રાજકોટ મનપાનાં 23 આરોગ્ય કેન્દ્ર પરથી આયુષ્યમાન કાર્ડ નીકળવાનું છેલ્લા પાંચેક દિવસથી સદંતર ઠપ્પ થઈ ગયું છે. અમુક આરોગ્ય કેન્દ્ર પર તો લાંબા સમયથી આ કામગીરી બંધ છે. જેને લઈને મનપાનાં આરોગ્ય કેન્દ્રો હાલ આયુષ્યમાન કાર્ડની કામગીરી માટે શોભના ગાંઠિયા બની
.
આરોગ્ય કેન્દ્રોમાં આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી 5 દિવસથી બંધ રાજકોટ શહેર કોંગ્રેસનાં પ્રમુખ અતુલ રાજાણીએ આ અંગે જણાવ્યું હતું કે, મનપાનાં તમામ આરોગ્ય કેન્દ્રોમાં હાલ આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી 5 દિવસથી બંધ છે. જેને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી સાથે વાત થયા મુજબ રાજ્ય સરકારના સોફ્ટવેરમાં ફેરફારને કારણે સમસ્યા ઊભી થઈ છે. જે આવકના દાખલા પર આયુષ્યમાન કાર્ડ નીકળતા હતા તે બંધ થયા છે. અને કયારે શરૂ થશે? એ કાંઈ નક્કી ન કહી શકાય એટલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
સંકલનના અભાવે અનેક લોકો ભોગ બની રહ્યા છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ક્યારેક રાજ્ય સરકારના સોફ્ટવેર અને ક્યારેક કેન્દ્ર સરકારના સોફ્ટવેર અને ક્યારેક રાજકોટ મનપાના અણઘડ વહીવટને પગલે જન્મ-મરણના દાખલા, આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ જેવા અગત્યના દસ્તાવેજો કે જે આરોગ્યમાં જરૂરી હોય તેની કામગીરી સંપૂર્ણપણે બંધ હોય છે. મહાનગરપાલિકાથી લઈને ઉપર સુધી છેક કેન્દ્ર સરકાર સુધી ભાજપ સરકાર હોવા છતાં સરકારો અને મહાનગરપાલિકા-નગરપાલિકા વચ્ચે સંકલનના અભાવે લોકોને ભોગવવાનું આવે છે અને લાઈનો બંધ થતી નથી.
નિરાકરણ નહી આવે તો કોંગ્રેસ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે રાજકોટમાં અવારનવાર લોકોને નાના-મોટા ડોક્યુમેન્ટ માટે સવારથી સાંજ સુધી લાઈનોમાં ઉભું રહેવું પડે છે અને વારંવાર ધક્કા ખાવા પડે છે. આમ છતાં નેટવર્કના પ્રોબ્લેમને કારણે ખામીયુક્ત સેવાથી ભારે હાલાકીઓ ભોગવવી પડે છે. ખામીયુક્ત સોફ્ટવેર ક્યારે શરૂ કરાશે તેની કોઈ માહિતી ઉપરથી નીચે સુધીના સરકારી તંત્ર પાસે ન હોવાને કારણે લોકોને રોજબરોજ આયુષ્માન કેન્દ્ર પર આંટાફેરા કરવા પડે છે ત્યારે આ મામલે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
સોફ્ટવેરમાં ખામી હોવાને કારણે ત્રણ દિવસથી કામગીરી બંધ દિવ્ય ભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલ છેલ્લા ત્રણેક દિવસથી માત્ર આવકનાં દાખલા ઉપરથી નીકળતા આયુષ્યમાન કાર્ડની કામગીરી બંધ છે. જોકે આ સિવાય 60-70 પ્લસનું આયુષ્યમાન કાર્ડ કાઢવાનું તેમજ અન્ય ડેટાનાં આધારે નીકળતા આયુષ્યમાન કાર્ડ કાઢવાનું પણ ચાલુ છે. સોફ્ટવેરમાં ખામી હોવાને કારણે કુલ ત્રણ દિવસથી આવકનાં દાખલા ઉપરથી નીકળતા આયુષ્યમાન કાર્ડની કામગીરી બંધ છે. આ કામગીરી ક્યારે શરૂ થશે તે અંગે હાલ કઈ કહેવું મુશ્કેલ છે.