પાંચ જ દિવસમાં છત તૂટી પડવાના કારણે બે વૃદ્ધાના મોત થયા
Updated: Jul 4th, 2024
વડોદરા,૧૨ વર્ષ પહેલા જ બનાવવામાં આવેલા જાંબુવા વસાહતના ફ્લેટની છત તૂટીને પડતા ઇજાગ્રસ્ત વૃદ્ધાનું મોત થયું હતું. પાંચ દિવસમાં સરકારી વસાહતમાં છત તૂટીને પડવાના કારણે બે મહિલાઓના મોત થયા છે.
ગત રવિવારે હરણી રોડ વિજય નગર પાસે ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહેતા ૬૩ વર્ષના નયનાબેન નરેશભાઇ જાદવ સાંજે વરસાદ જોવા માટે મકાનની ગેલેરીમાં ઉભા હતા. તે દરમિયાન બાલ્કનીનો ભાગ તૂટીને તેમના પર પડતા માથા, આંખ, કાન અને દાઢીના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.
જ્યારે ગઇકાલે જાંબુવા ખાતે ૧૨ વર્ષ પહેલા બનાવવામાં આવેલા આવાસોના મકાનો પૈકી એક ફ્લેટની છતનો કેટલોક ભાગ તૂટીને પડતા ૭૭ વર્ષના જનાબેન હરિભાઇ કદમ ને ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, આજે સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, જાંબુવા વુડાના મકાનો જર્જરિત થઇ જતા કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેના કારણે વિવાદ સર્જાયો હતો.