‘અમે ગરીબ પરિવારના છીએ, જીવનમાં બીજું કઈ દાન કરી શકીએ તેમ નથી. પણ મારા પુત્રનું અંગદાન કરીશ’. આ શબ્દો છે નવસારીના ખાપરિયા ગામની વિધવા માતા એવા ઉકીબેનના. જેમણે કઠણ કાળજે નિર્ણય લીધો કે વ્હાલસોયા અમિતના હૃદયનું દાન કરીશ અને તે પણ મુસ્લિમ યુવક સોહેલને.
.
માનો નિર્ણય…મનોદશાનો કરો વિચાર પોતાના સ્વજનને મરણ પથારીએ જુએ એટલે ભલભલા રણબંકા ભાગી પડતા હોય છે. અને એમાં પણ જ્યારે વિધવા માનો આધાર હોય તેવો દીકરો મરણ પથારીએ હોય ત્યારે તો તે માતાની શું મનોદશા હશે તે વિચારીને જ હૃદય કંપી ઉઠે છે.
નવસારીના ખાપરિયા ગામના હિન્દુ યુવકનું હૃદય આણંદના મુસ્લિમ યુવકને ડોનેટ કરાયું હતું
ટ્રાન્સપ્લાન્ટ એક કહાણી ત્રણ માનવીનું હૃદય લાગણીઓથી ભરેલું છે, જ્યારે એક પરિવાર પોતાના વ્હાલસોયાનું હૃદય દાન કરે છે, ત્યારે તેની સાથે તેની લાગણી પણ બંધાઈ જાય છે. આ સાથે જ જેનામાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ થાય છે, તેનામાં પણ ઘણા ફેરફારો થતાં હોય છે અને તે હાર્ટ આપનારના પરિવાર સાથે લાગણીથી બંધાઈ જાય છે. આ સમગ્ર વાતને સમજવા તમારે ત્રણ અલગ અલગ કહાણીઓ વિશે જાણવું પડશે.
મુસ્લિમ યુવક જ હવે એકમાત્ર સહારો જેમાં પહેલી તો હૃદય દેનાર પરિવાર, બીજી હૃદય મેળવનાર અને ત્રીજી આ બધા વચ્ચે હાર્ટ ડોનેટ કરાવવામાં મદદ કરી સેતુ બનાવનારની છે. અહીં ઉલ્લેખનીય છે કે, હાલ હિન્દુ યુવકનું હૃદય મુસ્લિમ યુવકના ધબકી રહ્યું છે અને આ મુસ્લિમ યુવક હાલ હિન્દુ પરિવારનો દીકરો બનીને કાળજી રાખી રહ્યો છે. અહીં એ પણ છે કે હાર્ટ આપનાર પરિવારે એક દીકરો તો પહેલાં જ ગુમાવી દીધો હતો. જ્યારે બીજો દીકરો પણ ગુમાવી દેતા આ મુસ્લિમ યુવક જ હવે તેમનો એકમાત્ર સહારો બની ગયો છે.
પહેલીવાર સોહેલ વોહરા અમિત હળપતિના ઘરે ગયો ત્યારે તેને પોતાના ઘરે આવ્યો એવો અહેસાસ થયો
2017માં જેનું હાર્ટ ડોનેટ કરાયું એ અમિત હળપતિની કહાણી નવસારીના ખાપરિયા ગામમાં આવેલા હળપતિવાસમાં 22 વર્ષીય અમિત રમણભાઈ હળપતિ પરિવાર સાથે રહેતો હતો. પિતાનું તો પહેલા જ અવસાન થઈ ગયું હતું. વિધવા માતા, ભાઈ-ભાભી અને એક પરિણીત બહેનનો પરિવાર. અમિત ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. દરમિયાન 8 જુલાઈના 2017એ અમિત રાતે 8.30 કલાકે પોતાના ગામ ખાપરિયાથી બીલીમોરા પોતાના મિત્ર વિક્રમ સાથે બાઈક ઉપર જતો હતો, ત્યારે ચાંગા ગામ પાસે અચાનક કુતરું રસ્તા વચ્ચે આડું ઉતરતા વિક્રમે બ્રેક મારી હતી. જેથી બાઈક સ્લીપ થઇ જતાં અમિત બાઈક ઉપરથી નીચે પડી ગયો હતો અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં ખારેલમાં આવેલી ગ્રામ સેવા ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.
