Surat News: સુરતમાં છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીના માહોલને લઈને રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. રત્નકલાકારો બેરોજગાર બની જતાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. જેના કારણે રત્ન કલાકારોના આપઘાતના કિસ્સા પણ વધ્યા છે. ગત એક વર્ષમાં 65થી વધુ રત્નકલાકારોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે કામરેજના શેખપુર ગામમાં વધુ એક રત્નકલાકારે આપઘાત કરી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રત્નકલાકારે આપઘાતનો વીડિયો બનાવીને રડતાં-રડતાં દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે મંદીના કારણે આપઘાત કરી રહ્યો છું.
સુરતમાં રત્નકલાકારના પરિવારનો સામૂહિક આપઘાત
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ (7 માર્ચ)ના રોજ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો હતો. આત્મહત્યાની જાણ થતાં સોસાયટીના રહીશોએ ત્રણેયને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાજર ડૉક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતાં. પિતા-પુત્ર હીરા ઉદ્યોગમાં જોડાયેલા હતાં. પરંતુ, હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે આર્થિક સંકડામણનો ભોગ બનવું પડ્યું હતું.
આ પણ વાંચો: ભાડુઆત હેતુફેર કરે તો માલિક મિલકત ખાલી કરાવી શકે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
પરિવારે થોડા સમય પહેલાં ફ્લેટ લીધો હતો. જેના ચાર હપ્તા ચડી ગયા હતાં. રોજગાર છીનવાઈ જવાના કારણે ફ્લેટ બીજાને વેચાણ આપીને અન્ય જગ્યાએથી પણ પૈસા ઉધાર લીધા હતાં. આ તમામ આર્થિક સંકડામણમાં ફસાઈ જવાના કારણે ભરતભાઇ સસાંગિયા (પુત્ર), વનિતા સસાંગિયા (પત્ની) અને પુત્ર હર્ષ સસાંગિયાએ આ પગલું ભર્યું હતું. ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતાં હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ઘેરી મંદીના વમળમાં ફસાયા રત્નકલાકારો
હીરાઉદ્યોગ કારમી મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. રત્નકલાકારો પેટીયું રળી શકે એટલી આવક મેળવવા માટે પણ અન્ય વ્યક્તિ ઉપર મોહતાજ બન્યા છે. હીરાની ચમક-દમક પાછળ છવાયેલી ઘેરી મંદીના વમળમાં ફસાયેલા રત્નકલાકારો રોજીરોટી માટે અન્ય વેપાર-ધંધા તરફ ડાયવર્ટ થયા છે. તો, પરિવાર માટે રોટલો કમાવવા વતનનું ઘર છોડી સુરતમાં પડાવ નાંખનારા હંમેશા માટે સુરતને અલવિદા કરી ચૂક્યા છે.