Former BJP MLA writes letter to CM: ગુજરાત સરકાર દ્વારા ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. પરંતુ સુરતથી ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ રાજ્ય સરકાર સામે એવી માંગ કરી છે જે ચોંકાવનારી છે. તેમણે રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત બનાવનાર કાયદો તાત્કાલિક અસરથી રદ કરવા માંગ કરી છે.
શહેર વિસ્તારમાં હેલ્મેટ જોખમ
ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે, ‘જે હેલ્મેટ પ્રજાને શહેર વિસ્તારમાં આરોગ્યને માટે જોખમરૂપ છે. કારણ કે, શહેરમાં બપોરના સમયમાં 40-45 ડીગ્રીમાં 300થી 400 મીટરના સિગ્નલ પાસ કરવા પડે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે. કોઈપણ મગજના ડૉક્ટરોનો અભિપ્રાય લો તો કહેશે શહેર વિસ્તારમાં હેલ્મેટ જોખમ છે. પ્રજાની સુરક્ષાની વાતો કરનારા વ્યક્તિ એ.સી. ચેમ્બરમાં બેસીને નિર્ણય લે છે, એકવાર જાત અનુભવ કરીને ગરમીમાં શહેરમાં ફરે તો ખ્યાલ આવે.’
તેમણે પત્રમાં લખ્યું કે, ‘પ્રજાને માટે હેલ્મેટ, ખાડાઓ, રસ્તાની સાઇડ પર કચરાના ઢગલાઓ અને ગટરનો ખ્યાલ આવે કે મધ્યમ અને ગરીબ વર્ગને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પ્રજા હેલ્મેટમાં લૂંટાય છે અને ગરમીમાં પણ બીમારીનો ભોગ બને છે. જેથી મારી અપીલ છે કે આપ આ નિર્ણય માટે ફેરવિચાર કરીને શહેર વિસ્તારમાં હેલ્મેટમાંથી મુક્તિ આપો.’
હેલ્મેટ પહેરવાના ફાયદા
ઉલ્લેખનીય છે કે, બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યું હોય તો, તડકો, પવન અને ધૂળ સામે રક્ષણ આપે છે. લાંબી રાઇડ પર હેલ્મેટ સૂર્ય, વરસાદ અને શરદી જેવી કઠોર હવામાન પરિસ્થિતિઓથી તમારા ચહેરાને સુરક્ષિત કરી શકે છે. આ ઉપરાંત હેલ્મેટ પહેરવાથી ધોમધખતી ગરમીમાં બાઇક ચાલકો ઉપર પર પડતાં સૂર્યના આકરા કિરણોથી પણ રક્ષણ મળે છે. અને લૂ પણ નથી લાગતી, જેના કારણે ડિહાઇડ્રેશન કે ચક્કર આવવા જેવી સ્થિતિ ટાળી શકાય છે. એકંદર હેલ્મેટ બાઇક ચાલકને રક્ષણ આપે છે.
હેલ્મેટ પહેરવાનો કાયદો રદ કરવાને બદલે પૂર્વ ધારાસભ્યએ બપોરના આકરા તાપ સમયે શહેના અતિ વ્યસ્ત રહેતા રસ્તાઓ પરની સિગ્નલોને બોપરે 1થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનું સૂચન પણ કરી શકે, અથવા તો આવા ચાર રસ્તા પર ગ્રીન નેટ બાંધવાનું સૂચન પણ કરી શકાય.