પરિવારે અંગદાનનો નિર્ણય લીધો અમિતના CT સ્કેન કરાવતાં મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. કેનિયોટોમી સર્જરી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કરાયો હતો. 12 જુલાઈએ અમિતને બ્રેઈનડેડ જાહેર કરાયો. ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી અમિતના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. પરિવારને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતું. અમિતના માતા ઉકીબેન, ભાઈ અજય અને બનેવી રાકેશે જણાવ્યું કે, અમે ગરીબ પરિવારના છીએ, જીવનમાં બીજું કઈ દાન કરી શકીએ તેમ નથી. પરંતુ આજે જ્યારે અમારું સ્વજન બ્રેઈનડેડ છે, ત્યારે તેઓના અંગોનું દાન કરીને ચાર-પાંચ વ્યક્તિને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આગળ વધીએ. જેથી અમિતના કિડની, લિવર, પેન્ક્રિયાસ, હૃદય અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું.
અમિતના ભાઈ અજય સહિતના પરિવારજનોને સોહેલ તેના પરિવાર સાથે મળ્યો હતો
ગુજરાતનું 12માં હૃદયનું દાન હવે આ અમિતના હૃદયનું દાન થયું તે ગુજરાતનું 12માં હૃદયનું દાન હતું. જ્યારે આ હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતનું ત્રીજું હૃદય ટ્રાન્સપ્લાન્ટ હતું. જે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. આ હૃદય આણંદના 36 વર્ષીય સોહેલ વહોરામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
આણંદના મુસ્લિમ પરિવારના એકના એક દીકરાને કેવી રીતે હિન્દુનું હૃદય ડોનેટ થયું? આણંદમાં 43 વર્ષીય સોહેલ અબ્દુલ વહોરા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને ત્રણ દીકરીઓ છે. હૃદયની તકલીફ અંગે 2002માં જાણ થઈ હતી. ત્યારબાદ ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. 2002માં હૃદય પહોળું થયાની જાણ થઈ હતી. જોકે બહુ મોટી અસર થશે, તેનો અંદાજ ન હતો. 2003માં સોહેલના લગ્ન થયા હતા. પહેલા તે દુકાન ચલાવતો હતો. પછી આ તકલીફ થઈ હતી. તેની પત્નીએ પણ બહુ સહન કર્યું છે. યુવક આખી રાત જાગતો અને સૂઈ શકતો પણ ન હતો. 2014માં તેને એક દીકરીનો જન્મ થયો હતો. આ પહેલા 2008માં તેની એક બહેનની દીકરીને એડોપ્ટ કરી હતી. કેમ કે તેને સંતાન થવાની કોઈ આશા હતી નહીં. આ બીમારીના કારણે સંતાનની કોઇ આશા નહોતી. તકલીફ બહુ જ વધી ગઈ હતી.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અંગે પણ ખબર નહોતી 2014 સુધી આખા પરિવારે ખૂબ જ સહન કર્યું હતું. 2014માં પેસમેકર મૂકાવ્યું હતું, ત્યારબાદ દોઢ વર્ષ સારું રહ્યું હતું. પણ ઘણી તકલીફો હતી. ક્યાંય મન લાગતું ન હતું. ક્યાંય જતો ન હતો. જિંદગીથી કોઈ ઉત્સાહ ન હતો. 2010 પછી તો તે ગુજરાતની બહાર ગયો જ ન હતો. કોઈ જગ્યાએ તેને જવાનું મન થતું ન હતું, એવું જ થતું હતું કે, મોત આવે ને ક્યારે જતો રહે. તેને તો ખબર પણ ન હતી કે, તે 2024ને પણ જોઈ શકશે કે નહીં. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અંગે પણ ખબર ન હતી. તે જોઈન્ટ ફેમિલીમાં રહેતો હતો. તે તેના પરિવારનો એકનો એક દીકરો હતો. એકના એક દીકરા માટે આવો કોઈ નિર્ણય કરવાનો હોય તો બધા ગભરાઈ જ ને. ત્યારે હૃદય ટ્રાન્સપ્લાન્ટ પણ થયા ન હતા, એટલે આનાકાની થતી હતી.
