પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાનો તા. 25/8ના સાંજે 7: 30 કલાકે પ્રારંભ કરવામાં આવ્યો હતો. લોકમેળો ખુલ્લો મુકવામાં આવતા ચકડોળ સહિતના સ્ટોલ ખાતે માણવા મહેરામણ ઉમટી પડ્યું હતું. રાત્રીના 12 વાગ્યે મેળો બંધ કરાવવામાં આવ્યો હતો. બાદ જન્માષ્ટમીને સોમવારના
.
વરસાદ બંધ થવાનું નામ લેતો ન હોય અને શોટ સર્કિટ સર્જાય તો દુર્ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા રાત્રે 8 વાગ્યે ચકડોળ બંધ કરાવવામાં આવી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રદ કરવામા આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે, આ વખતે પાલિકા તંત્રને મેળા મેદાનમાં પ્લોટની ફાળવણી હરરાજી દ્વારા કરવામાં આવી હોવાથી રેકોર્ડ બ્રેક રૂ. 1.73 કરોડની આવક થઈ છે. જન્માષ્ટમીના દિવસે મેળા મેદાનમાં રાત્રીના 12 વાગ્યા બાદ પણ હકડેઠાઠ ભીડ હોય છે ત્યારે આ વખતે વરસાદના કારણે રાત્રીના 10 વાગ્યા બાદ એકલદોકલ વ્યક્તિઓ જ નજરે ચડતા હતા.
રાત્રીના અને બીજા દિવસે મંગળવારે સવારે પણ વરસાદ ચાલુ હોય, જેથી મેળા મેદાનમાં 1 ફૂટથી વધુ પાણી ભરાયાં છે અને તંત્ર દ્વારા પંપો મૂકી પાણીના નિકાલ કરવાની કવાયત હાથ ધરી છે પરંતુ વરસાદ હોવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થયો નથી. ઉલ્લેખનીય છેકે, મેળા મેદાનમાં પાણી ભરાયેલ હોવાથી જમીન તો પલળીને પતી ગઈ છે ત્યારે લોકમેળો બંધ કરવાની જાહેરાત કરવાને બદલે તંત્રએ માત્ર એક જ દિવસ એટલેકે તા. 27ના રોજ 1 દિવસ મેળો બંધ રાખવાની જાહેરાત કરી છે.
ખરેખર તો મેળો બંધ કરાવી ચકડોળ, સ્ટોલ ધારકો તથા મેળામાં જગ્યા ભાડે રાખનાર તમામ ધારકોને ભાડાના રૂપિયા પરત આપવાની જાહેરાત કરવાને બદલે તંત્ર હજુ વરસાદ બંધ થાય તો બીજા દિવસે મેળો શરૂ કરવામાં આવશે તેની રાહ જોઈને બેઠું છે.
કમાવું તો દુર રહ્યુ, નુકસાન વેઠવુ પડે એવા સંજોગો ઉભા થયા છે
ભારે વરસાદના કારણે પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળો આઠમના દિવસે વહેલો બંધ થયો, ત્રીજા દિવસ સંપૂર્ણ બંધ રાખવા તંત્રએ ફરજીયાત જાહેરાત કરવી પડી છે. આવા આયોજન થકી અનેક પરિવાર રોજીરોટી માટે આગોતરા આયોજન કરી, મુડી રોકાણ કરી જોખમ લઈને ધંધાઓ કરતાં હોય છે, કમાવું તો દુર રહ્યુ, નુકસાન વેઠવુ પડે એવા સંજોગ ઉભા થયા છે, દરેક વેપારીઓ આ માર સહી ન શકે. આયોજક સંસ્થા કે તંત્ર માટે આ વેપાર નથી કે નફો નુકસાન જોવા પડે, સમગ્ર આયોજન માટે તંત્રએ મોટો ખર્ચ કર્યો હોય પણ આ વેપારીઓને તેમણે ચુકવેલ ભાડા ની કે હરરાજીમાં ભરેલ રકમ પુર્ણ પરત આપવાનો ન્યાયિક નિર્ણય કરવો જ જોઈએ. > નલીનભાઇ કાનાણી, વ્યાપાર ઉદ્યોગ જગત તથા પુર્વ પ્રમુખ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ
ભાડાના રૂપિયા પરત આપો અને વળતર પણ આપો
આમ તો સાતમની રાત્રે મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આઠમના બપોર બાદ તો વરસાદ પડતો હતો. રાત્રે મેળો બંધ કરાવી દીધો હતો. અમુક કલાકો જ ધારકોએ ધંધો કર્યો છે. નોમના દિવસે વરસાદ હોવાથી 1 દિવસ મેળો બંધ રખાવ્યો છે. મેળા ગ્રાઉન્ડ પર પાથરણાથી લઈને ચકડોળ, તમામ સ્ટોલ ધારકોને તંત્રએ પાંચેય દિવસના જીએસટી સાથેના ભાડા પરત આપવા જોઈએ અને વળતર પણ આપવું જોઈએ. – વિનુભાઇ બાદરશાહી, ચકડોળ ધારક, પોરબંદર
દિવસો વધારી આપે તો પણ કાઈ કામનું નહિ
તંત્ર હવે મેળાના દિવસો વધારી આપે તો પણ કાઈ કામનું નથી. સાતમ, આઠમ અને નોમનો દિવસ મહત્વના હોય છે. અગિયારસ બાદ તો મેળો વધારે તો પણ પબ્લિક આવે નહિ. હાલ ધારકોની સ્થિતિ કફોડી બની છે. મેળાના 15 દિવસ પહેલાથી તમામ સ્ટોલ ધારકોએ મેળાની તૈયારી કરી હતી અને લાખો રૂપિયાની ખરીદી કરી મેળામાં કમાશું તેવી આશા સેવી હતી જેના પર પાણી ફરી વળ્યુ છે. કેટલાક ધારકોએ તો ઉછીના પૈસા લઈને મેળામાં વેપાર કરવા આવ્યા છે. – મેરુ સિંધલ, ચકડોળ ધારક, પોરબંદર
ભાડા પરત આપવા અંગે નિર્ણય કરીએ છીએ : અધિકારી
હાલ નોમના દિવસે સાંજે 5 સુધી વરસાદની આગાહી છે એટલે નોમના મંગળવારે મેળો બંધ રાખ્યો છે. મેળા મેદાન માંથી પાણીના નિકાલની વ્યવસ્થા ચાલુ છે. વરસાદ બંધ થાય અને વાતાવરણ જોયા પછી મેળો ચાલુ રાખવો કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ભાડા પરત આપવા માટે વિચારણા ચાલુ છે, કોને આપવું,કેટલું આપવું તે અંગે નિર્ણય લેવાશે. – સંદીપસિંહ જાદવ, પ્રાંત અધિકારી, પોરબંદર