– લાલગેટ લાલમીયાં મસ્જીદ પાસે બાંધકામ કરતા સૈયદપુરાના બિલ્ડરને સાઈટ પર જઈ ફોટા પાડી બાંધકામ ગેરકાયદેસર છે કહી ધમકાવ્યા
– બાંધકામ ગેરકાયદેસર નથી કહી પૈસા આપવા બિલ્ડરે ઈન્કાર કરતા ઈમરાન સોલંકી પૈસા પડાવવા મ્યુનિ.માં સતત અરજી કરી હેરાન કરતા હતા
સુરત, : સુરતના લાલગેટ લાલમીયાં મસ્જીદ પાસે બાંધકામ કરતા સૈયદપુરાના બિલ્ડરને સાઈટ પર જઈ ફોટા પાડી બાંધકામ ગેરકાયદેસર છે તેમ કહી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઈમરાન સોલંકીએ રૂ.5 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ લાલગેટ પોલીસ મથકમાં નોંધાઈ છે.બિલ્ડરે કોઈ ગેરકાયદેસર બાંધકામ નથી તેથી પૈસા આપવાનો નથી તેમ કહેતા બાદમાં ઈમરાન સોલંકીએ પૈસા પડાવવા મહાનગરપાલિકામાં સતત અરજી કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સૈયદપુરા પંપીંગ સ્ટેશન પાસે હિના પેલેસ ફ્લેટ નં.402 માં રહેતા 38 વર્ષીય બિલ્ડર તોસિફભાઈ મેહમુદભાઈ માસ્ટરે લાલગેટ લાલમીયાં મસ્જીદ પાસે વરીયાવા ટેકરો ઘર નં.7/2086/ડી વાળી જગ્યાએ જુલાઈ 2023 માં બાંધકામ શરૂ કર્યું હતું.થોડા સમય બાદ કોંગ્રેસ પક્ષમાંથી ચુંટણી લડી જીતેલા અને હાલ પૂર્વ કોર્પોરેટર ઈમરાન હસનભાઈ સોલંકી ( રહે.હાલ અલફલા એપાર્ટમેન્ટ, હાજરા મસ્જીદની બાજુમાં, રામપુરા, સુરત ) ત્યાં આવ્યા હતા અને બાંધકામના ફોટા પાડી તોસિફભાઇને કહ્યું હતું કે આ બાંધકામ શરૂ કર્યું છે તે ગેરકાયદેસર છે, જેથી તમારે મને રૂ.5 લાખ આપવા પડશે.નહીંતર તમારા બાંધકામનું ડિમોલેશન કરાવી નાખીશ.જોકે, તોસિફભાઇએ અમે કોઈ ગેરકાયદેસર બાંધકામ કરતા નથી એટલે પૈસા આપવાના નથી તેવુ કહીને ત્યાંથી ચાલતી પકડી હતી.
ત્યાર બાદ ઈમરાન સોલંકી મહાનગરપાલિકામાં બાંધકામ અંગે અરજીઓ કરી તોસિફભાઇને હેરાન કરતા હતા.બાદમાં જાન્યુઆરી 2024 માં તોસિફભાઇ અને તેમના મિત્ર એજાજ હનીફ શેખ સાઈટ પર હાજર હતા ત્યારે ફરી ઈમરાન સોલંકીએ ત્યાં આવી ફોટા પાડતા તોસિફભાઇએ ના પાડી તો ઈમરાન સોલંકીએ તમારે મને પૈસા આપવા પડશે નહીંતર હું આ ફોટાઓ મહાનગરપાલિકામાં મોકલી અરજીઓ કરી તમારા બાંધકામનું ડિમોલેશન કરાવી નાખીશ તેવી ધમકી આપી હતી.તોસિફભાઇએ તેને વિનંતી કરી હતી છતાં ઈમરાન સોલંકીએ રૂ.5 લાખથી એક પણ રૂપિયો ઓછો લેવાની ના પાડી હતી.આટલી મોટી રકમ પોતાની પાસે ન હોય તોસિફભાઇએ પૈસા આપ્યા નહોતા.આથી ઈમરાન સોલંકી સતત અરજી કરી આજદિન સુધી હેરાન કરતા રહ્યા હતા.
હાલમાં પોલીસે શરૂ કરેલી કાર્યવાહીને પગલે હિંમત આવતા આખરે તોસિફભાઇએ ગતરોજ પૂર્વ કોર્પોરેટર ઈમરાન સોલંકી વિરુદ્ધ ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાવી હતી.વધુ તપાસ પીએસઆઈ એસ.એ.અસારી કરી રહ્યા છે.