New Guidelines will Announce for School Tours: વડોદરામાં શાળા તરફથી પ્રવાસ લઈ ગયેલાં અનેક બાળકો હરણી બોટકાંડમાં મોતને ભેટ્યાં હતાં. જેને લઈને સરકાર દ્વારા તમામ શાળાઓને બાળકોને પ્રવાસ લઈ જવાની મંજૂરી આપવાની બંધ કરી દીધી હતી. આ સાથે આદેશ કરવામાં આવ્યો હતો કે, નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી કોઈપણ શાળાએ પ્રવાસનું આયોજન કરવું નહીં. જોકે, હવે દિવાળીનું વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે અને દિવાળી બાદ શાળામાં બાળકોને સર્વાંગી શિક્ષણના ભાગરૂપે પ્રવાસ યોજાતો હોય છે. ત્યારે શિક્ષણ વિભાગને પ્રવાસ માટે અનેક શાળામાંથી મંજૂરી માટેની અરજી કરવામાં આવી હતી. જેને ધઅયાને લઈ હવે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઈડલાઈન બનાવી સરકારને સોંપવામાં આવી છે.
શિક્ષણ વિભાગે બનાવી નવી ગાઈડલાઈન
શિક્ષણ વિભાગે બાળકોના હિતને ધ્યાનમાં રાખીને પ્રવાસની મંજૂરી આપવા માટેની નવી ગાઈડલાઈન બનાવવામાં આવી છે. જેમાં શાળાએ પ્રવાસ દરમિયાન કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ ગાઈડલાઈન પર વિચાર-વિમર્શ કરવા સરકારને સોંપવામાં આવી છે. જેમાં યોગ્ય સુધારા-વધારા કરી સરકાર આગામી ત્રણ દિવસમાં આ ગાઈડલાઈન જાહેર કરી શકે છે.
શાળાની જવાબદારીમાં થશે વધારો?
રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે, તેમાં બાળકોની સુરક્ષાને લઈને શિક્ષકો અને શાળાની જવાબદારીમાં વધારો કરવામાં આવી શકે છે. આ સિવાય જો કોઈ શાળા આ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. ગાઈડલાઈન બહાર પાડ્યા બાદ પણ શિક્ષણ વિભાગમાં ડીઈઓની લેખિત મંજૂરી વિના કોઈપણ શાળા પ્રવાસનું આયોજન કરી શકશે નહીં.
ગાઈડનલાઈનના ઉલ્લંઘન પર થશે કાર્યવાહી
નોંધનીય છે કે, હરણી બોટકાંડ બાદ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શાળાના તમામ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં ગુજરાતમાં ઘણી શાળાઓ મંજૂરી વિના બાળકોને પ્રવાસે લઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. જેમાં અમદાવાદના મણિનગરની સેવન્થ ડે સ્કૂલ, ભાટમાં આવેલી અમદાવાદ પબ્લિક સ્કૂલ અને બોપલની શિવ આશિષ સ્કૂલનો સમાવેશ થાય છે. આ શાળાઓ મંજૂરી વિના પ્રવાસ લઈ ગયા હોવાનું સામે આતાં ડીઈઓએ નોટિસ ફટકારી જવાબ માગ્યો હતો. આ સાથે જ હવે કોઈપણ શાળા આ પ્રકારે મંજૂરી વિના પ્રવાસનું આયોજન કરશે તો તેને 2 થી 3 લાખના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.