રાજ્યમાં હવામાન વિભાગે 15 થી 17 એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી કરી છે. આજે રાજ્યના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીના વધારાની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ, રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.
.
એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં આકરી ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. છેલ્લા 15 દિવસ દરમિયાન અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં તાપમાનનો કેવો ઉતારચડાવ રહ્યો તે પણ આગળ જાણીશું. ગુજરાતમાં આકરી ગરમીના રાઉન્ડ વચ્ચે ચોમાસાને લઈ રાહતનો સમાચાર આવ્યા છે. આગામી ચોમાસું રાજ્યમાં સામાન્ય કરતા સારું રહેવાનું હવામાન વિભાગે પૂર્વાનુમાન આપ્યું છે.
આજે ચાર જિલ્લામાં ગરમી યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી
હવામાન વિભાગે આજે કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજકોટમાં ગરમીના યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. અહીં તાપમાનનો પારો 41 થી 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.
આજે વિવિધ શહેરોમાં તાપમાનની આગાહી
શહેર | તાપમાન |
અમદાવાદ | 44 ડિગ્રી |
સુરત | 40 ડિગ્રી |
વડોદરા | 41 ડિગ્રી |
રાજકોટ | 44 ડિગ્રી |
ભુજ | 43 ડિગ્રી |
ભાવનગર | 43 ડિગ્રી |
ડીસા | 44 ડિગ્રી |
નલિયા | 35 ડિગ્રી |
અમરેલી | 43 ડિગ્રી |
પોરબંદર | 36 ડિગ્રી |
દ્વારકા | 33 ડિગ્રી |
15 એપ્રિલે વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન
શહેર | તાપમાન |
અમદાવાદ | 42.3 ડિગ્રી |
અમરેલી | 42.0 ડિગ્રી |
વડોદરા | 39.8 ડિગ્રી |
ભાવનગર | 40.9 ડિગ્રી |
ભુજ | 41.2 ડિગ્રી |
ડીસા | 41.5 ડિગ્રી |
દ્વારકા | 31.8 ડિગ્રી |
ગાંધીનગર | 42.3 ડિગ્રી |
કંડલા | 35.7 ડિગ્રી |
નલિયા | 34.3 ડિગ્રી |
ઓખા | 32.8 ડિગ્રી |
પોરબંદર | 33.8 ડિગ્રી |
રાજકોટ | 42.8 ડિગ્રી |
સુરત | 37.0 ડિગ્રી |
વેરાવળ | 31.8 ડિગ્રી |
ગુજરાતમાં એપ્રિલ મહિનાના પ્રારંભ સાથે જ આકરી ગરમી અને હીટવેવની અસર શરૂ થઈ ગઈ હતી. એપ્રિલ મહિનાના 15 દિવસ વિતી ચૂક્યા છે. ત્યારે રાજ્યના ચાર મોટા શહેરોમાં આ 15 દિવસ દરમિયાન તાપમાનમાં કેવો ઉતારચડાવ રહ્યો તે સમજીએ.
રાજકોટમાં છેલ્લા 15માંથી 14 દિવસ 42 ડિગ્રીથી વધુ ગરમી રહી રાજકોટ શહેરની વાત કરીએ તો 1 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન 14 દિવસ 42 ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું છે. 9 એપ્રિલે સૌથી વધુ 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં 15 દિવસમાં 13 દિવસ 40 ડિગ્રીથી વધુ તાપમાન અમદાવાદ શહેરની વાત કરીએ તો, અહીં 15 દિવસમાંથી 13 દિવસ 40 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાયું. 11 અને 12 એપ્રિલે તાપમાનનો પારો 40 ડિગ્રી નીચે ગયો હતો. જ્યારે 10 એપ્રિલે 43.3 ડિગ્રી નોંધાયું હતું.

