મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 21મા રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024ના ત્રીજા દિવસે, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના છેવાડાના સરોડી ગામની પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ ધોરણ-1માં 21 કુમાર તથા 25
.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યના વિવિધ જિલ્લામાં છેવાડાના ગામો તથા સુરેન્દ્રનગર જિલ્લાનાં છેવાડાનાં ગામ સરોડીએ વિકાસના અનેક કામોથી જિલ્લાના પહેલા ગામ તરીકેની ઓળખ મેળવી છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો, આજે તેનું 21મું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે આટલા વર્ષોમા જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે શિક્ષણનું સ્તર ખૂબ સારું થયું છે અને વિદ્યાર્થીઓ શાળામાં સારું શિક્ષણ મેળવીને ડૉક્ટર, એન્જિનિયર બની રહ્યા છે.
રાજ્યના છેવાડાના વિસ્તારમાં આદિવાસી દીકરા-દીકરીઓ પણ ખૂબ સારું શિક્ષણ મેળવી રહ્યા છે. સરકારી યોજનાઓનો લાભ લઈને દરેક બાળક સારામાં સારું શિક્ષણ મેળવે તેના માટે વડાપ્રધાન તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે પ્રયત્નો કર્યા, તેનાં સારા પરિણામ આજે જોવા મળી રહ્યા છે. શાળાઓમાં સો ટકા નામાંકન માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે તે સરાહનીય છે.
રાજ્ય સરકારે શરૂ કરેલી ‘નમો લક્ષ્મી’ તથા ‘નમો સરસ્વતી’ યોજનાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘નમો લક્ષ્મી’ યોજના ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે છે. આ તમામ ધોરણમાં ઉત્તીર્ણ થનારી વિદ્યાર્થિનીઓને સરકાર દ્વારા રૂ. 50 હજારની સહાય આપવામાં આવશે. જ્યારે ‘નમો સરસ્વતી’ યોજના ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી દીકરી તથા દીકરા બંને માટે છે. જેમાં આ બંને ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીને રૂ. 25 હજારની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. જે દિકરીને ‘નમો લક્ષ્મી’ યોજનાનો લાભ મળ્યો છે તેને આ યોજનાનો પણ લાભ મળી શકશે.
સામાજિક ઉત્થાન માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત હોવાનું જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશને વિકસિત બનાવવાનો નિર્ધાર કર્યો છે, વિકસિત ભારતના પાયામાં પણ શિક્ષણ એટલું જ જરૂરી છે. મુખ્યમંત્રીએ સરોડી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા કરાઇ રહેલી કામગીરીની સરાહના કરી હતી, સાથે છાત્રોની પ્રગતિ અને શિસ્તને પણ બિરદાવી હતી.
શાળામાં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાંઓનો ઉત્સાહ વધારતા હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું કે, શિક્ષકમાં અમાપ શક્તિઓ સમાયેલી છે. સામર્થ્યવાન શિક્ષક વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે ધારે તે કરી શકે છે. શ્રી રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે, “બાળકોને શિક્ષણ આપવું એટલે બાળકોને ચાહવા” ત્યારે શાહબુદ્દીન રાઠોડે શિક્ષકોને નિષ્ણાત અને ચારિત્ર્યવાન બનવાની સાથે વિદ્યાર્થીઓ માટે હંમેશા પ્રેમ રાખવાની પ્રેરણા આપી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસ માટે પ્રતિબદ્ધતા દાખવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, જિલ્લામાં પાણીના કામો માટેનું ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યું છે.
