ગુજરાતી ભાષાના નાટકનું આ નામ છે-‘અજબ ગજબ’. જેને ભાવનગરના ત્રીજા ધોરણમાં ભણતા એક ટેણિયાએ લખી નાખેલું. અને હા, આ કોઈ કો-ઈન્સિડન્સ નહોતો એટલે કે અઠ્ઠે-ગઠ્ઠે કરેલું કામ નહોતું. આ કામ એ કળા અને કોન્ફિડન્સનો સંગમ હતું. અને આ કળા અને કોન્ફિડન્સના સંગમે આગળ
.
ગુજરાતીની વાત કરું તો વ્હાલમ આવો ને… ગોરી રાધા ને કાળો કાન…. પાપા પગલી તે કીધી.. જેવા ગીતો જે હંમેશા ગુજરાતીઓના હૈયે અને હોઠે રહે છે તે ભાવનગરના આ ગરવા ગુજરાતી એટલે કે નિરેન ભટ્ટે લખ્યા છે. રોંગ સાઈડ રાજૂ જેવી ગુજરાતી ફિલ્મો, ઓલ ઈઝ વેલ, ભેડિયા, મુંજયા જેવી બોલિવુડની સુપરહિટ ફિલ્મો પણ તેમણે જ લખી છે. આ ઉપરાંત દેશભરના યુવાનો,વડીલો અને ખાસ કરીને બાળકોની સૌથી પ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલના અનેક એપિસોડ્સ પણ નિરેન ભટ્ટે જ લખ્યા છે.
ગીતકાર,ફિલ્મ લેખક અને નાટ્યકાર નિરેન ભટ્ટ
અત્યારે આપણે આ વાત એટલે માંડી કારણ કે હાલમાં સ્ત્રી-2 ફિલ્મ દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. માત્ર એક અઠવાડિયાની અંદર ફિલ્મની કમાણીનો આંકડો 300 કરોડને પાર પહોંચ્યો છે. અને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ભાવનગરના નિરેન ભટ્ટે જ લખી છે.
તેવામાં આ સુપરહિટ ફિલ્મની અનેક અજાણી વાતો અને આ ફિલ્મની સફળતાના સિક્રેટને આપના સુધી પહોંચાડવા અમે નિરેન ભટ્ટ સાથે ખાસ વાતચીત કરી
છેલ્લા કેટલાક સમયથી હિટ ફિલ્મો જોઈને લાગતું કે લોકોને સાવ આવું જોઈએ છે?
સ્ત્રી-2એ એક અઠવાડિયાની અંદર 300 કરોડની કમાણી કરી છે તમે આ અંગે શું કહેશો? આ પ્રશ્નના જવાબમાં નિરેન ભટ્ટ કહે છે કે હું આંકડાઓમાં વધુ માનનારો વ્યક્તિ નથી. પરંતુ ઈન્ડસ્ટ્રી માટે અને લોકો માટે આવી એક ફિલ્મની જરૂર હતી. છેલ્લા થોડા સમયથી જે ફિલ્મોએ કમાણી કરી મોટા ભાગની એક્શન ફિલ્મો જે અરૂચિ ટાઈપ હતી. આપણને પણ ક્ષોભ થાય કે આટલી ખરાબ ફિલ્મો કેવી રીતે ચાલી શકે અને પૈસા બનાવી શકે? એટલે થોડા સમયથી મારી આજુબાજુમાં રહેલા લોકો અને મારા મિત્રો અને દિગદર્શકો પણ મુંજવણમાં હતા એ આ શું થઈ રહ્યું છે? શું આપણને આવડે છે એ બધું ખોટું છે? આપણે લખેલી ફિલ્મો પૈસા કેમ નથી કમાતી? એક એક્ઝિસટેન્શિયલ (EXISTENTIAL CRISIS) ક્રાઈસિસ થાય આપણને પાયાના સવાલો થાય કે આપણે જે