39 મિનિટ પેહલા
- કૉપી લિંક
થાઈલેન્ડમાં એક સ્કૂલ બસમાં લાગેલી આગમાં 25 વિદ્યાર્થીઓના મોત થયા છે. સમાચાર એજન્સી AFPના જણાવ્યા અનુસાર બસમાં કુલ 44 બાળકો હાજર હતાં જેમાંથી 16ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ બચાવકર્મીઓ બાકીના બાળકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
જોકે, ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બસનું ટાયર ફાટવાના કારણે આગ લાગી હતી. રોઇટર્સ અનુસાર, આ દુર્ઘટના બેંગકોકના ખુ ખોટ વિસ્તારમાં બપોરે લગભગ 12.30 વાગ્યે થઈ હતી. બસ શાળાથી પરત ફરી રહી હતી. તેમાં 5 શિક્ષકો પણ હાજર રહ્યા હતા.
થાઈલેન્ડના વડાપ્રધાન પટોન્ગટાર્ન શિનાવાત્રાએ અકસ્માતમાં જીવ ગુમાવનારા બાળકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દેશના ગૃહપ્રધાન અનુતિન ચર્નવિરાકુલે કહ્યું કે બચાવકર્મીઓ પહોંચ્યા પછી પણ બસ એટલી ગરમ હતી કે અંદર જવું ખૂબ મુશ્કેલ હતું. જેના કારણે અકસ્માત બાદ લાશ લાંબા સમય સુધી બસમાં જ પડી રહી હતી. મૃત્યુ પામેલા લોકોની હજુ ઓળખ થઈ નથી.
દુર્ઘટના સાથે જોડાયેલી 5 તસવીરો…
બીબીસીના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે સ્કૂલ બસ પ્રવાસમાંથી પરત ફરી રહી હતી.
આગને પગલે બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર ફાઇટરોએ હાલ આગને કાબૂમાં લીધી છે.
ગરમ હોવાના કારણે બચાવકર્મીઓ સફેદ કપડાની મદદથી બસ સ્પર્શ કરતા જોવા મળ્યા
સ્કૂલ બસમાં કુલ 44 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાં 39 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકો હતા.
બચાવકર્મીઓ બસની તપાસ કરીને આગનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.