ઇઝરાયલ – ઇરાન યુદ્ધ શરુ થઇ ચૂક્યું છે. ઇઝરાયલના કોઇપણ પાગલપન માટે અમે તૈયાર છીએ એવું ઇરાનની સંસદે કહ્યું છે મતલબ કે હવે આરપારની લડાઇ થવાની છે.
.
નમસ્કાર,
મંગળવારે રાત્રે ઈઝરાયલમાં જેરૂસલેમથી લઈને જોર્ડન વેલી સુધીના વિસ્તારો બ્લાસ્ટના અવાજથી ધણધણી ઉઠ્યા. ઈરાને એકાએક 180 જેટલી મિસાઈલોનો મારો ઈઝરાયલ પર કર્યો અને કહ્યું કે, આ હિઝબુલ્લાહના વડા નસરલ્લાહનો પહેલો બદલો છે. સામે ઈઝરાયલે પણ કહી દીધું કે, ઈરાને આ ભૂલ કરી છે. તેને પરિણામ ભોગવવું પડશે.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે શું ફેર?
- ઈરાન : ઈરાન એ સદીઓ પહેલાં ફારસ દેશના નામથી ઓળખાતો હતો. આ દેશમાં શિયા વસ્તી વધારે છે. દેશની 15 ટકા વસ્તી રાજધાની તહેરાનમાં રહે છે. ઈરાનની ઈકોનોમી મુખ્યત્વે તેલ, પ્રાકૃતિક ગેસની નિકાસ પર નિર્ભર છે.
- ઈઝરાયલ : આ દેશ યહૂદીઓનું મૂળ નિવાસ સ્થાન હતું. ઈઝરાયલની રાજધાની જેરૂસલેમ છે. ડિફેન્સની બાબતમાં દુનિયાના શક્તિશાળી દેશોમાં ઈઝરાયલનો પહેલો નંબર આવે છે.
(ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 2300 કિલોમીટરનું અંતર છે. આ બંને દેશની વચ્ચો વચ્ચ ઈરાક દેશ આવે છે.)
ઈરાને ઈઝરાયલ પર અચાનક હુમલો કેમ કર્યો? છેલ્લા કેટલાક મહિનામાં ઈઝરાયલની આક્રમકતા વધી છે. તે એક પછી એક પોતાના દુશ્મનોને નિશાન બનાવી રહ્યો છે. અત્યારે ચાર દેશ સાથે ઈઝરાયલની લડાઈ ચાલી રહી છે. હમાસ ચીફ હાનિયાને ખતમ કર્યા બાદ ઈઝરાયલે તાજેતરમાં જ રિવોલ્યુશનરી ગાર્ડ્સના ડેપ્યુટી કમાન્ડર બ્રિગેડિયર જનરલ અબ્બાસ નિલફોરોશનની સાથે હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહની હત્યા કરી હતી. એટલે ઈરાન માટે નાક બચાવવા જેવી સ્થિતિ આવી પડી. કોઈપણ સંજોગોમાં ઈરાન બતાવવા માંગતું હતું કે જ્યારે ઇઝરાયલ તેના ટોચના નેતાઓને નિશાન બનાવશે ત્યારે તે ચૂપ નહીં રહે.
બીજું મોટું કારણ ઈરાનમાં વધતો અસંતોષ હતો. ઈરાન સમર્થિત હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહ અને અગાઉ હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યાને લઈને ઈરાનમાં ભારે અસંતોષ હતો. ઈરાની લોકો અને હિઝબુલ્લાહના સમર્થકોને લાગ્યું કે ઈઝરાયલના વધતા આક્રમકતા છતાં ઈરાન શાંત બેઠું છે. આવી સ્થિતિમાં ઈરાન પર કાર્યવાહી કરવાનું દબાણ હતું.
શું ઈરાનનો ઈઝરાયલ પરનો હુમલો દેખાડા પૂરતો હતો? પહેલી જ વાર ફત્તાહ મિસાઈલ વાપરી! ઈરાને ઈઝરાયલ પર 180 મિસાઈલ છોડી છતાં કોઈ મોટું નુકસાન કેમ ન થયું? આ હુમલામાં માત્ર એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે. આ કેવી રીતે શક્ય છે? આવી સ્થિતિમાં એ સવાલ થાય કે ઈરાન દ્વારા કરવામાં આવેલો આ હુમલો માત્ર દેખાડા પૂરતો હતો કે કેમ? આ સવાલનો જવાબ ઈરાનના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદ બાગેરીના નિવેદનમાં છુપાયેલો છે. તેમણે કહ્યું હતું કે જો ઈઝરાયલ આ હુમલાનો જવાબ આપશે તો ઈરાન ડબલ જોરથી હુમલા કરીને ઈઝરાયલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવશે. આનો સ્પષ્ટ અર્થ એ થઈ શકે છે કે ઈરાને મંગળવારે રાત્રે ઈઝરાયલ પર જે હુમલા કર્યા હતા તે માત્ર ડરાવવા માટે કે દેખાડા માટે જ હતા.
