Updated: Dec 27th, 2023
વડોદરા,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર
વડોદરા કોર્પોરેશન દ્વારા ગોરવા પાણીની ટાંકીના સંપની સફાઈ અને લાલબાગ પાણીની ટાંકી ખાતે હયાત પાણીની લાઈન સાથે નવી પાણીની લાઈનનું જોડાણ કરવાની કામગીરી તારીખ 28 અને 29 દરમિયાન કરવાની હોવાથી વડોદરા શહેરના ગોરવા, નવાયાર્ડ બ્રિજ, તેમજ માંજલપુર નવાપુરા,આર.વી. દેસાઈ રોડ, સિંધવાઈ માતા રોડ દંતેશ્વર વિગેરે વિસ્તારમાં બે દિવસ પાણીનો કકળાટ સર્જાશે જેને કારણે ચાર લાખ લોકોને સીધી અસર થશે.
વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ તરફથી પાણી અંગેની અગત્યની જાહેરાત આપવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે,ગોરવા પાણીની ટાંકીના સંપની સફાઈની કામગીરી તારીખ 28 ડિસેમ્બરના રોજ સવારના પાણી વિતરણ બાદ કરવાની છે જેથી ગોરવા પાણીની ટાંકીથી તા.28ના રોજ સાંજના સમયે ચારથી પાંચ વાગ્યા દરમિયાન વિતરણ થતાં ઝોન (1) ગોરવા ગામ, ગોરવા પોલીસ સ્ટેશન આસપાસનો વિસ્તાર, બાપુની દરગાહ સામે ઓમ સોસાયટી, આંગણ ડુપ્લેક્સ વિસ્તાર, સત્યમ એપાર્ટમેન્ટ આઈ.ટી.આઈ.તરફ નો વિસ્તાર તેમજ ઝોન (2) સાંજે છ થી સાત વાગે પાણી વિતરણ થતાં વિસ્તાર ગોરખનાથ મહાદેવ મંદિરથી નવા યાર્ડ બ્રિજ તરફનો સમગ્ર વિસ્તાર, બાપુની દરગાહની પાછળથી મધુનગર ચાર રસ્તા તરફનો વિસ્તાર આઈ.ટી.આઈ.ચાર રસ્તાથી પંચવટી ચાર રસ્તાની જમણી બાજુ તેમજ પંચવટી ચાર રસ્તા થી મધુનગર ચાર રસ્તા તરફનો સમગ્ર વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં તેમજ બીજા દિવસે તા.29મીના રોજ સવારના સમયનું પાણી નિયત સમય કરતા વિલંબથી અને ઓછા દબાણથી ઓછા સમય માટે વિતરણ કરવામાં આવશે.
એ જ પ્રમાણે લાલબાગ ટાંકી ખાતે હયાત 600 એમ.એમ.વ્યાસની લાઈન સાથે નવીન 600 એમ.એમ.વ્યાસની પાણીની લાઈનનું જોડાણ કરવાની કામગીરી તારીખ 28 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવનાર છે જેથી લાલબાગ ટાંકી પરથી પાણી મેળવતા વિસ્તાર જગન્નાથપુરમ, માંજલપુર ગામ વિસ્તાર, લાલબાગ એસઆરપી વિસ્તારમાં તારીખ 28મી ના રોજ સાંજે પાણી વિતરણ કરવામાં આવશે નહીં તેમ જ લાલબાગ ટાંકી પરથી પાણી મેળવતા વિસ્તાર રાજમહેલ રોડ, શિયાબાગ વિસ્તાર, નવાપુરા વિસ્તાર, આર.વી.દેસાઈ રોડ, જયરત્ન બિલ્ડીંગ આસપાસ નો વિસ્તાર, માંજલપુર દીપ ચેમ્બર્સ તુલસીધામ વિસ્તાર, લાલબાગ એસ.આર.પી. વિસ્તાર, સિંધવાઇ માતા રોડ, ડેરી રોડ,દંતેશ્વર ગામ વિસ્તાર અને વિશ્વામિત્રી સ્ટેશન વિસ્તારમાં તારીખ 29 ડિસેમ્બરના રોજ સવારે પાણી વિતરણ નિયત સમય કરતા વિલંબથી હળવા દબાણથી તેમજ ઓછા સમય માટે કરવામાં આવશે જેથી જાહેર જનતાએ જરૂરી પાણીનો જથ્થો સંગ્રહ કરી લેવાનો રહેશે.