મહાનુભાવોના હસ્તે આંગણવાડી- બાલવાટિકાના ભૂલકાંઓને પોષણ કીટ તથા ધોરણ 1થી 9ના નવા પ્રવેશાર્થીઓને શિક્ષણ કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. ઉપરાંત મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ, નેશનલ મેરીટ કમ્સ મીન્સ સ્કોલરશીપમાં સમાવિષ્ટ ચાર વિદ્યાર્થીઓને તથા ધો. 3થી 8મા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા આઠ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે દીકરીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અને પાકતી મુદ્દતના વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો તથા ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
જિલ્લા વહીવટી તંત્ર તથા વિવિધ પદાધિકારીઓ, અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીને તરણેતરની સ્મૃતિરૂપ તસવીર, ઝાલાવાડી પરંપરાગત છત્રી, પાઘડી, કોટી, પરંપરાગત કડિયાળી ડાંગ તથા શાલથી સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ, પોલીસ અધિક્ષક ડો.ગિરીશ પંડ્યા, ચોટીલા આસિસ્ટન્ટ કલેકટર કલ્પેશકુમાર શર્મા, ધારાસભ્ય શામજી ચૌહાણ, થાનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ પુનાબહેન ચાવડા, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિક ટમાલીયા,જયેશ પટેલ, ધીરુ સિંધવ, કરમશી રંગપરા, જીતુ પુજારા, મંજુબેન ચાવડા સહિત અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકગણ, નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યભરમાં કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ – 2024ની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત આજરોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અંતિમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામે બાળકોનાં નામાંકન અર્થે પધાર્યા હતા. મુખ્યમંત્રીનું સરોડી હેલિપેડ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ, પોલીસ અધિક્ષક ડો. ગિરીશ પંડ્યા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, જયેશભાઈ પટેલ, ધીરૂભાઈ સિંધવ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું પાંચાળ ભૂમિ પર પુષ્પગુચ્છ થકી મીઠેરો અને અદકેરો આવકાર આપી સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરના સરોડી પ્રાથમિક શાળાની કમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો
શ્રી સરોડી પ્રાથમિક શાળામાં ‘શાળા પ્રવેશોત્સવ-2024’ કાર્યક્રમમાં સહભાગી થવા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળાનું વિશાળ હરિયાળુ પ્રાંગણ જોઈ પ્રફુલ્લિત થયા હતા. આ તકે મુખ્યમંત્રીએ શાળામાં બાળકો કમ્પ્યુટરલક્ષી જ્ઞાન મેળવી શકે અને ડિજિટલ માધ્યમથી પણ અભ્યાસ કરી શકે તે માટે કાર્યરત કમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરીને વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ શાળાના સ્માર્ટ કલાસમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. વર્ગના વિદ્યાર્થીઓએ પોતે બનાવેલું સુંદર ગ્રીટિંગ કાર્ડ આપીને મુખ્યમંત્રીને વર્ગખંડમાં આવકાર્યા હતા.
શાળાના બાળકો દ્વારા જુદા જુદા પાર્ટ્સ એસેમ્બલ કરીને બનાવવામાં આવેલી મોટરકાર, ક્રેન, ગણિત વિષયક ક્વિઝ બોક્સ જેવા વિવિધ પ્રોજેક્ટ નિહાળી તેમની સાથે સંવાદ કરી જુદા જુદા પ્રયોગોની માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ બાળકો સાથે સહજ ભાવે સંવાદ સાધી, ‘બાળકોને કયા કયા વિષય સૌથી વધુ ગમે છે ? અક્ષરો કેવા થાય છે ? કયા વિષયમાં સૌથી વધારે માર્ક્સ આવે છે ?’ સહિતના સવાલો કર્યા હતા. જેના બાળકોએ નિખાલસ ભાવે જવાબો આપ્યા હતા. મુખ્યમંત્રીએ બાળકોને મધ્યાહન ભોજનની સુવિધા વિશે અને આપવામાં આવતું ભોજન ભાવે છે કે કેમ જેવા સહજ સવાલો કર્યા હતા.
સમગ્ર શિક્ષા દ્વારા શાળામાં નવનિર્મિત ચાર વર્ગખંડોનાં બિલ્ડીંગનું લોકાર્પણ મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં રુચિ કેળવાય તે માટે નવનિર્મિત બિલ્ડીંગમાં આવેલ સ્ટેમ લેબ પણ મુખ્યમંત્રીએ નિહાળી હતી. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.