Vadodara Corporation : વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિ માટે કારણભૂત રહેલા ભુખી કાંસમાંથી પાણી નિકાલ ઝડપથી થાય તે માટે 39 કરોડના ખર્ચે ભૂખી કાંસને રીરૂટ કરવાની બે દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મૂકવામાં આવી છે. આ કામગીરી કરવાના બદલે વડોદરા શહેર બહાર સિસવા ગામથી આવતું વરસાદી પાણી નેશનલ હાઈવે દુમાડ થઈ વિશ્વામિત્રી નદીમાં ડાયવર્ટ કરવા સર્વે કરી યોજના બનાવીને અમલમાં મુકાય તો ઓછા ખર્ચમાં કામ થઈ શકે તેમ છે, એમ વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરનું કહેવું છે.
તેમના કહેવા મુજબ મારા વિસ્તારમાં આવેલો ભુખી કાંસ વર્ષો પહેલા નેચરલ કાંસ હતો. આજુબાજુ ખુલ્લી જગ્યા હોવાના કારણે પાણીની વહનશક્તિ વધારે હતી. હવે કાંસમાં પુરાણ થતાં પાણી જવાનું ઓછું થયું છે અને તેને લીધે જળબંબાકારની પરિસ્થિતિમાં પૂર આવે છે. 39 કરોડના ખર્ચે જે કામગીરી કરવાની છે, તેમાં રોડ, ડ્રેનેજની પ્રેશર લાઈન, હાલની વરસાદી કાંસ વગેરે તોડવાના થશે, અને તેના કારણે ખર્ચ વધી જશે. બીજુ જે ઉંચો ભાગ છે ત્યાથી પાણીનું વહન થઇ શકે તેવી પરિસ્થિતિ નથી. ફેઝ-1 નું કામ ભુખી કાંસ સાયફનથી વસુપાર્ક થઇ છાણી જકાતનાકા તરફનું છે, તથા ફેઝ-2નું કામ છાણી જકાતનાકાથી જલારામ મંદિર થઇ પુષ્પક પાર્ક, પ્રભુપાર્ક, આશોપાલવ, માઇકૃપા, પાવનપાર્ક, સંતોકનગર, પુનિતપાર્ક થઇ કલાસવાના નાળા પાસેથી ભુખી કાંસમાં ડાયવર્ટ કરવાનું છે. હકીકતમાં સૈનિક છાત્રાલય થઇ નિઝામપુરા ભુખી કાંસ ખુલ્લો કરવાની જરૂર છે. મૂળ ભુખી કાંસના વળાંકને બદલી નાખતા અને સાંકડો કરી તેના પર સ્લેબ ભરીને ઢાંકી દેવાતા પાણીના વહેણને અસર થઈ છે. નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબની બહારનો ખુલ્લો કાંસ જમીન લેવલનો હતો તેને ઉંચો કરી સ્લેબ ભરી દેતા પાણી જઈ શકતું નથી. આ બધી જે ખામીઓ છે તે દૂર કરવાની જરૂર છે. સી.એન.જી. સ્ટેશનથી સુર્યા ફ્લેટસ તરફનાં જે ત્રણ ખુણા પડે છે ત્યા કાંસને ખુલ્લો કરી સફાઇ કરવામાં આવે તો પાણીની વહન શક્તિ વધશે.