દિવ્યાંગ કાકાએ પરિવારને સમજાવ્યો સોહેલ જણાવે છે કે, મારી પત્નીએ બહુ જ સાથ આપ્યો. મારી પત્નીએ પણ બહુ સહન કર્યું છે. મારી પત્નીએ પણ બધી જવાબદારી લઈ લીધી હતી અને ટ્રાન્સપ્લાન્ટ અંગે પરિવારને સમજાવ્યા હતા. ત્યારબાદ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો નિર્ણય કરવાનો હતો. સીમ્સ હોસ્પિટલમાં પહેલું હોર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યારે પણ મને કોલ આવ્યો હતો. જોકે, મેં મનાઈ કરી દીધી હતી. ત્યારબાદ ફરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ બધા વચ્ચે ડો.અજય નાયકે રૂપિયાનું પણ ટેન્શન ન લેવા માટે કહ્યું હતું. રૂપિયાનો બહુ પ્રોબ્લેમ ન હતો. જોકે, લાખોમાં ખર્ચ થવાનો હોવાથી તૈયારીઓ કરી રાખી હતી. ટ્રાન્સપ્લાન્ટ પછી મહિને 25 હજાર ખર્ચ થશે તેવું પણ જણાવ્યું હતું. મારા એક દિવ્યાંગ કાકા ફારૂખભાઈએ મારા પરિવારને સમજાવ્યો હતો. કાકાના સપોર્ટથી જ બધાને સમજાવી શક્યા હતા. આ બધી પ્રોસેસની ફાઈલ બનાવી તમામ મદદ કરી હતી.
અમિતના ભાઈ અજય અને વિધવા માતા વચ્ચે સોહેબ બેસીને અમિતની તસવીર પાસે રાખી હતી
ગુજરાતનું ત્રીજું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ મારું થયું હતું સોહેલ ઉમેરે છે કે, પહેલીવાર ના કહ્યા બાદ બીજીવાર એક વર્ષ બાદ કોલ આવ્યો હતો. ત્યારે સુરતનો એક છોકરો હતો, જેની હાલત મારા કરતા પણ ખરાબ હતી. મને પણ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. ત્યારબાદ તબીબોએ સમજાવતા એ છોકરાને બચાવવા માટે કહ્યું હતું. એટલે કે ગુજરાતના બે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. જ્યારે તેના દોઢ મહિના બાદ ફરી કોલ આવ્યો હતો અને ગુજરાતનું ત્રીજું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ મારું થયું હતું.
મહેસાણાથી હાર્ટ અમદાવાદ પહોંચે એ પહેલાં ફેઈલ! 13 જુલાઈએ મારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું. તે માટે ગાડી, કપડા અને જે સાથે આવવાના હોય તેને તૈયાર રાખવા માટે પહેલા જ કહી દેવામાં આવ્યું હતું. હું તો તૈયાર જ હતો મારી પત્ની પણ માનસિક રીતે તૈયાર થઈ ગઈ હતી. મારી હિંમત મારી પત્ની જ હતી. આ પહેલા એકવાર હું હોસ્પિટલ ગયો હતો ત્યારે મહેસાણાથી હાર્ટ લઈને આવતા સમયે ફેઈલ થઈ ગયું હતું. ત્યારે મને પરત ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારે મને એવું થયું હતું કે, હવે મારા માટે કોઈ ચાન્સ નથી. ઉપરવાલાએ મારી જિંદગી લખી હતી.
