સાબરકાંઠા જિલ્લામાં તલોદમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ વરસતા રોડ પર પાણી ભરાયા હતા. બીજી તરફ વડાલીના કુબા ધરોલ કોઝવે પર પાણીમાં તાણાયેલા યુવકની લાશ 6 કલાકે મળી હતી.
.
આ અંગેની ડિઝાસ્ટર વિભાગમાંથી મળેલી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં તલોદ પંથકમાં શનિવાર બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તલોદ પંથકમાં વરસેલા મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદ વરસતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો.
તલોદ તાલુકા અને શહેર વિસ્તારમાં વરસાદથી તાલુકાની પ્રજામાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી. વહેલી સવારથી સાંજ સુધીમાં બે ઈંચ કરતા પણ વધુ વરસાદના કારણે તલોદ શહેરની નીચાણવાળા વિસ્તારોમાં આવેલ નિજાનંદ સોસાયટી આશ્રય સોસાયટી અને દેસાઇનગર સહીત સમગ્ર બજારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.
સાબરકાંઠા જિલ્લામાં સવારે 6થી 6 દરમિયાન 8માંથી 4 તાલુકામાં વિજયનગર 05 મિમી, હિંમતનગર 09 મિમી અને તલોદ 62,પ્રાંતિજમાં 13 મિમી વરસાદ નોંધાયો હતો.
કુબાધરોલ નજીક કોઝવે ઉપરથી પસાર થતા બાઇક ચાલક તણાયો, 6 કલાકે લાશ મળી વડાલી તાલુકાના કુબાધરોલ નજીક કોઝવે પરથી બાઇક લઇને પસાર થતા બાઇક ચાલક તણાયો હતો. જેની લાશ હિંમતનગર ફાયર બ્રીગેડની ટીમે 6 કલાકે પાણીમાંથી શોધી કાઢી હતી.
આ અંગેની વિગત એવી છે કે વડાલી તાલુકાના કુબાધરોલ ગામના નટુભાઇ સરદારભાઇ ઠાકોર (ઉ.વ.45)નાઓ રાત્રીના સમયે બાઇક લઇને જઇ રહ્યા હતા તે દરમિયાન કોઝવે ઉપર પાણી આવતા બાઇક તણાઇ ગયુ હતુ અને નટુભાઇ સરદારભાઇ ઠાકોર કોઝવે પરથી વહેતા પાણીમાં તણાવા લાગ્યા હતા. જે અંગેની જાણ થતા બુમાબુમ થઇ હતી અને લોકો દોડી આવ્યા હતા. વડાલી પોલીસ અને ફાયર બ્રીગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. શનિવારે સવારે 9 વાગેથી હિંમતનગર ફાયર ટીમે બોટ દ્વારા શોધખોળ હાથ ધરી હતી. બપોરે 3 વાગ્યા દરમ્યાનમાં 6 કલાકમાં કોઝવેથી 100 મીટર દૂર મૃતદેહ મળ્યો હતો. વડાલી પોલીસે લાશને બહાર કાઢ્યા બાદ પીએમ માટે વડાલી સરકારી દવાખાને ખસેડી હતી. જે અંગે પંચનામું કરી મૃતકની લાશને પરિવારજનોને સોંપવામાં આવી હતી.