વડોદરા : ઓનલાઇન ફ્રોડનો ભોગ બનેલા વડોદરાના વેપારીને ન્યાય અપાવવાના બદલે પોલીસ માત્ર ધક્કા જ ખવડાવી રહી હોવાથી થાકીને વેપારીએ રાજ્યના ગૃહ વિભાગથી લઇને પ્રધાનમંત્ર કાર્યલય સુધી ફરિયાદ કરી છે. વેપારીનો આક્ષેપ છે કે છેલ્લા ૬ મહિનામાં મારે પોલીસ સ્ટેશનના ૪૨ ધક્કા ખાવા પડયા છે.
લક્ષ્મીપુરા રોડ ઉપર રહેતા વેપારી શ્રેયાંસ વોરા પોતાની સાથે થયેલ ફ્રોડ અને પોલીસની હેરાનગતિ અંગે વાત કરતા કહે છે કે મારી પાસે એયુ સ્મોલ ફાઇનાન્સનું ક્રેડિટ કાર્ડ છે. ૨૨ માર્ચ ૨૦૨૪ના રોજ મારા મોબાઇલ ઉપર એક મહિલાનો ફોન આવ્યો કે એ.યુ. સ્મોલ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલુ છુ. તમારા કાર્ડનો વાર્ષિક ૯ હજારનો મેન્ટેનન્સ ચાર્જ ભરવો ન પડે તે માટે હું લિંક મોકલુ છુ તેમાં દર્શાવેલ ફોર્મ ભરીને મોકલો અને પછી મારો ક્રેડિટ કાર્ડ નંબર માગ્યો. મે નંબર આપતા જ તુરંત મારા કાર્ડમાંથી ત્રણ તબક્કામં ૯૩,૦૧૫ રૃપિયા ઉપડી ગયા.
વેપારી સાથે 6 મહિના પહેલા ઓનલાઇન ફ્રોડ થયો હતો, હવે ગોરવા પોલીસ કહે છે કે લખીને આપો કે પૈસા પરત નહી આવે તેની સાથે હું સહમત છું
બપોરે દોઢ વાગ્યે આ ઘટના બની હોવાથી મે તુરંત બેંકને જાણ કરતા બેંકે કાર્ડ બંધ કરી દીધુ જે બાદ હું ગોરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો તો મને કહ્યું કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશ જાવ, ત્યાં ગયો તો મને કહ્યું ઇલોરાપાર્ક ચોકીએ જાવ. ત્યાં ફરિયાદ નોંધાવી તો થોડા દિવસ પછી મને કહેવામાં આવ્યુ કે તમારી ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશન મોકલવામાં આવી છે. ગોરવા પોલીસ સ્ટેશનમાં છ મહિનામાં ૪૨ ધક્કા ખાધા પછી મને હવે કહે છે કે તમે લખીને આપી દો કે ‘પૈસા પાછા મળશે નહી તો તેની સાથે હું સહમત છું’ મે તમામ પુરાવા આપ્યા છે. જે મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબર છે. મારા ક્રેડિટ કાર્ડમાંથી છત્તીસગઢની કોઇ બેંકના એકાઉન્ટમાં પૈસા જમા થયા છે તેની વિગત છે છતા પોલીસ પગલા લેતી નથી.