વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના મહેનતાણા બાબતે સર્જાયેલ વિવાદ બાદ આજે આ મુદ્દે સમીક્ષા કરવા માટે નવી સમિતિની રચના કરવામાં આવી છે. અલગ-અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આ સમિતિ અહેવાલ રજૂ કરશે.
.
મહેનતાણાની રકમમાં થયેલ ઘટાડાને લઈ ભારે વિરોધ નોંધાવ્યો 27મી સપ્ટેમ્બર, 2024ના રોજ પરીક્ષાના મહેનતાણામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ માટે યુનિવર્સિટી તરફથી પરિપત્ર પણ જાહેર કરાયો હતો. 13મી અને 18મી સપ્ટેમ્બર ના રોજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે, જે માર્ચ 2024 અને ત્યારબાદ લેવાયેલી પૂરક પરીક્ષા માટે લાગુ થશે. આ પરિપત્ર બાદ યુનિવર્સિટીના તમામ આચાર્યો અને અધ્યાપકો દ્વારા મહેનતાણાની રકમમાં થયેલ ઘટાડાને લઈ ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
સમિતિ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવશે ભારે વિરોધને જોઈ નર્મદ યુનિવર્સિટી દ્વારા આજે એક સમીક્ષા સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ પરીક્ષાના મહેનતાણા બાબતે એક રિપોર્ટ તૈયાર કરશે. આ પાંચ સભ્યોની સમિતિ છે. સમિતિ દ્વારા ત્રણ મુદ્દા ધ્યાનમાં લેવામાં આવશે. જેમાં યુનિવર્સિટીનું આર્થિક હિત, જુના અને નવા દરની સરખામણી સાથે રાજ્યની અન્ય યુનિવર્સિટીના પરીક્ષાના મહેનતાણા કેટલા છે? ત્યારબાદ સમિતિ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવશે.