Ranya rao News : કન્નડ અભિનેત્રી અને આઈપીએસ અધિકારીની દિકરી રાન્યા રાવની બેંગલુરૂ એરપોર્ટ પર દાણચોરીના 15 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ એજન્સીઓ સમક્ષ રાન્યા રાવે અમદાવાદ એરપોર્ટ પર પણ દાણચોરીનું સોનું ઉતાર્યું હોવાની કબૂલાત કરી હોવાનું કસ્ટમનાં સૂત્રોએ જણાવ્યું છે. રાન્યા રાવ પોતે અમદાવાદ એરપોર્ટ પર નહોતી ઉતરી પણ તેની સાથે સંકળાયેલા મહિલાઓ દાણચોરીના સોના સાથે ઉતરી હોવાનું તેણે કબૂલ્યું છે.
રાન્યાની કબૂલાતના આધારે કસ્ટમ વિભાગે અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરી કરતી મહિલા પેડલર્સની યાદી તૈયાર કરી છે. સૂત્રોનું કહેવું છે કે, અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીમાં લગભગ 150 મહિલા સામેલ છે. કસ્ટમના રડારમાં છે ઉપરાંત તમામ દાણચોરોની પ્રોફાઇલ તૈયાર કરાઇ છે કે જે અન્ય સેન્ટ્રલ એજન્સીઓને શેર કરાશે.
અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણોચોરી કરતી જે દોઢસોથી વધુ મહિલાઓ પર એજન્સીઓની વોચ છે એ મહિલાઓ વારંવાર દુબઇ કે અખાતી દેશોમાં જાય છે. તેમના પાસપોર્ટ અને વિદેશની મુસાફરીનો રેકોર્ડ નોંધવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તેઓ સોના કે વાંધાજનક વસ્તુઓ સાથે કેટલી વખતો પકડાઇ છે. આધારકાર્ડ અને પાનકાર્ડ સહિતની વિગતોને આધારે તેમના એકાઉન્ટમાં થઇ રહેલા ટ્રાન્જેકશનની વિગતો પર પણ ડિપાર્ટમેન્ટની વોચ છે.
તમામ શંકાસ્પદ મહિલાઓની પ્રોફાઇલ તૈયાર કરવા ઉપરાંત તેમના આગમન વખતના ફૂટેજ પણ રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. તેમની બોડી લેંગ્વેજ અને હાવભાવનો ખાસ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે અમદાવાદ એરપોર્ટ પરથી જે દાણચોરીનું સોનું ઝડપાયું છે તે લઈને આવનારા પેડલરોમાં મહિલાઓની સંખ્યા વધારે છે.
અમદાવાદ એરપોર્ટ એટલે ભારતભરના દાણચોરો માટેનું ફેવરીટ એરપોર્ટ મનાય છે. અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરી કરવી સલામત અને સરળ છે તેથી છેલ્લા બે મહિનામાં દાણચોરીની ૧૫થી વધુ ઘટનામાં ડિપાર્ટમેન્ટ દ્રારા ૨૦ કિલો દાણચોરીનું સોનું કબજે લેવામાં આવ્યું છે.
રાન્યા અદાવાદ એરપોર્ટ પર પણ લેન્ડ થઇ હોવાની શંકા
રાન્યા દુબઇથી દરેક વખતે 10-15 કિલો સોનું લઇને જ આવતી હતી. રાન્યા પકડાઇ નહિ ત્યાં સુધી બધુ ચાલ્યું. હવે તે ઝડપાઇ ગઇ છે ત્યારે તેની પૂછપરછમાં રોજે રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે.
રાન્યા દાણચોરીનું સોનું લઇને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. કસ્ટમ વિભાગને રાન્યા અમદાવાદમાં બોગસ પાસપોર્ટ પર લેન્ડ થઈ હોવાની આશંકા છે તેથી છેલ્લા છ મહિનાના સીસીટીવી ચકાસાઈ રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદના પેડલર કે સ્મગલરો રાન્યા સાથે સંપર્કમાં છે કે કેમ તેની તપાસ પણ ચાલી રહી છે.