બીજી મહત્વની વાત એ છે કે ઈરાને હુમલો કરવા માટે જે મિસાઈલોનો ઉપયોગ કર્યો હતો તે ફત્તાહ મિસાઈલ હતી, જે ઈરાનની લોકલ મિસાઈલ છે. ઈરાને પહેલીવાર આ મિસાઈલોનો ઉપયોગ કર્યો છે. એક્સપર્ટ એમ પણ કહી રહ્યા છે કે શક્ય છે કે આ મિસાઇલોની ફાયરપાવર વધુ ન હોય. આ મિસાઇલો વધારે વિનાશ કરી શકતી નહોતી, કારણ કે તેનો ફાયરપાવર એટલો બધો નહોતો કે મોટું નુકસાન કરી શકે.
ઈઝરાયલ અને ઈરાનની લશ્કરી તાકાતમાં ઈરાન વધારે મજબૂત…
- ઈઝરાયલની વસતિ 95 લાખ છે. ઈરાનની વસ્તી 8 કરોડ છે.
- ઈઝરાયલ પાસે 1 લાખ 70 હજાર લાખ સૈનિક એક્ટિવ છે તો ઈરાન પાસે 6 લાખ 10 હજાર સૈનિક એક્ટિવ છે.
- ઈઝરાયલ પાસે 5 લાખ જવાન રિઝર્વ છે, તો ઈરાન પાસે 4 લાખ જવાન રિઝર્વ છે.
- ઈઝરાયલ પાસે 612 એરક્રાફ્ટ છે તો ઈરાન પાસે 551 છે.
- ઈઝરાયલ પાસે 1,370 ટેન્ક છે જ્યારે ઈરાન પાસે 1,996 છે.
- ઈઝરાયલ પાસે લડાઈ કરવા નાની 101 વોર બોટ છે જ્યારે ઈરાન પાસે 67 બોટ છે.
- ઈઝરાયલ પાસે 146 હેલિકોપ્ટર છે તો ઈરાન પાસે 126 હેલિકેપ્ટર છે.
- ઈઝરાયલ પાસે 43 હજાર આર્મ્ડ વ્હીકલ છે, ઈરાન પાસે 69 હજાર છે.
- ઈઝરાયલ પાસે 5 સબમરીન છે તો ઈરાન પાસે 19 સબમરીન છે.
અમેરિકા અને બ્રિટનની તાત્કાલિક મદદ સાથે પણ ઈરાનને હરાવ્યું ઈઝરાયલ પર કોઈપણ પ્રકારના હુમલાથી બચવા માટે અમેરિકા ઈરાનને સતત ચેતવણી આપી રહ્યું હતું. આ ચેતવણીઓ છતાં ઈરાને મંગળવારે રાત્રે ઈઝરાયલ પર મિસાઈલ છોડી ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને ઉતાવળમાં એક નિવેદન આપીને કહ્યું કે દરેક પરિસ્થિતિમાં અમેરિકા ઈઝરાયલની સાથે ઊભું છે. બાઈડેને અમેરિકન સૈનિકોને ઇઝરાયલની મદદ કરવાનો આદેશ આપ્યો. એ પછી અમેરિકન ફોર્સે હવામાં ઘણી ઇરાની મિસાઇલોને તોડી પાડી. પેન્ટાગોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુએસ નેવી ડિસ્ટ્રોયરોએ ઇઝરાયલ તરફ છોડવામાં આવેલી ઘણી મિસાઇલોને તોડી પાડી હતી એટલે ઈઝરાયલમાં વધારે નુકસાન થયું નથી.
