Meteorologist Ambalal Patel Predictions: ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ નવરાત્રિના પાવન પર્વ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં બદલાવ આવશે. જેના કારણે વરસાદની પણ શક્યતાઓ રહેશે.
દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થવાની સંભાવના
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર, ઑક્ટોબર મહિનામાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા સર્જાતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઑક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડાની શક્યતાઓ છે. જેના કારણે પાંચમી ઑક્ટોબરના રોજ રાજ્યના હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચો: ગરબા મુદ્દે ગેનીબેન થયા ગરમ, સંઘવીને સણસણતો જવાબ, આપણે પાકિસ્તાન જવાની જરૂર નથી
સાતમીથી 12મી ઑક્ટોબરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12મીથી 18મી ઑક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે. આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે. પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા ઘટી છે. પરંતુ જેટ ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં 22મી ઑક્ટોબરથી વાવાઝોડું સક્રિય થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી
ચોથી ઑક્ટોબરથી સાતમી ઑક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ દિવસો દરમિયાન વરસાદ નડશે નહીં અને ખેલૈયાઓ આ નવરાત્રિમાં મન મૂકીને ગરબે ઘૂમી શકશે.