મળવા ગયા ત્યારે સોહેલની દીકરીને અમિતની ભાભીએ તેડી હતી
હું આ ફેમિલીના પગ ધોઉં તો પણ ઋણ ચૂકવી શકું નહી 14 જુલાઈએ સીમ્સ હોસ્પિટલ પહોંચતા જ મને આઈસીયુમાં લઈ ગયા હતા અને તેઓએ તેમની પ્રોસેસ શરૂ કરી દીધી હતી. અમિતના પરિવારે પોતાના દીકરાનું હાર્ટ મને આપી નવી જિંદગી આપી હતી. આ માહોલમાં હિન્દુ ફેમિલીએ મને હાર્ટ આપ્યું હતું. એ મોટી વસ્તુ છે. એ પણ ગરીબ ફેમિલી તેમની પાસે આપવા જેવું કઈ ન હતું ને હાર્ટ આપ્યું. હાર્ટ તો સમજ્યા 50-100 રૂપિયા પણ કોઇ આપતું નથી ને મને પોતાના દીકરાનું હાર્ટ આપી દીધું હતું. હું આ ફેમિલીના પગ ધોઉં તો પણ એમનો ઋણ હું ચૂકવી શકું તેમ નથી.
આર્થિક મદદ કરવાનો પ્રયાસ કર્યો, માતાએ મનાઈ કરી ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ એક વર્ષ સુધી ઘરે જ રહ્યો હતો. એક વર્ષ માટે બહાર નીકળવાની મનાઈ હતી, કેમ કે ઈન્ફેક્શન કે એવું કંઈ લાગી જાય. મારા બનેવીને એ ફેમિલીને મળવા મોકલ્યા હતા. એક વર્ષ બાદ બાયોપ્સી થયા બાદ મારા પરિવારે પણ હાર્ટ આપનારના પરિવારને મળવા જવા માટે કહ્યું હતું. જેથી હું મારા પરિવાર સાથે ત્યાં ગયો હતો. ત્યારે આખું ગામ ભેગું થઈ ગયું હતું. મને બહુ સારું લાગ્યું ત્યારે મને એવી ફિલિંગ થઈ કે, હું મારા જ ઘરમાં બેઠો છું. મેં તમને આર્થિક મદદ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, અમિતના માતાએ મનાઈ કરી દીધી હતી.
એકવાર ફેમિલી તો બીજીવાર મિત્રો સાથે અમિતના માતાને મળવા માટે સોહેલ અચૂક જાય છે
અમિતના મમ્મી પણ હવે મારા જ મમ્મી છે માતાએ એવું કહ્યું હતું કે, મને મળવા આવતા રહેજો. મારો અમિત તો જતો રહ્યો, પણ તમે હવે મારી જોડે રહેજો. ગરીબ પરિવાર હતો પણ આર્થિક મદદ પણ લેવાની ના પાડી દીધી હતી. પરિવારે પણ કહ્યું કે, હવે આ તારી ફેમિલી છે, એ રીતે જ રહેવાનું. દર 15 દિવસે હું કોલ કરું છું અથવા હું કોઈ કામમાં હોવ તો એ લોકો કોલ કરે છે. વર્ષમાં બે કે તેથી વધુ વાર હું તેમને મળવા પણ જાઉ છું. એકવાર ફેમિલી તો બીજીવાર મિત્રો સાથે અમિતના માતાને મળવા માટે અચૂક જાઉ છું. ગત રક્ષાબંધને ન જઈ શક્યો તો બે દિવસ બાદ અમિતની બહેનને મળવા ગયો હતો. એક બહેન ભાઈને કહી શકે છે, તે રીતે બધું તે મને કહી શકે છે. મારા માતા-પિતાનું પણ અવસાન થઈ ચૂક્યું છે, તો હવે અમિતના મમ્મી પણ હવે મારા જ મમ્મી છે.
મને મમ્મી કહીને જ બોલાવજો મારી નાની દીકરી જે 4.5 વર્ષની છે, તેને પણ એક વર્ષ પહેલાં ત્યાં લઈને ગયો હતો. એટલે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ મારી નાની દીકરીનો જન્મ થયો છે. તેને જ્યારે અમિતના મમ્મી પાસે લઈ ગયો ત્યારે તે પણ અટેચ થઈ ગઈ હતી. અમિતના મમ્મીને પણ દાદી-દાદી કહીને બોલાવતી હતી. તેની પણ લાગણી તેમની સાથે જોડાઈ ગયેલી હોય તેવો માહોલ બની ગયો હતો. અમિતના માતાને પહેલા જ હું માસી કહેતો હતો. જોકે, પછી તેમણે કહ્યું કે, તમે મને મમ્મી કહીને જ બોલાવજો. તેમને બીજો દીકરો અજય જેમનું પણ 2019માં મોત થયું હતું. જેથી તેમના પરિવારમાં કોઈ દીકરો નથી, તો હું જ તેમનો દીકરો બની ગયો છું.
