વડોદરા મહાનગર સેવા સદન દ્વારા તરસાલી બાયપાસ પાસે આવેલા દિવાળીપુરા ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત થઇ ગયેલા 312 મકાનોના પાણી કનેક્શન અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સવારે કાપેલા કનેક્શનો ચાલુ કરવા માટે સંબંધિત વિભાગ
.
સવારથી ધરણાં ઉપર
પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન ચાલુ કરવાની માગ સાથે સવારથી પાલિકાની કચેરી ખાતે ધરણાં ઉપર બેઠેલા લોકોએ બપોરે ચ્હા-નાસ્તો કરી દિવસ પસાર કર્યો હતો. તેઓને આશા હતી કે, સાજ સુધી નિવેડો આવી જશે. પરંતુ નિરાકરણ ન આવતા ધરણાં ઉપર બેઠેલા લોકોએ રાત પણ પાલિકાની કચેરીમાં પસાર કરવાનો નિર્ણય લીધો હતો. તે સાથે રાતના ભોજન માટે દાળ, ચોખા, મસાલો, ગેસ સિલિન્ડર અને સઘળી સહિતની વ્યવસ્થા કરી હતી. ધરણાં કરવા બાળકો સાથે આવેલી મહિલાઓએ ભેગા મળી વઘારેલી ખીચડી બનાવી હતી. અને પોતાના સ્લમ ક્વાર્ટર્સના લોકોને જમાડ્યા હતા.
વઘારેલી ખીચડી બનાવી
ભાવનાબેને જણાવ્યું હતું કે, ગુરુવારે પણ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. ગુરુવારની રાત જેમ તેમ કરીને પસાર કરી હતી. દિવસતો પસાર થઇ જાય પરંતુ, લાઇટ વગર રાત પસાર કેવી રીતે થાય. નાના બાળકો છે. સંડાસ-બાથથરુમ પણ કેવી રીતે જવાનું. આજે પણ સવારથી પાલિકાની કચેરીએ આવ્યા હતા. પરંતુ સાજ સુધી કોઇ મળવા આવ્યું નથી. સવારના ભૂખ્યા છે અમારા બાળકો પણ ભૂખ્યા હતા. ઘરે લાઇટ પાણીની વ્યવસ્થા નથી. આથી પાલિકાની કચેરીના કમ્પાઉન્ડમાં ખીચડી બનાવી છે. રાત પણ પાલિકા કચેરીમાં પસાર કરીશું. જ્યાં સુધી અમારો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે જવાના નથી.
તંત્રના પેટનું પાણી પણ હલતું નથી
તરસાલી દિવાળીપુરા હાઉસિંગ બોર્ડના આવાસોના વીજ કનેક્શન અને પાણી-ડ્રેનેજ કનેક્શન કપાયા બાદ ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ આમને સામને આવી ગયા છે. સવારે માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે અધિકારીઓને આડેહાથ લીધા હતા. તેઓએ સાજ સુધી કનેક્શન ચાલુ થઇ જશે તેવું નિવેદન પણ કરી દીધું હતું. તેમના નિવેદનની તંત્ર ઉપર કોઇ અસર થઇ ન હતી.
લોકોના હિત માટે કાર્યવાહી
બીજી બાજુ આ બાબતે કોર્પોરેશનના સ્થાયી સમિતીના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડની રજૂઆતના કારણે પાલિકા દ્વારા પાણી-ડ્રેનેજ કનેક્શન કાપ્યા છે. અને એમજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે. આ કાર્યવાહી લોકોના જીવ જોખમમાં ન મૂકાય તે માટે કાર્યવાહી કરવામાં આવી છે. છતાં, જે આવાસો સારા છે અને રીનોવેશન શરૂ કરી દીધું છે. તેઓ માટે અધિકારીઓ મિટિંગ કરી નિર્ણય લેશે. અને. જે લોકો રીનોવેશન કરવા માટે બાહેધરી આપશે તે અંગે પણ મિટીંગમા નિર્ણય લેવામાં આવશે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/28/khichadi-1_1719594078.jpg)
પરિવારો મુશ્કેલીમાં મુકાયા
ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગુરુવારે પોલીસ કાફલાને સાથે રાખી તરસાલી દિવાળીપુરા હાઉસિંગ બોર્ડના 312 મકાનોના વીજ કનેક્શન અને પાણી કનેક્શન કાપી નાખવામાં આવતા હાહાકાર મચી ગયો હતો. એક સાથે 312 મકાનના વીજ કનેક્શન અને પાણી કનેક્શન કાપી નાખવામાં આવતા સ્થાનિક ભાજપા કાઉન્સિલરો પણ તંત્રની કામગીરી સામે રોષે ભરાયા હતાં. પરિણામે ગુરુવારે મોડી સાંજે સ્થાયી ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત પદાધિકારીઓને સ્થળ ઉપર જઇ લોકોને આશ્વાસન આપવાની ફરજ પડી હતી.
ધારાસભ્યએ બેઠક કરી
દરમિયાન આજે સવારે માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પણ તરસાલી ખાતે પહોંચી ગયા હતા. અને આખી રાત અંધારામાં પસાર કરનાર રહીશોની રજૂઆત સાભળી હતી. તે બાદ તેઓએ કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓને પણ બોલાવ્યા હતા. આ સમયે સ્થાનિક કાઉન્સિલર અને પૂર્વ મેયર નિલેશ રાઠોડ, સ્નેહલબેન પટેલ સહિત કાઉન્સિલરો પણ હાજર રહ્યા હતાં.