દુબઈ45 મિનિટ પેહલા
- કૉપી લિંક
તસવીર દુબઈના લેન્ડમાર્કમાંથી એક મ્યુઝિયમ ઓફ ધ ફ્યૂચરની છે.
- દસ્તાવેજ ન ધરાવતા લોકો 30 ઓક્ટોબર સુધી માફી માટે અરજી કરી શકશે
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સરકારે ઘોષણા કરી છે કે ગેરકાયદેસર અને દસ્તાવેજ વગર વસતાં રહેતા ઇમિગ્રન્ટ્સને 30 ઓક્ટોબર પછી તેમના સંબંધિત દેશોમાં મોકલવામાં આવશે. આ નિર્ણય બાદ દસ્તાવેજ વગર યુએઈમાં રહેતા 3 લાખથી ભારતીય ઈમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં મુકાયા છે. જો કે, યુએઈએ 1 સપ્ટેમ્બર 2024થી બે મહિનાનો એમ્નેસ્ટી (માફી) કાર્યક્રમ શરૂ કર્યો. આ સ્કીમ હેઠળ તેવા લોકોને કાયદાકીય રીતે રાહત મળશે, જેઓ વિઝાની મુદતથી પણ વધુ સમય રોકાયા હોય.
જેમાં તેઓ તેમના વિઝા રિન્યુ કરી શકશે અથવા કોઈપણ દંડ વિના યુએઈ છોડવના વિકલ્પને પસંદ કરી શકશે. યુએઈ સરકારનું કહેવું છે કે આ માફી યોજના 30 ઓક્ટોબર 2024 સુધી જ ચાલશે. કોઈપણ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ મળી આવશે તો તેને દેશનિકાલ કરાશે.
યોજના હેઠળ ઈમિગ્રન્ટ્સ બે ફાયદા ઉઠાવી શકે છે
- ભારત પરત ફરવા ઈચ્છતા ભારતીયો દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ અથવા અવિર ઈમિગ્રેશન સેન્ટરમાં ઈમરજન્સી સર્ટિફિકેટ માટે અરજી કરી શકે છે.
- જેઓ યુએઈમાં રહેવા ઈચ્છે છે તેઓ દુબઈ અને ઉત્તરી અમીરાતમાં કોઈપણ બીએલએસ કેન્દ્રમાં ટૂંકી-માન્યતા ધરાવતા પાસપોર્ટ માટે અરજી કરી શકે છે.
માફી યોજના હેઠળ 500 ભારતીયો દેશ પરત ફર્યા દુબઈમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે 1લી સપ્ટેમ્બરથી એમ્નેસ્ટી સેન્ટર શરૂ કર્યું છે. 4,000થી વધુ ભારતીયોએ કોન્સ્યુલેટ પાસે રાહતની માગ કરી છે. જેમાંથી 600થી વધુને પાસપોર્ટ અને 800ને ઈમરજન્સી સર્ટિફિકેટ ઈશ્યુ કરાયા છે. 500થી વધુ ભારતીય ઈમિગ્રન્ટ્સને એક્ઝિટ પરમિટ જારી કરવામાં મદદ મળી છે.
પાક-બાંગ્લાદેશના કેન્દ્રો પર ભારે ભીડ તમામ દેશોના સત્તાવાળાઓએ એમ્નેસ્ટી સ્કીમનો લાભ અપાવવા માટે સુવિધાઓ અને સહાયતા કેન્દ્રો સ્થાપ્યા છે. બાંગ્લાદેશ-પાકના કેન્દ્રો પર ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રથમ સપ્તાહમાં 20 હજાર લોકોએ એમ્નેસ્ટી સ્કીમ માટે અરજી કરી હતી, જેમાં ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશેલા લોકો, વિઝા પૂરા થયા બાદ પણ વધુ સમય સુધી રહેતાં લોકો, પ્રવાસી વિઝા પર કામ કરતા માઇગ્રન્ટ્સ અને અન્ય લોકો પણ સામેલ છે, જેઓ કોઈપણ પ્રકારના દંડનો સામનો કરી રહ્યા છે અને હાલ યુએઈમાં રહે છે. આ પહેલા યુએઈએ પાકમાં કામદારોને તેના નિયમોનું પાલન કરવા અને અપરાધિક ગતિવિધિઓથી દૂર રહેવા કહ્યું હતું.