વડોદરા શહેરના મધુનગર બ્રિજ પાસે આવેલી સોફિયા પાર્ક સોસાયટીમાં પતિ સાથે રહેતી પત્નીની હત્યા કરીને પતિ ફરાર થઇ ગયો છે. જેને પગલે ગોરવા પોલીસે આરોપી પતિની શોધખોળ શરૂ કરી છે. દીકરીએ પિતાને ફોન કરીને કહ્યું કે, ‘પપ્પા મને લેવા માટે આવો નહીં તો આ લોકો મને
.
મારી દીકરી સાથે ઝઘડો અને મારપીટ કરતો હતો
મૃતક નિશારબાનુના પિતા ઇશ્રાઇલ ઇશરક પઠાણે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી દીકરી નિશારબાનુના લગ્ન સોફિયાપાર્કમાં રહેતા મોઇનખાન ભુરેખાન પઠાણ સાથે થયા હતા. તેમને લગ્ન જીવનમાં ત્રણ વર્ષનું બાળક છે. મોઇનખાન ફેબ્રિકેશનનુ કામ કરે છે. લગ્ન પછી મોઇનખાન કોઈને કોઈ બહાને મારી દીકરી સાથે ઝઘડો અને મારપીટ કરતો હતો. જો કે, દીકરીનું પરિવાર સચવાઇ રહે તે માટે માતા-પિતા તેને સમજાવીને પરત સાસરીમાં મોકલી દેતા હતા.
હું તમારી દીકરીને તમારા ઘરે મુકી જઇશ
લગ્ન સમયે જમાઇએ બાઇકની માગણી કરતા તે પણ અપાવી હતી. છતાં મોઇનની માગણીઓ સંતોષાઇ નહોતી અને તે રૂપિયાની માંગણી કરીને તેની પત્ની સાથે ઝઘડા કરતો હતો. 3 મહિના પહેલાં મોઇન તેની સાસરીમાં જઇને ‘મારે 22 હજાર રૂપિયાની જરૂર છે તમે મને આ રૂપિયા નહીં આપો તો હું તમારી દીકરીને તમારા ઘરે મુકી જઇશ, મારી સાથે રાખીશ નહીં’ તેમ જણાવી જતો રહ્યો હતો. આમ દહેજની માંગણી ન સંતોષાતા મોઇન નિશારબાનુને હેરાન પરેશના કરતો હતો.
આ લોકો મને મારી નાખશે
આ દરમિયાન ગત 27 જૂનના રોજ રાત્રિના 11.30થી 11.45 વાગ્યાની વચ્ચે નિશારબાનુએ તેના પિતાને ફોન કરી જણાવ્યું હતુ કે, ‘પપ્પા મને લેવા માટે આવો નહીં, તો આ લોકો મને મારી નાખશે’ દીકરીની વાત સાંભળીને પિતા તાત્કાલીક તેના ઘરે જવા માટે નિકળ્યા હતા. આ સમયે નવાયાર્ડ બ્રિજ પાસે નિશારબાનું ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. તેને પકડતા માથામાંથી લોહી નિકળતું હતું.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/07/02/whatsapp-image-2024-07-02-at-51552-pm-1_1719925504.jpeg)
સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું
પિતાએ આ અંગે નિશારબાનુએ જણાવ્યું કે, ‘મારા પતિએ મને માથાના ભાગે લોખંડનો તવો મારી દીધો છે’. જેથી ઇજાગ્રસ્ત દીકરીને સારવાર આર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન સોમવારે મોડી રાત્રે તેનું મોત થયું હતું. જેને પગલે ગોરવા પોલીસે આ મામલે નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 103(1), 85, 3, 7 અને 135 હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપી પતિની શોધખોળ શરૂ કરી છે.
મોઇન વારંવાર મારી પાસે રૂપિયા માગતો હતો
મૃતક દીકરીના પિતા ઇશ્રાઇલખાન પઠાણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી દીકરીના લગ્ન સાડા ચાર વર્ષ પહેલા મોઇન સાથે થયા હતા. મારી દીકરીને એક દિવસ પણ સારી રીતે રાખી નથી. મોઇન વારંવાર મારી પાસે રૂપિયા માંગવા માટે આવતો હતો. મેં તેને બાઇક પણ અપાવી હતી. તે બાઇકના હપ્તા બાબતે મારી દીકરીને મારી હતી. 26 જૂને પણ મારી દીકરી બાઇકના હપ્તા માટે આવી હતી.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/07/02/whatsapp-image-2024-07-02-at-51546-pm-1_1719925514.jpeg)
27 જૂને મારી દીકરીને મારી હતી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 27 જૂને મારી દીકરીને મારી હતી. જેથી રાત્રે મને મારી દીકરીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આ લોકો મને મારી નાખશે, જેથી હું દોડી ગયો હતો. જ્યાં મારી દીકરી ઇજાગ્રસ્ત હાલતમાં મળી હતી. ત્યારબાદ સારવાર દરમિયાન મારી દીકરીનું મોત થયું છે. દોઢ વર્ષ પહેલા મારી દીકરીને 3થી 4 મહિનાનો ગર્ભ હતો. ત્યારે મારી દીકરીને બેલ્ટથી મોઇને મારી હતી. જેમાં મારી દીકરીનો ગર્ભપાત થઈ ગયો હતો. હવે મારી દીકરી માટે ન્યાય જોઇએ છે. જેથી બીજી કોઇ દીકરી સાથે આવો બનાવ ન બને.
અમારી દીકરીને ન્યાય મળવો જોઇએ
મૃતકના કાકા મહોમ્મદ રઇશ પઠાણે જણાવ્યું હતું કે, અમારી દીકરી ખાવા બાબતે પણ મોઇને ઘણી વાર માર માર્યો હતો અને છેલ્લે જ્યારે દીકરીને મારી ત્યારે મારી દીકરી ગોરવા બ્રિજ પાસેથી ગંભીર હાલતમાં મળી આવી હતી અને સયાજી હોસ્પિટલમાં મોત થયું, અમારી સરકાર સમક્ષ માંગણી છે કે, અમારી દીકરીને ન્યાય મળવો જોઇએ.