હિઝબુલ્લાહની લીડરશિપ ખતમ થઈ ગઈ એટલે ઈરાન બગડ્યું નાનકડા દેશ લેબનનમાં હિઝબુલ્લાહ નામનું આતંકી સંગઠન છે. તેની આખી લીડરશિપ ઈઝરાયલના હુમલામાં ખતમ થઈ ગઈ. આ આતંકી સંગઠનને ઈરાન સતત મદદ કરતું હતું અને તેની સામે હિઝબુલ્લાહ પણ ઈરાન માટે અજન્ટ બનીને કામ કરતું હતું. હિઝબુલ્લાહની લીડરશિપ ખતમ થઈ ગઈ એટલે ઈરાન વધારે ગિન્નાયું છે. હિઝબુલ્લાહમાં કોનો ખાત્મો થયો તે જાણો…
- હસન નસરલ્લાહ (હિઝબુલ્લાહ ચીફ)
- ફુઆદ શુકર (ફોર્સ ટોપ કમાન્ડર)
- ઈબ્રાહિમ અકીલ (ઓપરેશનલ ચીફ)
- અલી કાકરી (લેબનન ચીફ કમાન્ડર)
- વસીમ અલ તવીલ (ફોર્સ કમાન્ડર)
- તાલિબ સલીમ અબ્દુલ્લાહ (યૂનિટ કમાન્ડર)
- મોહમ્મદ નાસેર (યૂનિટ કમાન્ડર)
ઈઝરાયલના PM અને મંત્રીઓએ શું કહ્યું?
- બેન્જામીન નેતન્યાહૂ, વડાપ્રધાન: ઈરાને મોટી ભૂલ કરી નાખી છે. તેને તેની કિંમત ચૂકવવી પડશે. જે અમારા પર હુમલો કરશે, અમે પણ તેના પર હુમલો કરીશું.
- ઈઝરાયલ કાટ્સ, વિદેશ મંત્રી: અયાતુલ્લાહ શાસને હદ પાર કરી નાખી છે. ઈઝરાયલ ચૂપ નહીં રહે. ઈરાનને જવાબ જરૂર મળશે.
- ડૈનિયલ હગારી, IDF પ્રવક્તા : અમે ઈરાનના હુમલાનો અમારા સમયે અને અમારી રીતે જવાબ આપીશું.
- બેજેલેલ સ્મોત્રિક, નાણાંમંત્રી: ગાઝા, હિઝબુલ્લાહ અને લેબનનની જેમ, ઈરાનને પણ પોતાના માટે પસ્તાવો થશે.
અમેરિકાના બંને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારે ઈઝરાયલનું સમર્થન કર્યું અમેરિકી ઉપરાષ્ટ્રપતિ પદના બંને ઉમેદવારો ટિમ વાલ્ઝ અને જેડી વેન્સે ઈઝરાયલ સાથે મજબૂતાઈથી ઊભા રહેવાનું વચન આપ્યું છે. ડેમોક્રેટિક ઉમેદવાર વાલ્ઝે કહ્યું કે ઈઝરાયલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. તો રિપબ્લિકન ઉમેદવાર વેન્સે કહ્યું કે અમે ઈઝરાયલને ડગલે ને પગલે સમર્થન આપીશું.
ઈરાને કહ્યું, અમેરિકા દખલ ન કરે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે અમે ઈઝરાયલ પર હુમલો કરતાં પહેલાં અમેરિકાને જાણ કરી નહોતી. પરંતુ હવે અમે તેને દખલ ન કરવા ચેતવણી આપીએ છીએ. અમે અમેરિકાને તેના સૈનિકોને દૂર રાખવા અને દખલ ન કરવા કહ્યું છે.
મિડલ ઈસ્ટના 8 દેશોમાં અમેરિકી સૈનિકો તહેનાત
- તુર્કી – 1465
- ઈરાક – 2500
- સિરિયા – 800
- કુવૈત – 13,500
- જોર્ડન – 3000
- સાઉદી અરબ – 2700
- કતાર – 10,000
- દુબઈ – 3500
ઈરાનના તેલ ભંડાર પર હુમલો કરી શકે છે ઈઝરાયલ ઈરાનના હવાઈ હુમલા બાદ ઈઝરાયલ હવે મોટા હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે. એક્સિયોસના રિપોર્ટ મુજબ ઈઝરાયલ ઈરાનના તેલ ભંડારને પાઠ ભણાવવા માટે હુમલો કરી શકે છે. રિપોર્ટમાં ઈઝરાયલના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ યહૂદી દેશ થોડા દિવસોમાં ઈરાન પર વળતો હુમલો કરવાની તૈયારી કરી રહ્યો છે. ઈરાનના પરમાણુ સ્થળો અને તેલના ભંડાર પર પણ હુમલો કરવાનો ઈઝરાયલનો પ્લાન છે.