લઈએ છીએ એ લોકોને જોવું નથી ગમતું કે શું?. લોકોને સ્લો મોશનમાં ચાલતો હીરો જે પચાસ લોકોને મારી નાખે એવું જ જોવું છે? અને જો એવું જ હોય તો આપણને જે સ્ટોરી ટેલિંગ, વાર્તા કહેતા અને લોકોને રડાવતા આવડે છે તેની કોઈ કિંમત ખરી? આ મુંઝવણના સમયમાં એક આવી ફિલ્મ આવી જેનાથી આત્મ વિશ્વાસમાં વધારો થયો અને લાગ્યું કે એવું નથી હોતું જો તમે સારી વાર્તા કહેશો તો લોકો તેને વધાવી લેશે અને તેને સારો પ્રતિસાદ પણ મળશે. અમુલ લોકોએ massની ખોટી વ્યાખ્યાઓ કરેલી તે ખોટી પૂરવાર થાય તેનાથી આપણે નાનપણમાં ભણેલા તેના પર ફરી વિશ્વાસ થાય કે માસ એટલે વોલ્યુમ/ ડેન્સિટી જ થાય બીજું કંઈ ન થાય
વરુણ ધવન અને ક્રિતી સેનન સાથે સેટ પર નિરેન ભટ્ટ
માર્કેટ પ્રેશરના કારણે સિક્વલ નથી બનાવી એટલે હીટ ગઈ
મોટા ભાગની સિક્વલ (સિક્વલ એટલે ઉદાહરણ તરીકે ધૂમ પછી ધૂમ-2 બને) સફળ નથી જતી તેની પાછળનું કારણ જણાવતાં તેઓ કહે છે કે, સિક્વલ બનાવનારા પર મોટા માર્કેટનો ફોર્સ હોય છે. વ્યક્તિ પર માર્કેટ ફોર્સ હાવી થઈ જાય છે.મેકર્સ પાસે સારી વાર્તા છે એટલે સિક્વલ બનાવવી હોય છે એવું નથી હોતું પરંતુ આગળની ફિલ્મે વધારે સારી કમાણી કરી હોય એટલે સિક્વલ બનાવવાનું પ્રેશર હોય છે.અને સારી કમાણી હોય એટલે પ્રોડ્યુસર અને એક્ટર્સ પણ તૈયાર હોય છે.ઘણીવાર લોકોની ડિમાન્ડ હોય એટલે પણ સિક્વલ બનતી હોય છે. પણ મોટી વાત એ છે કે ખૂબ ઓછી સિક્વલમાં પહેલી ફિલ્મ સાથે બીજી ફિલ્મની સ્ટોરી કનેક્ટ થતી હોય છે. પરંતુ સ્ત્રી-2માં એવું છે.સ્ત્રી-2ની વાર્તા એ સ્ત્રીનું જ એક્સ્ટેન્શન છે. અમને સ્ત્રી-2ની વાર્તાનું બીજ સ્ત્રીમાંથી જ મળ્યું છે.ફિલ્મના પાત્રો પણ એના એ જ છે. સ્ત્રી-2નાં સ્ત્રી ફિલ્મ સાથે એક નહીં અનેક ક્નેક્શન છે. બંન્ને ફિલ્મ મળીને એક વાર્તા પૂરી થાય છે. જેમ કે, સ્ત્રીમાં શ્રધ્ધા કપૂર આવે છે અને બીજા ફિલ્મમાં એ કોણ છે અને તેની બધી હકિકત બહાર આવે છે. આમ આખું સર્કલ પૂરું થાય છે. ખાલી બનાવવા ખાતર અને પૈસા બનાવવા આ ફિલ્મની સિક્વલ નથી બનાવી. એટલે જ સ્ત્રી-2ને બનાવતા કદાચ 6 વર્ષ થયા છે. બીજી સિક્વલો હિટ કેમ નથી જતી એ વિશે મારે વધારે નથી કહેવું પણ મોટે ભાગે જો માત્ર માર્કેટના પ્રેશરને લીધે સિક્વલ બની હોય અથવા વાર્તા નબળી હોય ત્યારે સિક્વલ નથી ચાલતી હોતી.
