સાબરકાંઠા જિલ્લામાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરાવામાં આવશે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર ડૉ. રતન કંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં સુચારુ આયોજન અને અમલીકરણ અંગે બેઠક યોજાઇ હતી.
.
નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર,2001ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની 2001 થી 2024 સુધીની 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને 7 થી 15 ઓક્ટોબર સુધી થનારા વિકાસ સપ્તાહની ઉજવણીમાં જિલ્લાના તમામ નગરીકો જોડાય અને યુવાઓ, મહિલાઓ, ખેડૂતો તમામ લોકો ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ દેશના વિકાસમાં સહભાગી બને.
ગુજરાતના 23 સ્થળો જે વડાપ્રધાનના જીવન સાથે જોડાયેલા અને વિકાસ પામેલા છે તે સ્થળોને સુશોભીત કરી લાઇટીંગ કરવામાં આવશે અને વિકાસ પદયાત્રા કરવાનું નક્કી કરાયું છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલ પાલ દઢવાવ શહિદ સ્મારકની પસંદગી કરવામાં આવી છે.આ સાથે જિલ્લામાં અંદાજે રૂ.21 કરોડથી વધુના લોકાર્પણ – ખાતમૂહર્તના કામો થશે.
આ સપ્તાહ દરમિયાન શાળા કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ યોજી યુવાઓની સહભાગીતા વધારવા ખાસ સુચન કરાયા હતા. આ સપ્તાહમાં સ્વચ્છ ભારત મીશન અંતર્ગત સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા તેમજ વેસ્ટમાંથી બેસ્ટ થીમ પ્રદર્શન , વોલ પેંટીંગ વગેરે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા જિલ્લાકક્ષાએ થી લઈ છેવાડાના ગામો સુધી લેવાય તે રીતે સુચારુ આયોજન કરવામાં કલેક્ટર દ્રારા માર્ગદર્શન અપાયુ હતું.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ સાબરકાંઠાના નાગરિકો લઈ પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી આ સપ્તાહની ઉજવણીમાં મોટી સંખ્યામાં સહભાગી બને તે માટે જિલ્લા કલેક્ટરએ અપીલ કરી હતી.