝ છે. તેમને આ ‘સિરીઝ’નો વિચાર છેલ્લા 18 વર્ષથી હતો, તે સમયે તેઓ આ સિરીઝમાં રેખા, કરીના કપૂર અને રાની મુખર્જીને કાસ્ટ કરવા માગતા હતા. ત્યારબાદ, તેમણે બીજા કાસ્ટમાં પાકિસ્તાની કલાકારોના નામ પણ વિચાર્યા. જેમાં માહિરા ખાન, ફવાદ ખાન અને ઇમરાન અબ્બાસના નામનો સમાવેશ થાય છે. જોકે, આ પણ થઈ શક્યું નહીં. જે પછી ભણસાલીએ ‘હીરામંડી: ધ ડાયમંડ બાઝાર’માં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, શર્મિન સેગલ, તાહા શાહ, ફરદીન ખાન અને શેખર સુમન અને તેમના પુત્ર સુમનને મહત્ત્વની ભૂમિકાઓમાં કાસ્ટ કર્યા છે.

દિગ્દર્શક તરીકે, સંજય લીલા ભણસાલીએ વેબ સિરીઝ ‘હીરામંડી’ સાથે ઓટીટીમાં પ્રવેશ કર્યો.
આ ફિલ્મો વિવાદોમાં રહી હતી
- ‘પદ્માવત’ (2018)- આ તેમનો સૌથી મોટો અને સૌથી પ્રખ્યાત વિવાદ હતો. રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજી વચ્ચેના સંબંધોને લઈને કરણી સેના અને કેટલાક રાજપૂત સંગઠનો દ્વારા ફિલ્મ “પદ્માવત” (પહેલાં પદ્માવતી નામ હતું) નો વિરોધ કરવામાં આવ્યો હતો. આરોપ હતો કે ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે અને રાણી પદ્માવતીના પાત્રને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે. વિરોધ એટલો બધો વધી ગયો કે જયપુરમાં શૂટિંગ દરમિયાન ભણસાલી પર હુમલો થયો, સેટ તોડી નાખ્યો અને ફિલ્મની રિલીઝ મુલતવી રાખવી પડી. બાદમાં, સેન્સર બોર્ડે કેટલાક ફેરફારો કર્યા, નામ બદલ્યું અને ફિલ્મ રિલીઝ થઈ.
- ‘ગોલિયોં કી રાસલીલા: રામ-લીલા’ (2013) – હિન્દુ સંગઠનોએ ફિલ્મ ‘રામ-લીલા’ના શીર્ષક સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેનાથી ધાર્મિક લાગણીઓ દુભાય છે. કેટલાક સમુદાયોએ ફિલ્મ પર અશ્લીલ અને પરંપરાઓને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. પાછળથી આ ફિલ્મનું નામ ‘ગોલિયોં કી રાસલીલા: રામ-લીલા’ રાખવામાં આવ્યું.
- ‘બાજીરાવ મસ્તાની’ (2015) – પેશ્વા બાજીરાવ અને મસ્તાનીની પ્રેમકથા પર આધારિત આ ફિલ્મનો મરાઠા સંગઠનો અને કેટલાક ઇતિહાસકારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આરોપ હતો કે ફિલ્મમાં બાજીરાવની પત્નીઓ કાશીબાઈ (પ્રિયંકા ચોપરા) અને મસ્તાની (દીપિકા પાદુકોણ) ને ખોટી રીતે દર્શાવવામાં આવી છે. ફિલ્મના ગીત “પિંગા” પર વિવાદ થયો હતો, જેમાં કાશીબાઈ અને મસ્તાની એકસાથે નૃત્ય કરતા હતા.
- ‘હીરામંડી: ધ ડાયમંડ બાઝાર’ (2024)- સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ સિરીઝ લાહોરના હીરામંડી વિસ્તારની ગણિકાઓના જીવન પર આધારિત છે. સિરીઝના રિલીઝ પછી, દિગ્દર્શક પર તથ્યો સાથે છેડછાડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