ફિલ્મના શૂટિંગ સમયે સેટ પર નિરેન ભટ્ટ
ફિલ્મનો સૌથી ફેમસ સીન કપરી પરિસ્થિતિમાં શૂટ થયો
આ ફિલ્મ સાથે જોડાયેલા અનેક યાદગાર પ્રસંગો જણાવતાં તેઓ કહે છે કે, અમે ખૂબ વિકટ પરિસ્થિતિમાં આ ફિલ્મનું શૂટિંગ કર્યું છે. આટલા બધા સ્ટાર્સની તારીખો મેચ કરવી ખૂબ અઘરી હોય છે. આ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશના ચંદેરી નામના નાનકળા ગામમાં થયું છે. શૂટિંગનો પહેલો ફેઝ ચાલું કર્યો ત્યારે વરસાદની સિઝન હતી ખૂબ વરસાદ વરસતો હતો અને તે વચ્ચે ફિલ્મનું શૂટિંગ કરવાનું હતું. કેટલાક ફિલ્મના સીન તો ધોધમાર વરસાદની વચ્ચે કપરી પરિસ્થિતિમાં શૂટ થયા છે. જેમ કે, ફિલ્મમાં એક સીન આવે છે જ્યારે બધા ‘જના’ (ફિલ્મનું એક પાત્ર)ના ઘરે જાય છે અને તે ડરી ગયેલો હોય છે. અને તેની મા અને રાજકુમાર વચ્ચેનો ડાયલોગ છે. આ સીન શૂટ થતો હતો ત્યારે બહાર ભયંકર વરસાદ હતો. બીજો એક સીન પણ ચોકમાં હતો તે સમયે ચોક પાણીમાં ડૂબેલો હતો. તે સમયે આખા યુનિટને તે શૂટિંગ કરવાનું ખૂબ મુશ્કેલ કામ હતું. રાજકુમાર રાવ,અભિષેક બેનર્જી, પંકજ ત્રિપાઠી સહિતના કલાકારોએ અમે લખેલી વાતને ખૂબ સારી રીતે ઈમ્પ્રૂવ કરીને ભજવી જાણી છે. આ લોકો ઈમ્પ્રૂમાઈઝેશનના માસ્ટર છે. ચીંટી-ચીંટી વાળા સીન અને અક્ષય કુમારના સીન શૂટ થયો એ વખતે અમે સેટ પર જ હસી હસીને આડા પડી ગયા હતા. અનેક કિસ્સાઓમાં અમે હસતા જતા અને શૂટિંગ ચાલતું હતું.અમે પણ નહોતુ વિચાર્યું કે આટલી સારી ફિલ્મ થશે. આ એક્ટર્સ,ડિરેક્ટર્સ સહિત આખા ટીમની મહેનત છે જેને કારણે આ શક્ય થઈ શક્યું.
સ્ત્રી-2માં પોતાની એક્ટિંગથી સૌનું ધ્યાન ખેંચનાર અભિષેક બેનર્જી
આ રીતે નિરેન ભટ્ટ સ્ક્રિપ્ટ લખે છે જે તેમની સફળતાનું રહસ્ય છે
અમે નિરેન ભટ્ટને તેમની સ્ક્રિપ્ટ રાઈટિંગ સ્ટાઈલ વિશે પણ પૂછ્યું જેના જવાબમાં તેમણે કહ્યું કે, અમારી સ્ક્રિપ્ટ રાઈટિંગની એક ખાસિયત અને એક ચોક્કસ પદ્ધતિ હોય છે. મારા અને અમર કૌશિક (ડિરેક્ટર) દ્વારા સ્ક્રિપ્ટના ડ્રાફ્ટ તૈયાર કરેલા હોય છે. શૂટિંગ વખતે આખી ડિટેઈલમાં સ્ક્રિપ્ટ અમારી પાસે રેડી હોય છે. શૂટિંગ સમયે પણ સેટ પર હંમેશા હું હાજર રહું છું. હું અને કૌશિક શૂટિંગ સમયે મોનિટર પર બેસીએ છીએ. સીન શૂટ થઈ ગયા પછી ચેક કરવામાં આવે છે કે આપણે જે વિચાર્યું હતું તે પ્રમાણમાં શૂટ થયું છે કે નહીં. જો જરૂર જણાય તો તે જ સમયે તેમાં ઈમ્પ્રૂવાઈઝેશન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત એક વિશેષ પ્રેક્ટિસ એ છે કે જ્યારે સીન શૂટ થવાનો હોય તેની આગલી રાત્રે સેટના નિરિક્ષણ બાદ હું ફરી એકવાર સીન લખું છું. અગાઉ મેં 4-5 વખત સીન લખીને ફાઈનલ કરેલો હોય છે પરંતુ શૂટિંગની આગલી રાત્રે ફરી એકવાર હું સીન લખું છું અને પરિસ્થિતિને ધ્યાને લઈને કંઈ ફેરફારની જરૂર હોય તો કરું છું. કારણ કે શૂટિંગ સમયે સેટ પર તમને અનેક પાસાઓ ધ્યાને આવે છે. આગળ શૂટ થઈ ચૂકેલા સીનમાં એક્ટરની એક્ટિંગ પરથી પણ ફેરફાર કરવાની પ્રેરણા મળે છે. વરુણ ધવન હોય આયુષ્માન ખુરાના હોય કે રાજકુમાર રાવ હોય શૂટિંગ સમયે તેમની પણ હેલ્પથી ઘણી વખત ઈમ્પ્રૂવાઈઝેશન થતું હોય છે. અને આ સારી ફિલ્મો તેનું જ પરિણામ છે.
