આરોપીઓની તસવીર.
સુરતના અમરોલી ખાતે એન્ટેલીયા ડ્રીમનાં શશાંગીયા પરિવારની સામુહિક આપઘાત મામલે અમરોલી પોલીસ દ્વારા આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રિપુટીની ધરપકડ કરી છે. માતા-પિતા અને પુત્રના સામુહિક આપઘાત પ્રકરણમાં સુસાઇડ નોટના આધારે અમરોલી પોલીસે મકાન વેચાણના ટો
.
પિતા-પુત્રની હીરામાં મંદીને પગલે નોકરી છૂટી ગઈ હતી મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખારાવેઢા ગામના વતની 54 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ શશાંગીયા તેમના પત્ની વનિતાબેન (ઉં.વ.52) અને પુત્ર હર્ષ (ઉં.વ. 24) હાલ એકાદ વર્ષથી અમરોલી છાપરાભાઠા રોડ પર એન્ટિલિયા ડ્રીમ રેસિડેન્સીમાં સી/2 બિલ્ડિંગમાં રહેતા હતા. હીરામાં મંદીને પગલે નોકરી છૂટી જતા ભરતભાઈ વોચમેન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને હર્ષ ફાઈનાન્સ કંપનીમાં લોન એજન્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.
આર્થિક સંકડામણથી પરિવાર ફ્લેટ વેચવા કાઢ્યો હતો છેલ્લા પાંચ મહિનાથી આર્થિક સંકડામણને પગલે ફ્લેટના લોનના હપ્તા પણ બાઉન્સ થતા હતા. ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા આ પરિવારે પોતાનો ફ્લેટ રૂ. 22 લાખમાં હિતેશ સંજયભાઈ પટેલને વેચવા કાઢ્યો હતો, જેમાં દલાલ રાજુભાઇ આંબલિયા મારફતે એક લાખ રૂપિયા ટોકન પેટે પણ લઈ લીધા હતા, પરંતુ બાદમાં ફ્લેટ ખરીદનારને જાણ થઈ હતી કે મકાન પર બેંકના હપ્તા ચઢી ગયા છે. જેથી આખરે તેઓએ ભરતભાઈ અને તેના પુત્ર હર્ષ સાથે આ ફ્લેટનો સોદો કેન્સલ કરવાનું કહીને રૂપિયા એક લાખ પરત આપવા માંગણી કરી હતી.
આરોપીઓ ફ્લેટની ટોકન પેટે આપેલી રકમ ઉઘરાવવા ધમકી આપતા ટોકનના રૂપિયા પરત ન આપી શકતા અને લોનના હપ્તા બાઉન્સ થયા હોવાથી હિતેશ, તેના પિતા સંજય અને દલાલ રાજુ દ્વારા સતત ત્રાસ આપીને ઘરે આવીને મારવાની ધમકી આપી હતી. ત્રિપુટીએ સતત ટોર્ચર કરતાં શશાંગીયા પરિવાર માનસિક તણાવમાં આવી ગયો હતો. ઉપરાંત ટોકન પેટેની એક લાખની રકમ 8 માર્ચના રોજ ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ આ રકમ ચૂકવી નહીં શકતા, 7 માર્ચને શુક્રવારે રાત્રે ઘરમાં ભરતભાઈ તથા પત્ની વનિતાબેન અને પુત્ર હર્ષે ઝેર ગટગટાવી લીધું હતું. ત્રણેયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ત્રણેયનું શુક્રવારે મોડી રાતે મોત થયું હતું.
પોલીસે સુસાઈડ નોટના આધારે પિતા-પુત્ર અને દલાલની ધરપકડ કરી અમરોલી પોલીસને તપાસમાં ભરતભાઈએ લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં ભરતભાઈ સહિતને ધમકી આપનારા હિતેશ, સંજય અને દલાલ રાજુ દ્વારા ધમકી આપવાના કારણે આપઘાત કરવાનું પગલું ભર્યુ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અમરોલી પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને ખાનગી કંપનીમાં નોકરી કરતાં હિતેશ સંજયભાઈ પટેલ (ઉં.વ. 26, રહે. અલ્પાનગર, કતારગામ) અને રત્નકલાકાર તરીકે કામ કરતાં તેના પિતા સંજય મફતલાલ પટેલ (ઉં.વ. 47, રહે. અલ્પાનગર, કતારગામ-મૂળ રહે. અડિયા, તા. હારીજ, જિ. પાટણ) અને મકાન દલાલ રાજુ હરજીભાઇ આંબલિયા (ઉં.વ. 48, રહે. પટેલ પાર્ક, છાપરાભાઠા રોડ, અમરોલી-મૂળ રહે. દેવગડા, તા. મહુવા, જિ. ભાવનગર)ની ધરપકડ કરી હતી. આ ત્રણેયને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.