અમિતનો ભાઈ અજયએ પણ દુનિયાને અલવિદા કરી દીધી ત્યારે વિધવા માનો સહારો બનાવ સોહેલ મદદરૂપ તત્પર છે
ભગવાને અમિતની માતાની સેવા કરવાનો મોકો આપ્યો અમિતના ભાઈ અજયને પણ એક દીકરો છે. તે પણ મને કાકા કહીને જ બોલાવે છે. હું પણ તેને મારા ભત્રીજા તરીકે જ રાખું છું. તે પણ ત્યાં એમ જ કહે છે કે, મારા કાકા મને બધું લઈ આપશે. તેને કંઈ જરૂર હોય તે મને કોલ કરે છે. અમિતના માતા પાસે ફોન નથી. જોકે, જ્યારે વાત કરવી હોય ત્યારે પાડોશમાં કોલ કરું છું અથવા અજયની પત્ની પાસે ફોન છે, તેમાં વાત કરી લઈએ છીએ. માતા અને દીકરાની જે લાગણી હોય છે, તે મારા માતાની તો હું સેવા ન કરી શક્યો પણ ભગવાને અમિતની માતાની સેવા કરવાનો મોકો આપ્યો છે.
હવે હાર્ટ ડોનેશનમાં સેતુ બનેલા વિશે જાણીએ ડોનેટ લાઈફના સંસ્થાપક નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, અમિતના અકસ્માત બાદ બ્રેઈનડેડ થયો હતો. ત્યારબાદ અમિતના પરિવારને અંગદાન માટે સમજણ આપ્યા બાદ અંગોનું દાન થયું હતું. અમિતનું હૃદય મુસ્લિમ યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. સોહેલનું ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ સોહેલની અમિતના પરિવારને મળવાની ઈચ્છા હતી. જ્યારે પરિવાર સોહેલને લઇ અમિતના ઘરે પહોંચ્યા ત્યારે ખૂબ જ ભાવુક દૃશ્યો સર્જાયા હતા. અમિતના માતાએ જણાવ્યું હતું કે, અમિત મારા ઘરે આવ્યો હોય એવું મને લાગે છે. સોહેલે પણ મારા ઘરે જ આવ્યો હોય એવી લાગણી વ્યક્ત કરી હતી.
ગરીબ પરિવારે હૃદયનું દાન કરીને દીકરાને જીવંત રાખ્યો છે
અમિત-સોહેલ બંનેના પરિવાર એકબીજા સાથે લાગણીથી જોડાઈ ગયા છે સોહેલના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ એક દીકરીનો પણ જન્મ થયો છે, જેથી હાલ સોહેલ હેલ્ધી લાઈફ જીવી રહ્યો છે. અમિતના પરિવાર સાથે સતત સંપર્કમાં છે. સોહેલની નાની દીકરી તો અમિતના મમ્મીને દાદી કહીને જ બોલાવે છે. સોહેલ સાથે હું પણ સતત સંપર્કમાં રહું છું. તેની દવા અને સ્વાસ્થ્ય અંગે પૂછતો રહું છું. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ નિયમિત દવાઓ લેવી જોઈએ. અમે તેમનું પણ ફોલોઅપ લેતા હોઈએ છીએ. અમિત અને સોહેલ બંનેના પરિવાર એકબીજા સાથે લાગણીથી જોડાઈ ગયા છે. માનવ ઓર્ગન ડોનેશન છે, એ માનવજીવનનો સૌથી મોટો ધર્મ છે. નાત-જાત ધર્મના વાડા નડતા નથી. તેમની ઉપર જઈને એક સંબંધ વિકસાવ્યો છે.