સ્ત્રી-2 ફિલ્મનું ગુજરાતી ફિલ્મ બે-યાર સાથે ખાસ કનેક્શન
નિરેન ભટ્ટે ભેડિયા,મુંજયા અને હવે સ્ત્રી-2 એમ ઉપરા-ઉપરી ત્રણ હોરર કોમેડી લખી. શું હવે તેમને હોરર કોમેડી લખવામાં જ રસ છે? આ પ્રશ્ન અમે જ્યારે નિરેન ભટ્ટને પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે, ફ્રેન્કલી કહું તો સ્ત્રી-2 એ હોરર કોમેડી છે એ માત્ર એક ટેગ છે. લોકો એ માત્ર ટેગ ભલે લગાડ્યું હોય પરંતુ સાચી વાત એમ છે કે હંમેશા સારી વાર્તા જ સફળ થતી હોય છે પછી તે કોઈ પણ ઝોનરની હોય સારી વાર્તા હમેંશા સફળ થાય છે. સ્ત્રી-2માં મિત્રોનું તમને જે ક્નેક્શન દેખાય છે કે એકબીજાની મજાક ઉડાવતા હોય એકબીજા ની ટાંગ ખેંચતા હોય આ જ કનેક્શન તમને મારી ગુજરાતી ફિલ્મ બે યારમાં પણ દેખાશે. પ્રતિક-દિવ્યાંગ અને કવિન દવે ત્રણેય વચ્ચેની જે મિત્રતા અને રેપો છે તે જ રેપો તમને સ્ત્રીમાં રાજકુમાર-અભિષેક અને અબ્બારમાં દેખાશે. ટૂંકમાં કથાના જે સૂત્રો હોય છે તે સરખા જ રહે છે માત્ર વાર્તા બદલાતી હોય છે. લોકોને જે વસ્તુનો ખરો સ્વાદ આવી રહ્યો હોય છે તે હોરર કોમેડીનો નહીં પરંતુ કંઈક બીજી વસ્તુનો હોય છે. લોકોને સારી વાર્તા, સારા પાત્રોની મજા આવતી હોય છે અને તે કોઈ પણ ઝોનરમાં હોઈ શકે છે.
ગુજરાતી ફિલ્મ બે યારનું પોસ્ટર
‘સ્ત્રી-2 એટલે સફળ થઈ કારણ કે તે માત્ર હોરર નથી’
નિરેન ભટ્ટ કહે છે કે,આ ફિલ્મને અમે ઈચ્છેત તો અમે માત્ર હોરર બતાવી શક્યા હોત.એવું કર્યું હોત તો એ એટલી ડરામણી ફિલ્મ બની હોત અને બધા ફિલ્મ જોઈને ખૂબ ડરી ગયા હોત. પરંતુ પહેલેથી અમારો આશય કોઈને ડરાવવાનો બિલકુલ નહોતો. સ્ત્રી-2 ફિલ્મમાં હોરર એ માત્ર એક એલિમેન્ટ છે. આ સિવાય ફિલ્મમાં લવ સ્ટોરી પણ છે, મિત્રતાની વાત પણ છે, હ્યુમર પણ છે અને એક સારો સંદેશ પણ છે. જેને જે જોઈએ એ તેનો આનંદ લઈ શકે છે. એટલે હું નથી માનતો કે સ્ત્રી-2એ માત્ર હોરર કોમેડી ફિલ્મ છે. છેલ્લા એક વર્ષમાં 15 જેટલી હોરર કોમેડી ફિલ્મ બની છે પરંતુ તે નથી ચાલી. આ ફિલ્મ પણ હોરર-કોમેડી ફિલ્મના ટેગને કારણે નહીં પરંતુ તેની વાર્તાને કારણે સફળ થઈ છે.
મારવેલ્સની જેમ યુનિવર્સ ઊભું કરવાનો પ્રયત્ન
હા ચોક્કસ મેડડોક ફિલ્મ પણ મારવેલની જેમ યુનિવર્સ બનાવવાનો પ્રયત્ન કરે છે. ભેડિયાનો લાસ્ટ સીન અમે એટલે જ જાણી જોઈને નાખ્યો હતો. ભેડિયા ફિલ્મમાં છેક સુધી અભિષેક બેનર્જીનું નામ જે.ડી છે. ભેડિયામાં છેલ્લે રિવિલ થાય છે કે જેડીનું પૂરું નામ જનાર્દન છે અને આ એજ વ્યક્તિ છે જે સ્ત્રીમાં હતો. JDને તેના મિત્રો બોલાવવા આવે છે તે ભેડિયાનો છેલ્લો સીન હતો તે જ સીન સ્ત્રી-2 ફિલ્મમાં 35મી મિનિટે આવે છે. કારણ કે ત્યારે સ્ત્રીને બોલાવવાની હોય છે અને બધા વિચારીને નક્કી કરે છે કે સ્ત્રીને તો જના (JD)બોલાવશે અને જ તેના ઘરે ટકોરા પડે છે. અમે એક યુનિવર્સ બનાવવા ઈચ્છીએ છીએ એટલે જ બધા પાત્રોને એકબીજા સાથે ક્નેક્ટેડ રાખ્યા છે. વરુણ ધવન પણ સ્ત્રી-2માં એટલે જ આવે છે. મુંઝ્યા છેલ્લા સીનમાં પણ અભિષેક બેનર્જી અને વરુણ ધવન પણ સાથે હોય છે એટલે આ રીતે સ્ત્રી-2 અને મુજયા પણ કનેક્ટેડ છે.