વડોદરામાં 15 દિવસમાં 8 દિવસ 40 ડિગ્રીથી વધુ તાપમાન વડોદરામાં છેલ્લા 15 દિવસ દરમિયાન 8 દિવસ 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. 9 એપ્રિલે અહીં સૌથી વધુ 43 ડિગ્રી નોંધાયું હતું.
સુરતમાં 15માંથી 5 દિવસ 40 ડિગ્રીથી વધુ તાપાન નોંધાયું રાજ્યના અન્ય મહાનગરોની સરખામણીએ સુરતમાં ઓછી ગરમી નોંધાઈ હતી. સુરતમાં પાંચ દિવસ જ ગરમીનો પારો 40ને પાર પહોંચ્યો હતો. 9 એપ્રિલે અહીં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
લૂ કે હીટવેવ શું છે? જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે તો એને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે.
હીટ સ્ટ્રોકનું કારણ શું છે? આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે, પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન, એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે ત્યારે આ સ્થિતિને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે.

હીટ સ્ટ્રોકના કિસ્સામાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય? હીટ સ્ટ્રોકના કિસ્સામાં સૌપ્રથમ શરીરના વધેલા તાપમાનને કંટ્રોલ કરવાની અને ડિહાઇડ્રેશન દૂર કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં આ ઉપાયો અપનાવી શકાય છે, જેમ કે-
- વ્યક્તિને ઠંડી જગ્યાએ અથવા છાયામાં સુવાડી દો.
- વ્યક્તિને બરફ ઘસી શકાય છે.
- ટુવાલને ઠંડા પાણીમાં પલાળીને શરીર પર રાખી શકો છો.
- નારંગી, લીંબુ અથવા લીંબુનો રસ પી શકો છો
જો કોઈ વ્યક્તિ માનસિક સમસ્યાઓથી પીડિત હોય, જેમ કે સ્ટટરિંગ, બેભાન થવું અથવા માનસિક ધ્રુજારી, આ સ્થિતિ ખતરનાક લેવલના હીટ સ્ટ્રોકની છે. આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ, કારણ કે આમાં શરીરનાં અંગોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. વ્યક્તિએ પોતાની જાતે કોઈપણ પ્રકારની સારવાર ન કરવી જોઈએ, કારણ કે આવી સ્થિતિમાં થોડી બેદરકારી પણ દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે.

હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ?
- બપોરે 12થી 3 વાગ્યાની વચ્ચે તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ.
- તરસ ન લાગે તોપણ શક્ય એટલું પાણી પીવું.
- હળવા રંગનાં, ઢીલાં અને સુતરાઉ કપડાં પહેરો.
- તડકામાં ચશ્માં, છત્રી/ટોપી, ચંપલ પહેરીને જ બહાર નીકળો.
- મુસાફરી દરમિયાન પાણી સાથે રાખો.
- આલ્કોહોલ, ચા, કોફી અને શરીરને ડિહાઇડ્રેટ કરતાં પીણાં ન પીવાં.
- હાઇ પ્રોટીન ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાવો.
- ORS, લસ્સી, લીંબુ પાણી, છાશ પી શકાય છે. આ શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.
- પંખા, કૂલર કે એસીની સામે બેસો, જેથી શરીર ગરમ ન થાય.
- જો તમને કોઈપણ પ્રકારની સમસ્યા લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવો આહાર હોવો જોઈએ? નિષ્ણાત તબીબના જણાવ્યા મુજબ, હીટ સ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર નીકળતાં પહેલાં કંઈક ખાવું. દાદા અને દાદી કહે છે કે ઘરની બહાર ક્યારેય ખાલી પેટ ન નીકળવું જોઈએ, એની પાછળ વિજ્ઞાન છે. જ્યારે તમે ખાલી પેટે બહાર જાઓ છો ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો.
આ ઉપરાંત તડકામાંથી આવ્યા પછી અથવા વધુ પડતો પરસેવો આવ્યા પછી તરત જ ઠંડું પાણી પીવું જોઈએ નહીં. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણવાર પીવું જોઈએ. આ હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.
જે લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને એને શરીર પર લગાવો, એનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.
ઉનાળાની ઋતુમાં જમ્યા પછી ગોળ ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ઉનાળામાં હળવો ખોરાક લેવો જોઈએ અને ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.