સરસ્વતી તાલુકાના ચારુપ ગામના 25 વર્ષીય જયંતીભાઈ રાવળે ગંભીર પગલું ભર્યું છે. તેમણે વ્યાજખોરની સતત ધમકીઓથી કંટાળીને ઝેરી દવા પી લીધી છે. હાલ તેમને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
.
ત્રણ વર્ષ પહેલા જયંતીભાઈએ તેમના બીમાર ભાઈ કનુભાઈની સારવાર માટે પાટણના સિદ્ધરાજભાઈ પાસેથી 5% વ્યાજે 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જયંતીભાઈએ નિયમિત વ્યાજ ચૂકવ્યું હતું અને અત્યાર સુધીમાં લગભગ દોઢ લાખ રૂપિયા વ્યાજ પેટે ચૂકવી દીધા છે.
થોડા સમય પહેલા જયંતીભાઈએ સિદ્ધરાજભાઈને એક ચેક આપ્યો હતો. આ ચેક રિટર્ન થતાં સિદ્ધરાજભાઈએ તેમની વિરુદ્ધ પાટણ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જયંતીભાઈએ હપ્તેથી પૈસા ચૂકવવાની તૈયારી બતાવી હતી, પરંતુ સિદ્ધરાજભાઈ માન્યા નહીં.
સિદ્ધરાજભાઈ વારંવાર જયંતીભાઈના ઘરે આવીને કડક ઉઘરાણી કરતા હતા. તેઓ ગાળો બોલતા અને ધમકીઓ આપતા હતા. આ સતત ત્રાસથી કંટાળીને જયંતીભાઈએ ઝેરી દવા પી લીધી. ઉલટીઓ થતાં તેમના પરિવારજનોએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.