વરુણ ધવન ‘ભેડિયા’ બન્યો હવે આયુષ્માન ખુરાના ‘વેમ્પાયર’ બનશે?
અમે આ યુનિવર્સમાં એક કેરેક્ટર એડ કરવાનું વિચારી રહ્યા છીએ. જેનું નામ વેમ્પાયર હશે અને આ પાત્ર આયુષ્માન ખુરાના ભજવશે તે લગભગ નક્કી છે. આગામી આ ફિલ્મમાં વેમ્પાયરનું કેરેક્ટર દેખાશે. જો કે, આ ફિલ્મનું નામ ફાઈનલ નથી થયું પરંતુ બે-ત્રણ નામ વિચારણા હેઠળ છે. પ્રોડ્યુસરે ‘થામા’ નામ વિચાર્યું છે જ્યારે કેટલાક લોકોએ ‘વેમ્પાયર ઓફ વિજયનગર’ નામ સજેસ્ટ કર્યું છે. હવે જોઈએ છીએ કે કયુ નામ નક્કી થાય છે. પરંતુ આ ફિલ્મ પર કામ શરૂ થઈ ગયું છે
ડાબેથી વરુણ ધવન અને આયુષ્માન ખુરાના
‘કોઈને ઈમેજિન કરી સ્ક્રિપ્ટ નથી લખતો, કેટલાક એક્ટર્સ સવાયું ભજવી જાણે છે’
શું નિરેન ભટ્ટ કોઈ એક્ટરને વિચારીને સીન લખે છે? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે જ્યારે હું સીન લખવા બેસું ત્યારે મોટે ભાગે કોઈ એક્ટરને ધ્યાને લઈને સ્ક્રિપ્ટ નથી લખતો. અને ક્યારેક હું ઈમેજિન કરીને લખતો હોય તો તે હંમેશા જુના જમાનાના એક્ટર્સ હોય છે અથવા મે નવલકથામાં વાંચેલું પાત્ર હોય તેને ઈમેજિન કરીને હું સ્ક્રિપ્ટ લખું છું.જો કે, સ્ત્રી જેવા કેટલાક ફિલ્મોમાં તો નક્કી જ હોય છે કે આ કેરેક્ટર આ જ અભિનેતા ભજવવાનો છે જેમ કે સ્ત્રી-2માં રાજકુમાર રાવ. અનેક એક્ટર્સ એવા છે જે મારી કલ્પના હોય તે મૂજબના સીન ભજવી જાણે છે. સૌથી મોટું ઉદાહરણ આપું તો પ્રતિક ગાંધી. વેન્ટિલેટરમાં પિતા સાથેનો સીન હોય કે પછી બે-યારમાં ફ્રેન્ચ વ્યક્તિ સાથેનો સીન તે ખૂબ સારી રીતે તેને ભજવી જાણે છે. પ્રતિક એટલો ફેન્ટાસ્ટિક એક્ટર છે કે તમે જે વિચાર્યું હોય તેનાથી બમણું ભજવીને તે તમને આપે છે. આ સિવાય પણ રાજકુમાર રાવ,વરુણ ધવન, આયુષ્માન ખુરાના, પંકજ ત્રિપાઠી અને મનોજ વાજપેયી જેવા એક્ટર્સ પણ સીનને ખૂબ સારી રીતે ભજવી જાણે છે. આ ઉપરાંત પણ અનેક એક્ટર્સ છે પરંતુ દરેકના નામ લેવા શક્ય નથી. દિલિપ જોશી પણ તારક મહેતામાં હંમેશા લખ્યું હોય તેનાથી વધુ મનોરંજક રીતે ભજવી જાણે છે.
