અમદાવાદ,શુક્રવાર,18 ઓકટોબર,2024
અમદાવાદના ભરચક એવા કાલુપુર ચોખા બજાર પાસેથી પસાર થઈ રહેલી
બી.આર.ટી.એસ.બસમાં આગ લાગતા બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી
ગયા હતા.ભાડજથી નરોડા તરફ જતી ઈલેકટ્રીક બસમાં પાછળના ભાગમાં સ્પાર્ક થયા બાદ લાગેલી આગ ફાયર વિભાગે હોલવી
હતી.બસમાં મુસાફરી કરી રહેલા દસ મુસાફરોને સલામત નીચે ઉતારી લેવાતા તેમનો બચાવ થયો
હતો.
શુક્રવારે સવારે દસ કલાકના સુમારે બી.આર.ટી.એસ.ના રુટ
નંબર-૮,ભાડજથી
નરોડા ગામ સુધીની બી.આર.ટી.એસ.બસ પ્રેમદરવાજાથી કાલુપુર તરફ જતી હતી.આ સમયે બસમાં
પાછળના ભાગમાં સ્પાર્ક થતા આગ લાગી હતી.બસના ડ્રાઈવરે સમયસુચકતા વાપરી બસમાં મુસાફરી કરી રહેલા દસ મુસાફરોને સલામત નીચે
ઉતારી લીધા હતા.બી.આર.ટી.એસ.ના વિશાલ ખનામાના કહેવા મુજબ, બસના ડ્રાઈવરે
બસમાં રાખવામાં આવેલા ફાયર એકસ્ટિંગ્યુશરની મદદથી આગને હોલાવવા પ્રયાસ કરતા આગ
કાબૂમાં નહીં આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.ફાયર વિભાગ તરફથી મળેલી વિગત
મુજબ,જે.બી.એમ.કંપનીની
બી.આર.ટી.એસ.ની ઈલેકટ્રીક બસમાં શોટ સરકીટથી આગ લાગવાની ઘટના બની હતી.આ ઘટનામાં
કોઈ ઈજા કે જાનહાની થવા પામી નથી.