23 મિનિટ પેહલા
- કૉપી લિંક
જાપાનનો એક વ્યક્તિ છેલ્લા 12 વર્ષથી દિવસમાં માત્ર 30 મિનિટ જ ઊંઘે છે. ડાઈસુકે હોરી નામના 40 વર્ષીય વ્યક્તિનું કહેવું છે કે, તેણે પોતાના શરીર અને મનને એવી રીતે તાલીમ આપી છે કે તેને વધુ ઊંઘની જરૂર નથી. તેણે આ કામ કરવાની ક્ષમતા વધારવા માટે કર્યું.
હોરી વ્યવસાયે બિઝનેસમેન છે. તે અઠવાડિયાના 16 કલાક જીમમાં વિતાવે છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, હોરીએ 12 વર્ષ પહેલા ઓછી ઊંઘવાની આદત શરૂ કરી હતી. તેણે 2016માં જાપાન શોર્ટ સ્લીપર્સ ટ્રેનિંગ એસોસિએશનની પણ શરૂઆત કરી હતી. અહીં તે લોકોને સ્વાસ્થ્ય અને ઊંઘ સંબંધિત ક્લાસ આપે છે.
તસવીરમાં દૈસુકે હોરી તેની પત્ની અને બાળક સાથે.
2100 વિદ્યાર્થીઓને ઓછી ઊંઘની તાલીમ આપવામાં આવી
અત્યાર સુધીમાં તેમણે 2100 વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછા સમય માટે સૂઈને પણ સ્વસ્થ રહેવાની ટ્રીક શીખવી છે. હોરીએ કહ્યું કે, જ્યાં સુધી તમે રમતગમત અને વ્યાયામ કરી રહ્યા છો, ત્યાં સુધી તમને કોઈ સમસ્યા નહીં થાય. ખોરાક ખાવાના એક કલાક પહેલા કોફી પીવી પણ આમાં મદદરૂપ સાબિત થાય છે. આ ઊંઘ અને થાક બંનેને અટકાવે છે.
જાપાનના યોમિયુરી ટીવીએ પણ હોરીની દિનચર્યા પર એક શો કર્યો. આમાં તેણે હોરીનો આખો કામકાજ 3 દિવસનો રેકોર્ડ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન, એક દિવસ તે માત્ર 26 મિનિટ જ સૂતો હતો. હોરી કહે છે કે, ઘણા કલાકો સુધી સૂવા કરતાં સારી ઊંઘ લેવી વધુ જરૂરી છે. જો આપણે થોડો સમય પણ સારી રીતે સૂઈ શકીએ તો લાંબી ઊંઘની જરૂર નથી.
ડોક્ટરે કહ્યું- ઊંઘ ન આવવાથી યાદશક્તિ નબળી પડે, હૃદયરોગનો ખતરો રહે
ડોક્ટર્સનું કહેવું છે કે, સામાન્ય વ્યક્તિ માટે દરરોજ 6-8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. તેનાથી મન અને શરીરનો થાક દૂર કરીને બીજા દિવસ માટે તૈયાર થવામાં મદદ મળે છે. આ ઉપરાંત તે હાર્ટ-એટેકનું જોખમ પણ ઘટાડે છે.
ડોક્ટરોના મતે, ખૂબ જ ઓછી ઊંઘ લેવી દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. તેની ઘણી આડઅસર પણ થઈ શકે છે. લાંબા સમય સુધી ઊંઘ ન લેવાથી યાદશક્તિમાં ઘટાડો, રોગપ્રતિકારક શક્તિ અને હૃદય સંબંધિત બીમારીઓ થવાનો ખતરો રહે છે.
પ્રહલાદ જાનીના જીવનના રહસ્યને સમજવા માટે 400થી વધુ ડોક્ટરોએ તેમનો અભ્યાસ કર્યો.
પ્રહલાદ જાની ખોરાક કે પાણી વિના સૂર્યની ઉર્જા પર જીવતા હતા
આ પહેલા ગુજરાતના યોગી પ્રહલાદ જાનીએ દાવો કર્યો હતો કે, તેઓ 1940થી ખોરાક અને પાણી વિના જીવી રહ્યા છે. તેઓ સૂર્યની ઉર્જા પર જ જીવતા હતા. તેમણે વર્ષ 2020માં 92 વર્ષની વયે દેહ છોડ્યો હતો. પ્રહલાદ જાનીના જીવનનું રહસ્ય જાણવા માટે વર્ષ 2003માં તેમને 24 કલાક ICUમાં રાખવામાં આવ્યા હતા.
ત્યાર બાદ 400 ડોક્ટરો અને 20 સમિતિઓએ તેના શરીરમાં થતા ફેરફારો પર નજર રાખીને સંશોધન કર્યું. આ પછી 2007 માં ફરીથી પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. 2009માં દિલ્હીની ટીમે 6 સાક્ષીઓની હાજરીમાં સંશોધન પણ કર્યું હતું. જો કે તેમના જીવનનું રહસ્ય ક્યારેય જાણી શકાયું નથી.