IDFએ લેબનનના 25 ગામોને ખાલી કરવા કહ્યું IDF (ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ) એ લેબનનના લગભગ 25 ગામોના લોકોને તાત્કાલિક ખાલી કરવા જણાવ્યું છે. ઈઝરાયલની સેનાએ કહ્યું કે હિઝબુલ્લાહની કાર્યવાહીએ અમને તેમના પર હુમલા કરવાની ફરજ પાડી છે. પરંતુ અમે લોકોને નુકસાન પહોંચાડવા માંગતા નથી. ઈઝરાયલ અત્યારે ચાર મોરચે લડાઈ લડે છે. ગાઝામાં હમાસ સામે લડાઈ ચાલે છે. લેબનનમાં હિઝબુલ્લાહ સામે લડાઈ ચાલે છે હવે ઈરાન સામે યુદ્ધનો માહોલ ઊભો થયો છે અને યમન સાથે લડાઈ ચાલે છે.
ભારતે ઈરાનમાં રહેતા નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધતાં ભારતે ઈરાનમાં રહેતા પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીયોને ઈમરજન્સી વગર ઈરાન ન જવાની સલાહ આપી છે. આ સિવાય ઈરાનમાં રહેતા ભારતીયોને એલર્ટ રહેવા અને એમ્બેસી સાથે સતત સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.
એપ્રિલમાં પણ ઈરાને ઈઝરાયલ પર હુમલા કર્યા હતા એપ્રિલ મહિનાની શરૂઆતથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ઈરાને ઇઝરાયલ પર 300થી વધારે ડ્રોન અને મિસાઇલ હુમલાનો દાવો કર્યો હતો. એ પછી ઈઝરાયલે સિરિયામાં હુમલા વધાર્યા હતા અને ઈરાને કહ્યું હતું કે, સિરિયામાં જે હુમલા થાય છે તે ઈઝરાયલ કરે છે. એપ્રિલથી ચાલ્યો આવતો તણાવ વધ્યો છે અને હવે ખરાખરીના ખેલ શરૂ થયા છે.
ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ થાય તો ભારતને શું અસર થાય? ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ વધે તો આ સ્થિતિ ભારત માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. કારણ કે ભારતના ઈરાન અને ઇઝરાયલ બન્ને દેશો સાથે સારા સંબંધ છે.આ ઉપરાંત પશ્ચિમી એશિયાના દેશોમાં રહેતા ભારતીયનો સંખ્યા પણ વધારે છે. ઈરાન અને ઇઝરાયલ સંઘર્ષ ભારતીય અર્થવ્યવસ્થાને પણ અસર કરી શકે છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે થઈ રહેલા સંઘર્ષ દરમિયાન ભારત માટે સૌથી મોટો પડકાર આ બન્ને દેશ અને પશ્ચિમ એશિયાના અન્ય દેશોમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાનો છે. ઇઝરાયલમાં લગભગ 18 હજાર ભારતીયો છે, જ્યારે ઈરાનમાં પાંચથી સાત હજાર ભારતીયો રહે છે.
ભારત જો હવે ઇઝરાયલ સાથે પોતાના સારા સંબંધ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે તો ઈરાન સાથેના સંબંધ ખરાબ થઈ શકે છે. તેનાથી વિપરીત જો ઈરાન સાથે સારા સંબંધ રાખે તો ઇઝરાયલની સાથે-સાથે અમેરિકાની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. આ કટોકટી પર ભારત દ્વારા વધુ પડતાં નિવેદનોથી બચવું જરૂરી છે. આ મૂંઝવણભરી સ્થિતિ કોઈ પણ દેશની વિદેશ નીતિમાં પડકાર નથી પરંતુ સંકટ છે. ભારત માટે આ સ્થિતિ રાજદ્વારી સંકટ છે અને જો ઈરાનમાં તેલના ભંડારો પર હુમલા થશે તો પેટ્રોલ-ડિઝલના ભાવ બેકાબૂ બની શકે છે.
અને છેલ્લે, આખા વિશ્વની કરૂણતા એ છે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી છે. અનેક દેશો ગાંધી ચીંધ્યા માર્ગે ચાલવા માટે તૈયાર છે. એવા સમયે ઈઝરાયલ અને ઈરાન બંને હિંસક લડાઈ પર ઉતરી આવ્યા છે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી )