AI Image
Vadodara Crime: વડોદરામાં જમવાનું બનાવવાનો ઇન્કાર કરતી પત્નીને લાફો ઝીંકી દેનાર પતિને બે સાળાઓએ ઢોર માર માર્યો, પતિની ફરિયાદના આધારે પોલીસે પત્ની સહિત ચાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના બાપોદ જકાતનાકા પાસે આવેલ જય અંબે નગરમાં રહેતા ઉજ્જવલભાઈ વિરમગામીયા છૂટક મજૂરી કરે છે. ગત રાત્રે તેઓએ પત્નીને કહ્યું હતું કે, જમવાનું આપ…તો સામે પત્નીએ જણાવ્યું હતું કે, જમવાનું બનાવ્યું નથી. આ દરમ્યાન તકરાર થતાં તેમણે પત્નીને લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ પત્ની બાજુના ઘરે જ પિયર હોવાથી ત્યાં જતી રહી હતી. અને અડધો કલાક બાદ સાસુ, સસરા અને બે સાળા દિપક અને રાહુલ સાથે ઘસી આવી હતી, બંને સાળાએ જમાઈ ઉજ્જવલભાઈને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. તો રાહુલ નામના સાળાએ ઉજવલભાઈના કાન પર બચકું ભરી લીધુ હતું, જેથી તેમને ટાંકા આવ્યા છે. કપુરાઇ પોલીસે ઉજ્જવલભાઈની ફરિયાદના આધારે પત્ની રાજેશ્રીબેન, દીપકભાઈ ખાવડીયા, રાહુલભાઈ ખાવડીયા અને હંસાબેન ખાવડીયા વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.