એક્ટર પ્રતીક ગાંધી
‘નજીકના ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મ લખવાની ઈચ્છા છે’
હવે નિરેન ભટ્ટે લખેલી ગુજરાતી સુપર હીટ ફિલ્મ ક્યારે આવશે? તેના જવાબમાં તેઓ કહે છે કે, ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મારા અનેક મિત્રો કહે છે કે આપણે એક ગુજરાતી ફિલ્મ બનાવીએ. મારી પણ ઈચ્છા છે કે એક ગુજરાતી ફિલ્મ લખું. જો કે, હાલમાં અહીંયા જ સ્ક્રિપ્ટનું ભારણ એટલું હોય છે કે આખી ફિલ્મો નથી લખી શકતો. જો કે, ગીતો લખવાનું કામ તો સતત ચાલ્યા કરે છે. હમણા જ મારા લખેલા ગીતો વાળી ઘણી ગુજરાતી ફિલ્મો આવી. વેનિલા આઈસ્ક્રીમ અને બિલ્ડર બોયઝમાં મે ગીતો લખ્યા છે. પરંતુ હું ખૂબ જલ્દી એક ગુજરાતી ફિલ્મ લખીશ એવી મને આશા છે
ગીતકાર નિરેન ભટ્ટ અને ફિલ્મ લેખક નિરેન ભટ્ટ વચ્ચે સંઘર્ષ થાય છે
તેઓ કહે છે કે, હંમેશા ગીતકાર નિરેન ભટ્ટ અને ફિલ્મ લેખક નિરેન ભટ્ટ સાથે સતત સંઘર્ષ ચાલ્યા કરે છે. જો કે, હું અંદરથી મારી જાતને ગીતકાર જ માનું છું.મારે ક્યારેક માત્ર સ્ક્રિન પ્લે રાઈટર નથી બનવું. સ્ક્રિન પ્લે રાઈટરના કામમાં કાળી મજૂરી છે તે ખૂબ મહેનતનું કામ છે. સ્ત્રી-2 ફિલ્મની સ્ક્રિપ્ટ 120 પેજની જ છે પરંતુ મે તેને 15 થી 16 વાર લખી છે. મેં 120 પેજની સ્ક્રિપ્ટ તૈયાર કરવા ઓછામાં ઓછા 1000 થી 1200 પેજ લખ્યા હશે. મેં સ્ત્રી-2ના દરેક ભજવાયેલા સીનનાં ઓપ્શનમાં ચાર સીન લખ્યા હતાં. હ્યુમર લખીએ ત્યારે એક જ લાઈન દસ રીતે લખવાની હોય છે તેમાંથી એક લાઈન પસંદ આવે છે. ક્યારેક તમારી પસંદની લાઈન ડિરેક્ટર કે એક્ટરને પસંદ ન પડે તેમને હીટ ન થાય ત્યારે ફરી તમારે બીજી લાઈનો લખવી પડે છે. એક લાઈન માટે આટલી મહેનત હોય તો સમજો 120 પેજમાં કેટલી મહેનત પડે છે. બીજી તરફ ગીતો લખવામાં એવું નથી. કવિતા અને ગીત તમારી અંદરથી આવે છે. તમારે તેની માટે વધારે મહેનત નથી કરવી પડતી તમારે માત્ર વિચારવાનું હોય છે. એટલે જ હું ગીતો લખું છું અને મને સૌથી વધારે આનંદ ગીતો લખવામાં જ આવે છે. વ્હાલમ આવોને.. ગોરી રાધાને કાળો કાન.. ભાડાના મકાનમાં…પાપા પગલી… જેવા ગુજરાતી સુપરહિટ ગીતો લખવાની મને મજા પડી હતી.આ ગીતો લોકો સાથે પણ ખૂબ ક્નેક્ટ થાય છે અને તે મને પણ ખૂબ સુખ આપે છે.
