સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અરવલ્લી જિલ્લાના ત્રણ વર્ષીય બાળકનો એક અજીબોગરીબ કેસ આવ્યો હતો. જેમાં બાળક ઘરમાં રમી રહ્યો હતો ત્યારે રમતાં રમતાં 40 સેમી લાંબો સળીયો બાળકના મોઢામાં ફસાઈ ગયો હતો. જેમાં 20 સેમી જેટલો સળિયા તો તેના મોંની અ
.
આ અંગેની વિગત એવી છે કે, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નવા વડવાસા ગામના જશુભાઈ ચૌહાણનો ત્રણ વર્ષીય પુત્ર ચિરાગ 8 ઓક્ટોબરે સાંજના સુમારે ઘરમાં રમતો હતો. જે દરમિયાન રિક્ષાના એન્જીનમાં ઓઈલ ગેજ માપવાનો સળીયો જે આગળથી વાંકો હોય છે. જે સળિયા વડે બાળક રમતો હતો. જે દરમિયાન બાળકે રમતાં રમતાં સળિયો મોઢામાં નાખી દીધો હતો. જેથી 40 સેમી લાંબા સળીયાનો 20 સેમી ભાગ બાળકના મોંમાં ઘુસી ગયો હતો. જેને લઈને તાત્કાલિક જશુભાઈ અને તેમની પત્ની બાળકને મોઢામાં સળિયા સાથે હિંમતનગર સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા. જ્યાં તેને તાત્કાલિક ઈમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો. જે બાદ તબીબોએ તપાસ કરી નિષ્ણાત તબીબોને જાણ કરી બાળકનો એક્સરે કર્યો હતો.
હિંમતનગર સિવિલમાં કાન, નાક અને ગળા વિભાગના વડા ડૉ.કીર્તિ અંબાણી, પ્રોફેસર ડૉ.અમિત ચાવડા, ડૉ.પ્રિયંકા પટેલ, સીનીયર રેસીડેન્ટ ડૉ.ઉર્વીશ પટેલ, ડૉ.સાગર જાની, જુનિયર રેસીડેન્ટ ડૉ.વિપુલભાઈ, ડૉ.ખુશ્બુ, ડૉ.કૃતિકા સહિતની ટીમ દ્વારા ઈમરજન્સીમાં ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. અડધો કલાક ચાલેલા ઓપરેશનના અંતે બાળકના મોઢામાં ઘુસી ગયેલો 20 સેમી લાંબો સળીયો બહાર કાઢવામાં આવ્યો હતો અને બાળકને બચાવી લેવાયો હતો.
આ અંગે સીનીયર રેસીડેન્ટ ડૉ.ઉર્વીશ પટેલે જણાવ્યું હતું કે, સળીયો આગળથી વળેલો હતો. જે મોઢામાં થઈને નાકના પાછળના ભાગે મગજ સુધી પહોંચી ગયો હતો. જેને લઈને તાત્કાલિક ઓપરેશન કરવું જરૂરી હતું. જો સળિયાનો આગળનો ભાગ નાજુક અવયવો પર વધુ સમય રહ્યો હોત તો વધુ નુકશાન થઇ શકે તેમ હતું, પરંતુ પરિવારજનોએ બેથી ત્રણ કલાકમાં બાળકને સારવાર માટે લાવતાં બાળકનો બચાવ થયો છે. હાલ બાળકની તબિયત પણ સારી છે.
સિવિલ હોસ્પિટલમાં થાપા-સાંધાના પ્રત્યારોપણની સફળ શસ્ત્રક્રિયા હિંમતનગર સિવિલમાં ત્રણ દિવસ પહેલાં પણ 20 વર્ષથી પીડાતા 72 વર્ષીય દર્દીનું થાપાના સાંધાના પ્રત્યારોપણની તબીબો દ્વારા સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં પ્રથમવાર આ સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.
સાબરકાંઠા જિલ્લાના રહેવાસી 72 વર્ષના પુરુષ દર્દી પોતાના બંને થાપાના સાંધાના દુ:ખાવાથી છેલ્લા 20 વર્ષથી પીડાતા હતા. જે દર્દી હિંમતનગર સિવિલ હોસ્પિટલના હાડકાંના વિભાગમાં સારવાર માટે આવ્યા હતા. હાડકાંના નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરવામાં આવતાં તેમના બંને થાપાના સાંધામાં ઘસારો થયેલો જણાયો. દર્દીની સારવાર માટે શસ્ત્રક્રિયા કરીને થાપાનો ગોળો બદલવાની જરૂર જણાતાં દર્દીને ઓપરેશન માટે સમજાવીને તેમની જાણકારી અને સંમતિથી 7 ઓક્ટોમ્બર 2024ના રોજ ડાબા થાપાના સાંધાના પ્રત્યારોપણનું ઓપરેશન (ટોટલ હિપ રિપ્લેસમેન્ટ) ડૉ બસંતકુમાર ભુયાન (વિભાગીય વડા-ઓર્થોપેડિક) અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
દર્દીની ઉંમર અને લાંબા સામયની તકલીફને કારણે આ પ્રકારનું ઓપરેશન ખૂબ કાળજી અને ટેક્નિકલ નિપુણતા માંગી લે તેવું હોય છે. હિંમતનગર સિવિલમાં પ્રથમવાર આ પ્રકારનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવેલ છે. દર્દી ઓપરેશન પછી બીજા દિવસથી જ ચાલવાનું શરૂ કરી શકે છે અને થાપાનો દર્દ દૂર થાય છે અને બંને પગની લંબાઈ સરખી થાય.