દાહોદમાં ત્રણ દિવસ પહેલા વિદ્યાર્થિની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ લાશ મળતા પરિવારમાં શોકનો માહોલ છવા ગયો હતો. આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને અલગ અલગ 10 ટીમો
.
6 વાગ્યા સુધી બાળકી ઘરે ન આવતા શંકા ગઈ ત્રણ દિવસ પહેલા સીંગવડના પીપળીયા ગામે આવેલી તોયણી પ્રાથમિક શાળામાંથી ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષિય બાળકીનો મૃતદેહ 19 તારીખે સાંજના 6 વાગ્યાના આસપાસ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીનું મોં દબાવી મોતને ઘાટ ઉતારાઈ હોવાનું સામે આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો.
આચાર્ય ગોવિંદ નટ, બાળકીની હત્યા કરનાર
બાળકીને ગાડીમાં રાખી શાળામાં જતો રહ્યો દાહોદ ACBએ પોલીસ સહિતની જુદી-જુદી ટીમો બનાવી શાળામાં તપાસ હાથ ધરી હતી, તે ઉપરાંત ડોગ સ્કવોડની મદદથી ઝીણવટ પુર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. મૃતક બાળકીની માતા દ્વારા પોતાની પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ સાથે તેની ફોર વ્હીલર ગાડીમાં શાળાએ જવા તે દિવસે મોકલી હતી. આ અંગેની જાણ પોલીસને તથાં પોલીસે આચાર્યની તેમજ શાળાના શિક્ષકોની પુછપરછ કરતાં પ્રથમ તબક્કે આચાર્ય ગોવિંદે જણાવ્યું હતું કે, બાળકીને હું મારી ગાડીમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો. પરંતુ ત્યારબાદ તે ગાડીમાંથી ઉતરી કંઈ બાજુ ગઈ તેની મને ખબર નથી અને હું મારી રોજિંદી કામગીરીમાં લાગી ગયો અને શાળામાંથી છુટ્યાં બાદ મારા ઘરે જતો રહ્યો હતો, તેમ આચાર્યએ ઢોંગ કરી પોલીસને ગેરમાર્ગે દોરી હતી.
ત્રીજા દિવસે કબૂલ્યું- ‘હા, મેં બાળકીનું મોઢુ દબાવી દીધું’ આચાર્ચની વાતો પોલીસને ગળે ન ઉતરતાં તેના મોબાઈલ ફોનનું ટેક્નિકલ એનાલિસિસ કર્યું. જેમાં બાળકીને જે સ્થળેથી બેસાડી ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજિંદા સમય કરતાં બનાવના દિવસે વધારે સમય લાગ્યો તેમજ કોલ રેકોર્ડ આધારે આચાર્યને ઊંડાણપૂર્વક અને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં આચાર્ય ભાંગી પડ્યો હતો. આચાર્યએ કબુલ્યુ કે, પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યાં બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અડપલાં કરતાં બાળકી બુમાબુમ કરવા લાગી હતી. જેથી બાળકીનું મોઢુ દબાવી દેતા બાળકી બેભાન થઈ ગઈ. ત્યારબાદ તેને પોતાની ગાડીની પાછળની સીટમાં મુકી શાળામાં લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મુકી રાખી હતી. શાળા છુટ્યાં બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીની લાશને શાળાના ઓરડા અને કંમ્પાઉન્ડ દિવાલની વચ્ચે મુકી આવ્યો હતો અને તેની સ્કુલ બેગ તથા ચપ્પલ તેના વર્ગખંડ બહાર મુકી દીધા હતા.
30 વિદ્યાર્થી-શિક્ષકોની પૂછપરછ બાદ નવી દિશા મળી શાળામાં મૃતક બાળકી સાથે ભણતા વર્ગના બાળકોની સાથે પોલીસે કુનેહપુર્વક મિત્રતા કેળવી પુછપરછ કરતાં એવું ધ્યાન આવ્યું કે, મૃતક બાળકી શાળામાં આવી જ નથી, જે બાબતેની ખાત્રી તેના વર્ગ શિક્ષક દ્વારા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે શાળામાં ભણતા અલગ-અલગ 30 જેટલા બાળકોની પુછપરછ કરતાં એવી હકિકત સામે આવી હતી કે, શાળા છુટ્યા સુધી મૃતક બાળકી જ્યાંથી મળી તે સ્થળ પર હતી જ નહીં તેમજ તેની સ્કુલ બેગ-ચપ્પલ પણ વર્ગખંડની બહાર ન હતાં. આ ઉપરાંત શાળાના શિક્ષકોનું કહેવું છે કે, શાળા છુટ્યા બાદ ઘરે જતી વખતે બાળકીને આચાર્યની ગાડીમાં સુતેલી હોવાનું જોવા મળી હતી.
