Bardoli News: ગુજરાતમાં આપઘાતના કિસ્સા ચિંતાજનહદે વધ્યાં છે. આપઘાતના કિસ્સામાં મુખ્યત્વે કેરિયરની ચિંતા, નાપાસ થવાના ડર સહિતના કારણોસર આપઘાત કરનારાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. આ દરમિયાન બારડોલીના ભુવાસણ ગામની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં 16 વર્ષીય વિદ્યાર્થિનીએ ગાળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહ કબજે કરી વધુ તપાસ હાથધરી હતી.
આપઘાતનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી
મળતી માહિતી અનુસાર, ભુવાસણ ગામની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં સોમવારે (24મી માર્ચ) પ્રાર્થના સભામાં બે વિદ્યાર્થિનીની ગેરહાજરી નોંધાઈ હતી. તપાસ દરમિયાન 16 વર્ષીય રાધિકા નામની વિદ્યાર્થિનીએ આશ્રમના ત્રીજા માળે નવા બની રહેલા બાથરૂમમાં દુપટ્ટાથી ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આશ્રમ શાળાના સંચાલકોએ આ અંગે પોલીસ, શાળાના ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થિનીના વાલીને જાણ કરી હતી. હાલ પોલીસે શાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન લેવાનું શરૂ કરી દીધું છે. આપઘાતનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.
જામનગરમાં 15 વર્ષની વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાધો
ઉલ્લેખનીય છે કે, 23મી માર્ચે જામનગરના હાપા વિસ્તારમાં રામદેવપીરના મંદિર નજીક 15 વર્ષીય દીક્ષિતા સોયગામાએ આપઘાત કર્યો હતો. મૃતકના પિતાએ પોલીસમાં આપેલા નિવેદન અનુસાર, શાળાના શિક્ષકે તરૂણીનો બેગ ચેક કરતા તેમાંથી મોબાઈલ મળ્યો હતો. આ દરમિયાન તરૂણીએ શિક્ષકને કહ્યું હતું કે, પિતા તથા મારી દાદીને આ બાબતની જાણ ન કરતા તે મને મારશે. આ ઘટના બન્યા બાદ સતત ગુમસુમ રહેતી તરુણીને મનમા લાગી આવ્યું અને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.