.
કારતક મહિનાના કૃષ્ણપક્ષની આઠમ તિથિ એટલે કે 24 ઓક્ટોબરે ખરીદીનું વણજોયું મુહૂર્ત ‘પુષ્ય નક્ષત્ર’ રહેશે. ગુરુવાર હોવાથી એ ‘ગુરુપુષ્ય’ નક્ષત્ર કહેવાશે. આ દિવસે ખરીદી સ્થાયી અને સુખસમૃદ્ધિ લાવનારી મનાય છે. ધનનાં દેવી મહાલક્ષ્મીનાં આશીર્વાદ મળે છે. ગુરુપુષ્ય નક્ષત્રને 27 નક્ષત્રના સમૂહનો રાજા કહેવાય છે. પંડિત અજય કૃષ્ણ શંકર વ્યાસે કહ્યું કે જ્યોતિષીય ગણતરી પ્રમાણે પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ અને ઉપસ્વામી બૃહસ્પતિ એટલે ગુરુ છે.
પુષ્ય નક્ષત્ર શા માટે વધુ ફળદાયી : શનિને કાળપુરુષની ઊર્જા અને પુરુષાર્થની પ્રેરણાના કારક ગણવામાં આવે છે. બૃહસ્પતિને આધ્યાત્મ, શિક્ષણ, જ્ઞાન અને ત્યાગના કારક ગણાવાયા છે. પં. વ્યાસે કહ્યું કે પુષ્ય નક્ષત્રના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છે. એ યોગમાં કરાયેલાં સૌ પ્રકારનાં કાર્ય સિદ્ધ થયેલાં ગણવામાં આવે છે. એટલે સુખ-સુવિધાને ધ્યાનમાં રાખીને ખરીદી કરવાની માન્યતા છે.
બધા પ્રકારની ખરીદી શુભ : ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનું, ચાંદીનાં આભૂષણો, ચાંદીની પ્રતિમા, ઑટોમોબાઇલ, ઇલેક્ટ્રૉનિક, ઇલેક્ટ્રિકલ્સ, જમીન, પ્લોટ, મકાન, ફૅક્ટરી વગેરેમાં રોકાણ કરી શકાય છે. એ સમૃદ્ધિ આપનારાં બની શકે છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ હોવાને કારણે સ્થાયી સંપત્તિની ખરીદી એટલે કે જમીન, મકાન, વ્યાવસાયિક મકાન વગેરે વધુ ફળદાયી ગણાય છે.
ગ્રહ ગોચર પરથી જાણો વિશેષતા : અત્યારે શનિ કુંભ રાશિ અને ગુરુ વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. 24 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્રનો પ્રભાવ આખો દિવસ રહેશે. શનિના કેન્દ્ર યોગ અને ગુરુના ત્રિકોણ યોગની સ્થિતિ પણ છે, એ દરેક પ્રકારની ખરીદીને સ્થાયી સમૃદ્ધિ સાથે જોડે છે.
ગુરુપુષ્ય નક્ષત્ર ક્યાંથી ક્યાં સુધી રહેશે : ઉજ્જૈન પંચાંગ પ્રમાણે 24 ઓક્ટોબર સવારે 11.38થી 25 ઓક્ટોબર બપોરે 12.35 સુધી પુષ્ય નક્ષત્રનો યોગ રહેશે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પુષ્ય નક્ષત્ર 27 નક્ષત્રમાં 8મા સ્થાને આવે છે. સોનું શુદ્ધ, પવિત્ર અને અક્ષત ધાતુ ગણાતી હોવાથી પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદવાનું ચલણ વધુ છે. પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી અનેકગણું શુભત્વ આપે છે.
લક્ષ્મી-નારાયણની પૂજાથી સમૃદ્ધિ : ગુરુપુષ્ય યોગમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્ત્વ ગણાવાયું છે. આ દિવસે માતા લક્ષ્મીને ખીર, દૂધની મીઠાઈ અને ભગવાન વિષ્ણુને તુલસીદલ, પંચામૃત, ગોળ વગેરેનો ભોગ ધરાવવાનું વિધાન છે. કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. લશ્મી-નારાયણની કૃપાથી ધનસંપત્તિમાં વૃદ્ધિ થાય છે.