જે તે સમયે હોસ્પિટલ પર પોલીસ સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા.
પુરાવાનો નાશ કરવા ગાડી ગોધરા ધોવા લઈ ગયો આરોપી આચાર્ય ગોવિંદ દ્વારા પુરાવાનો નાશ કરવા માટે પોતાની ફોર વ્હીલર ગાડીને ગોધરા મુકામે ધોવા પણ લઈ ગયો હતો. ત્યારે તે પહેલા બાળકીને જે દિવસે મોતને ઘાટ ઉતારી તે દિવસે આચાર્યએ બાળકીને પોતાની ફોર વ્હીલર ગાડીમાં લાવી શાળામાં ગાડી પાર્ક કરી હતી અને બપોર બાદ ખુદ જાણી જાઈને પોતાની ફોર વ્હીલર ગાડીના કાચ ખોલ્યાં હતાં, જેથી આવતા જતાં શિક્ષકો સહિત શાળાના બાળકો આ જોઈ પોતાને ખબર નહીં બાળકી પોતાની ગાડીમાં કેવી રીતે આવી, તે રીતનો ઢોંગ પણ કરવામાં આવ્યો હતો.
જિલ્લાની તમામ પોલીસ આ કેસમાં સક્રિય હતી સમગ્ર કેસમાં પોતે દાહોદ જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલા દ્વારા સતત ત્રણ દિવસ સુધી આ કેસમાં નજર રાખી પોતાના દિશા અને નિર્દેશ હેઠળ કેસના ઉંડાણ સુધી પહોંચવા માટે રાત દિવસ એક કર્યા હતા. દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા ગુનાનો ભેદ ઉકેલવા માટે જિલ્લાની તમામ પોલીસને આ કેસમાં સક્રિય કરી હતી. વિવિધ ટેક્નિકલ સોર્સના આધારે આરોપી સુધી પહોંચવા માટે પોલીસે તમામ સોર્સનો ઉપયોગ કરી આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
કેસ ઉકેલવા બાળકોની મદદ મહત્વની રહી આ કેસમાં ગુના પરથી ભેદ ઉકેલવામાં પોલીસને મહત્વની મદદગારી શાળાના બાળકોએ કરી હતી. મૃતક બાળકી શાળામાં આવી હતી કે કેમ? રિશેષ સમયે નાસ્તામાં હતી કે કેમ ? શાળાએથી છુટીને ઘરે ગઈ હતી કે કેમ ? પોતાની સાથે રમવા આવી હતી કે કેમ? જેવી પૂછપરછ શાળાના બાળકો સાથે કરી હતી. જેમાં બાળકોએ પોલીસને સંપુર્ણ હકીકતની માહિતી પુરી પાડી હતી.
એસ.પી. ડૉ.રાજદીપસિંહ ઝાલા.
શું કહ્યું એસપીએ? એસપી ડૉ.રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, 19 તારીખે બાળકીની લાશ મળી હતી. તે બાબતે લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં શ્વાસ રૂધાવવાથી બાળકીનું મોત થયાનું સામે આવતા પોલીસની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શાળામાં જઈ અલગ અલગ બાળકોની તેમજ અન્યોની પૂછપરછ કરતા ધ્યાનમાં આવ્યું કે, આ બાળકી તે દિવસે શાળામાં હાજર ન હોતી. જેથી ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે, આચાર્ય બાળકીને સ્કૂલે લઈ જવા ગાડીમાં બેસાડી હતી. જોકે, રસ્તામાં તેની સાથે દૂષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પરંતું બાળકીએ બૂમાબૂમ કરતા તેણે બાળકીનું નાક અને મોઢું દબાવી દીધુ હતું. જેથી બાળકી બેહોશ થઈ ગઈ અથવા મરણ ગઈ હતી. પહેલા તો આચાર્યએ પોલીસને ઘણી ગુમરાહ કરી હતી. પરંતુ અંતે તેણે ગુનો કબૂલી લીધો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બાળકીને અડપલા કરવા તેમજ દુષ્કર્મનો પ્રયાસ કરવો તે તમામ બાબતોની કલમો ઉમેરીને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપીના ફોનથી જ આ ગુનાનો ભેદ ઉકેલાયો છે.
શાળા પર રાત્રિના સમયે પણ પોલીસે સઘન તપાસ કરી હતી.