ફિલ્મના સેટ પર વરુણ ધવન સાથે નિરેન ભટ્ટ
નોકરી છોડીને ગમતું કામ પકડવામાં આટલું ધ્યાન રાખવું જોઈએ
મને નાનપણથી જ લખવું ગમતું હતું. પરંતુ ભણીગણીને કોઈ બીજું કામ કરતો હતો. કંપનીમાં નોકરી કરતો હતો. મેં ગમતા કામ માટે તે નોકરી મૂકી દીધી. પરંતુ મેં અચાનક તે નોકરી નથી મૂકી. ચાર વર્ષ હું નોકરી પણ કરતો અને લખતો પણ હતો. સવારે 8 વાગ્યે નીકળતો અને 6 વાગ્યા સુધી નોકરી કરતો હતો. એ પછી નાટકના રિહર્લસલમાં જતો અને આ પછી રાત્રે 10:30 વાગ્યે જમીને લખવા બેસતો હતો અને સવારના 3 વાગ્યા સુધી લખતો હતો. આવી રીતે સતત મેં ચાર વર્ષ સુધી કામ કર્યું છે. મારી પાસે આવકનો કોઈ બીજો સ્ત્રોત નહોતો. અને જીવનમાં પૈસા ખૂબ જરુરી છે. પૈસા હશે તો જ તમે સારું કામ કરી શકશો. નહીંતર એવું કામ કરવું પડશે જેમાંથી માત્ર પૈસા જ મળશે જે ક્રિએટિવ બિલકુલ નહીં હોય. જ્યારે મને લેખનમાંથી પૈસા મળવાના ચાલુ થયા એ પછી મેં નોકરી મૂકી હતી. ઘણા લોકો હું લેખક છું એવું ખાલી વિચારીને આગળનું આયોજન કર્યા વગર આ ક્ષેત્રમાં કૂદી પડતા હોય છે એવું ન કરવું જોઈએ. પરંતુ જો તમારા પર ઘરની જવાબદારી ન હોય અથવા તમારી પાસે સારા એવા પૈસા હોય અને તમને આ કામમાં રસ હોય તો વધુ વિચાર્યા વગર આ ક્ષેત્રમાં કૂદી જવું જોઈએ. મેં નોકરી છોડી ત્યારે હું 34 વર્ષનો હતો. મારા લગ્ન થઈ ગયા હતા. મારે નાની દીકરી છે. હું મુંબઈમાં નવો હતો. એટલે મારી માટે નોકરી વગર ટકી રહેવું મુશ્કેલ હતું તેથી મારે ચાર વર્ષ માટે રાહ જોવી પડી હતી. તમને જો આ ક્ષેત્રમાં કામ કરવું ગમતું હોય તો કૂદી પડો. શરૂઆતમાં મહેનત ખૂબ પડશે પરંતુ મજા પડશે. ક્યારેક મારે પણ કામ સાથે બાંધછોડ કરવી પડી છે. કેટલાક પ્રોજેક્ટ માત્ર પૈસા માટે જ કરવા પડે છે, પરંતુ આ બધુ શરૂઆતના ફેઝમાં હોય છે.
‘સિરિયલને મેકર્સ દૂઝણી ગાય સમજે છે’
નિરેન ભટ્ટ સિરિયલો લખવામાંથી ફિલ્મો લખવા તરફ કેમ વળ્યા? જેના જવાબમાં તેઓ કહે છે કે, સિરિયલોમાં સૌથી મોટી એક તકલીફ એ છે કે ગુજરાતીમાં દૂઝણી ગાયને લઈ એક કહેવત છે.સિરિયલના મેકર્સ હવે સિરિયલને દૂઝણી ગાયની રીતે જોવા મંડ્યા છે. ગાય તમને દૂધ આપે છે તો જ્યાં સુધી આપતી રહે ત્યાં સુધી નીચોવી લો. પરંતુ કોઈ એક ક્રિએટીવ વસ્તુ હોય તેની એક લિમિટ હોય છે. તેને એક હદથી વધારે લંબાવવાની કોશિશ કરતો તો તેમાંથી રસ નીકળી જશે. સિરિયલ્સ સાથે વર્તમાન સમયમાં કંઈક એવું જ થાય છે. આપણે વાર્તાને વધું ખેંચી રહ્યા છીએ આ વાતની અનુભૂતિ તમને સિરિયલ લખતી વખતે પણ થાય છે. એવું નથી કે સિરિયલ લખવામાં કંઈ નથી તમને પૈસા મળે છે અને આદર પણ મળે છે પરંતુ આ રીતે કામ કરવામાં મજા નથી આવતી. અને એક સત્ય એ પણ છે કે અમારી પેઢી અને તમારી પેઢી માટે ટેલિવિઝન અને OTT ક્યારેય પ્રાયોરિટી નહોતા અને હાલ પણ નથી. કારણ કે આપણા માટે હંમેશા સિનેમાનો મોટો પડદો જ મહત્વનો રહ્યો છે. હું જેટલા પણ ઈન્ફ્લુઅન્સર કે સોશિયલ મીડિયાના સેલિબ્રિટીઝને મળ્યો છું તેમનું પણ એક સપનું એ જ હોય છે કે મારે એકવાર ફિલ્મમાં કામ કરવું છે એટલે આપણા દેશમાં એ કોમન વાત છે.ફિલ્મો તરફ વળવાનું બીજું એક મોટું કારણ એ છે કે સિરિયલમાં ખુબ ટાઈમ કન્ઝ્યુમ થાય છે. રોજ શૂટિંગ હોય અને તમારે રોજ લખવાનું હોય છે રોજ 20 પેજ લખી આપવાના હોય છે જ્યારે ફિલ્મની 120 પેજની એક સ્ક્રિપ્ટ લખવામાં તમે બે-અઢી વર્ષનો સમય લઈ શકો છો.
‘આ ફિલ્મ લખવાનું મળ્યું હોત તો મજા પડી જાત!’
નિરેન ભટ્ટ કહે છે કે, હવે તો દરેક ફિલ્મને એ જ રીતે જોતો હોઉં છું કે આ ફિલ્મ જો હું લખું તો આમાં શું બેટર કરી શકું. અથવા તો કેટલીક ફિલ્મને જોઈને એવું પણ થાય છે કે શું વાત છે યાર કેટલું જોરદાર કામ કર્યું છે આવું કંઈક આપણે કેમ ન લખી શક્યા. લાપતા લેડીઝ, 12TH ફેઈલ જેવી ફિલ્મો જોઈને ચોક્કસ આવું થાય. મેં હમણાં મહારાજા ફિલ્મ જોઈ તે જોઈને પણ મને એવું લાગ્યું. હોલિવુડની ઓપન હાઈમર ફિલ્મ જોઈને મને એમ થાય છે કે આપણે કોઈ સાઈન્ટિસ્ટ (વૈજ્ઞાનિક) પર આવી સ્ટોરી કેમ ન કરી શક્યા. મલયાલમ ભાષાની ઉદલપુર જેવી ફિલ્મો જોઈને પણ આવું થાય છે.
નિરેન ભટ્ટે લખેલી અક્ષય કુમારની ફિલ્મ આવશે
પોતાના અપકમિંગ પ્રોજેક્ટ અંગે વાત કરતા નિરેન ભટ્ટ જણાવે છે કે, મેં એકલા હાથે આખી ફિલ્મ લખાઈ હોય તેવી ફિલ્મ તો નથી પરંતુ મેં જેમાં સ્ક્રિપ્ટના ડૉક્ટર તરીકે યોગદાન આપ્યું હોય તેવી ફિલ્મ આવશે, એ હશે વેમ્પાયર કેરેક્ટર વાળી. જે મેડેડોક યુનિવર્સનું નવું કેરેક્ટર હશે. આ ઉપરાંત સ્કાય ફોર્સ કરીને વોર ફિલ્મ આવશે જેમાં અક્ષય કુમાર અભિનય કરશે. આ ફિલ્મમાં વિર બહારિયા નામનો એક્ટર લોન્ચ થશે.
સ્ત્રી-2માં સ્ત્રીનો રોલ અમદાવાદની યુવતીએ કર્યો છે
સ્ત્રી-2માં જેને સ્ત્રીનો રોલ કર્યો છે તે એક ગુજરાતીએ કર્યો છે. સ્ત્રી-2માં આ રોલ ભૂમિ રાજગોરે કર્યો છે. જે અમદાવાદની છે. સ્ત્રી-1માં આ કામ અન્ય અભિનેત્રીએ કર્યું હતું. નિરેન ભટ્ટે ભૂમિ રાજગોરના વખાણ કરતાં કહ્યું કે આ અભિનેત્રીએ સ્ત્રીનું પાત્ર ખૂબ સારી રીતે ભજવી જાણ્યું છે
સ્ત્રી-2માં સ્ત્રીનું પાત્ર ભજવનાર ભૂમિ રાજગોર
છેલ્લે પોતાની વાત પૂરી કરતા નિરેન ભટ્ટ કહે છે કે મને નાટક લખવાની પણ ઈચ્છા થાય છે. મારી હાલમાં જ ઉમેશ શુક્લ સાથે વાત થઈ છે. જેમની સાથે મેં નાટક લખવાની શરૂઆત કરી હતી. અમારી ઈચ્છા છે કે અમે અગાઉ કરેલા નાટકને ફરી લોન્ચ કરીએ અને તેને ફરી નવા અંદાજમાં રજૂ કરીએ. પ્રતીક ગાંધી સાથે પણ મારી નાટકને લઈને વાતચીત થાય છે તેમણે પણ નાટક કરવાની ખૂબ ઈચ્છા છે. મને નાટક લખવામાં જ સૌથી વધુ સંતોષ મળે છે. અને મને ગુજરાતી લખવામાં જ સૌથી વધુ મજા પડે છે.