26 ઓગસ્ટે વિશ્વામિત્રી નદીમાં આવેલું વિનાશક પૂર ભવિષ્યમાં ન આવે તે માટે સરકાર દ્વારા ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી દ્વારા આજવા સરોવર, પ્રતાપ સરોવરમા પાણીની સંગ્રહ શકિત વધારવાની, આજવા
.
નદી એ માતા છે અને લોકમાતાને સ્વચ્છ રાખવી તે પ્રજાનું કર્તવ્ય વિશ્વામિત્રી નદી માટે બનાવવામાં આવેલી વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટીના અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ સચિવ બી. એન. નવલાવાલાએ જણાવ્યું હતું કે, “નદી એ માતા છે અને લોકમાતાને સ્વચ્છ રાખવી તે પ્રજાનું કર્તવ્ય છે. સરકારની સાથે પ્રજાએ પણ પોતાની જવાબદારી સમજવી પડશે” તોજ નદી માતા શહેરને બચાવશે. વાત રહી વિશ્વામિત્રીમા વિનાશક પૂર ન આવે તેની. તો વિશ્વામિત્રીની સમસ્યાનો ઉકેલ લાવવા સરકાર કટિબદ્ધ છે. સરકારે રૂપિયા 1200 કરોડ મંજૂર કર્યા છે. જરૂર પડે વધુ ફંડ પણ આપવા તૈયાર છે. વિશ્વામિત્રી અંગેનો રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. નવેમ્બર 2024 નાં અંતે કમિટી રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપવામા આવશે.
23 ઓક્ટોબરે કમિટીને યોગ્ય સૂચન કરશે વિશ્વામિત્રી નદીનાં પૂર સંદર્ભે દેશની સર્વોચ્ચ સેન્ટ્રલ વોટર કમિશનના સરોવર ઉપર દરવાજા બનાવવાના વિભાગના બે અધિકારીઓ તા. 22મી ઓક્ટોબરે આવી રહ્યા છે. તા. 23 ઓક્ટોબરે તેઓ આજવા સરોવર અને પ્રતાપ સરોવરની મુલાકાત લેનાર છે અને દરવાજાની ઉંચાઇ વધારવી કે નહીં? આજવા સરોવરને ઉંડુ કરી શકાય કે નહીં? તેમજ આજવા સરોવરના પાડા ઉંચા કરી શકાય કે નહીં? તેનો અભ્યાસ કરીને તા. 23 ઓક્ટોબરે કમિટીને યોગ્ય સૂચન કરશે.
આજવા સરોવર અને પ્રતાપ સરોવરને ઉંડુ કરવું પડકારજનક જોકે, અગાઉ આજવા સરોવર, પ્રતાપ સરોવરનું સેન્ટ્રલ વોટર કમિશનની ટીમે સર્વે કર્યું છે. જેમાં આજવા સરોવરની ઉંડુ કરી શકાય કે નહીં? ત્યારે મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, આજવા સરોવરની પાણીની સપાટી મે-જૂન માસમાં 208 ફૂટ હોય છે અને તેનું કુલ જળસ્તર 15થી 16 ફૂટ હોય છે તો આજવા સરોવરને ઉંડુ કરવા માટે પાણી ખાલી કરવું પડે. બીજું કે કોઇ પણ દેશમા સરોવરમાં ખોદાણ કરી ઉંડુ કરવું શક્ય બન્યું નથી. ત્યારે સેન્ટ્રલ વોટર કમિશને જણાવ્યું હતું કે, જમ્મુ -કાશ્મીરમાં પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ, ધારી સફળતા મળી નથી. બીજું આજવા સરોવરના પાળા ઉંચા કરવા કે નહીં, ઉંચા કરવા તો કેટલા કરવા, હયાત પાડા ઉપર માટી નાખી ઉંચા કરવાથી હયાત પાડા વધુ માટીનું વજન ઝીલશે કે નહીં? તેજ રીતે પ્રતાપ સરોવરમાં આ પ્રશ્નો ઉભા થયા હતાં. આથી આજવા સરોવર અને પ્રતાપ સરોવરને ઉંડુ કરવું પડકારજનક છે.
રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમણે ઉમેર્યું કે, આજવા સરોવરના આશરે 100 વર્ષ જૂના દરવાજાનું આધુનિકરણ કરવું. આ દરવાજા હાલ જે ઊંચાઇના છે તેટલા જ રાખવા કે પછી આજવા સરોવરને જો ઉંડુ કરી શકાય અથવા આજવા સરોવરના પાળા ઉંચા કરી શકાય તેમ લાગશે તો દરવાજા ઉંચા કરવા વિચારાશે. જો દરવાજા ઉંચા કરવા માટે વિચારાશે તો કેટલા ઉંચા કરવા તે તમામ રિપોર્ટ સેન્ટ્રલ વોટર કમિશન ઉપર આધારિત છે અને આ અંગેનો અભ્યાસ કરવા સેન્ટ્રલ વોટર કમિશનની ટીમ તા. 22 ઓક્ટોબરના રોજ આવી રહી છે. તેઓના રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હાલ વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ડાયવર્ટ કરવાનું કોઇ આયોજન નથી વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ કમિટીના અધ્યક્ષ બી.એન. નવલાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટના રિપોર્ટમાં બે ભલામણ કરવામાં આવશે, જેમાં ટૂંકા ગાળામાં એટલે કે એક-દોઢ વર્ષમાં કરવાની કામગીરી અને લાંબા ગાળામાં 3 વર્ષની કરવાની કામગીરી. જેમાં ત્રણ તબક્કામાં આગળ વધી રહ્યા છે. જેમાં એક આજવા સરોવર, પ્રતાપ સરોવર અને તેની આસપાસમાં આવેલાં બે તળાવોની સંગ્રહ શકિત વધારવી, વિશ્વામિત્રી નદીની વહન શક્તિ વધારવી અને વિશ્વામિત્રી નદીને કાંસ દ્વારા ઢાઢર નદીમાં ડાયવર્ટ કરવી અને જરૂર પડે વધારાનું પાણી મહીં નદીમાં ડાયવર્ટ કરવું. જોકે, હાલના તબક્કે વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ડાયવર્ટ કરવાનું કોઇ આયોજન નથી. પરંતુ, વિશ્વામિત્રી નદીને ઉંડી કરી, પહોળી કરી તેની વહન શક્તિમાં વધારો કરવાની અને ખાસ કરીને વિશ્વામિત્રી નદીના સંગમ સ્થળે એટલે કે જ્યાં જામ્બુવા નદી અને ઢાઢર નદીને મળે છે. ત્યાં પહોળાઇ વધારવાની દિશામાં ગંભીર પણે આગળ વધી રહ્યા છે.
વન વિભાગ સાથે પણ બેઠક કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં વિશ્વામિત્રી નદીની સફાઇ કરવી, ઊંડી કરવાનું કામ શરૂ કરી શકાય પરંતુ, વિશ્વામિત્રીમા મોટા પ્રમાણમાં મગરો, કાચબાઓ હોઇ, તેઓને નુકશાન ન થાય તે રીતે કામગીરી કરવાની હોવાથી આગામી દિવસોમાં વન વિભાગની સાથે પણ બેઠક કરવામાં આવનાર છે.
સમસ્યા જેટલી જટિલ તેટલાં જ કડક નિર્ણયો લેવા પડશે વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટીના અધ્યક્ષ બી. એન. નવલાલાએ ઉમેર્યું હતું કે, સમસ્યા જેટલી જટિલ તેટલાં જ કડક નિર્ણયો લેવા પડશે.વિશ્વામિત્રી નદી અગાઉ કરતાં વધુ સાંકળી બની છે. વર્ષો પૂર્વે વિશ્વામિત્રી નદીમાં બોટો ફરતી હતી. નદી ઉપર સુંદર ઘાટ હતા. વિશ્વામિત્રી નદીને મૂળ સ્વરૂપમાં લાવી શકાય તેમ છે. તે માટે તંત્રને લોકોએ પણ સહકાર આપવા પડશે. નદી માતા છે તેણે સ્વચ્છ રાખવાની સૌની જવાબદારી છે. માતાને સારી રીતે રાખીશું તો તે ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં.