.
17 ઓક્ટોબર 2024
એક વર્ષ ને દસ દિવસમાં એક આખું કાળચક્ર પૂરું થઇ રહ્યું છે. આ કાળચક્ર થંભી જશે કે કેમ એ હજી નક્કી નથી. મિડલ ઇસ્ટમાં શાંતિ સ્થપાય એવો સંકેત ઇઝરાયલે આપ્યો છે પણ એના માટે શરત રાખી છે.
નમસ્કાર,
એક વર્ષ અને દસ દિવસ પહેલાં યાહ્યા સિનવાર નામના હમાસના નેતાએ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો જેમાં 1200 લોકોના મોત થયા હતા. ઇઝરાયલ પરનો આ દેશ બન્યો ત્યારથી આજ સુધીનો આ સૌથી મોટો હુમલો હતો. હમાસે 251 જેટલા લોકોને બંધક બનાવ્યા હતા. એક વર્ષ પછી પણ હમાસ પાસે 23 દેશોના 101 બંધકો છે.
ઘટના શું બની? તારીખ: 16 ઓક્ટોબર સ્થળ: દક્ષિણ ગાઝાનું રફાહ શહેર ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) ડિવિઝન 162 અને 828 બિસ્લામક બ્રિગેડ રફાહના તાલ અલ-સુલતાન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ઈઝરાયલી સૈનિકે એક શંકાસ્પદ વ્યક્તિને બિલ્ડીંગમાં પ્રવેશતા જોયો હતો. સૈનિકે તેના કમાન્ડરને જાણ કરી. બિલ્ડિંગને ઘેરી લેવા અને ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો. થોડા સમય પછી, ઈઝરાયલી સૈનિકે ડ્રોન દ્વારા જોયું કે ત્રણ લોકો તે બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે. બે વ્યક્તિઓ પોતાને ચાદરથી ઢાંકીને આગળ ચાલી રહ્યા હતા એટલે ઓળખી ન શકાય અને ત્રીજી વ્યક્તિ પાછળ હતી. ઇઝરાયલી સેનાએ ત્રણેય પર ફરીથી ગોળીબાર કર્યો, જેના કારણે તેઓ અલગ થઈ ગયા. બે લોકો એક બિલ્ડિંગમાં ગયા, જ્યારે ત્રીજો અન્ય બિલ્ડિંગમાં પ્રવેશ્યો. ઇઝરાયલી સૈનિકોએ તેને ઘેરી લીધો. સૈનિકો બિલ્ડીંગની નજીક આવતાં જ અંદરથી તેમના પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યા. આ પછી સૈનિકો પાછળ હટી ગયા. તેઓએ બિલ્ડિંગની અંદર ડ્રોન મોકલ્યું. ડ્રોને બિલ્ડિંગની અંદર સોફા પર બેઠેલા એક ઘાયલ વ્યક્તિને જોયો. તેનો ચહેરો સ્કાર્ફથી ઢંકાયેલો હતો. જ્યારે ડ્રોન તેની નજીક પહોંચ્યું ત્યારે તેણે લાકડી ફેંકીને ડ્રોનને તોડવાનો પ્રયાસ કર્યો. આ પછી ઈઝરાયલની સેનાએ ટેન્કથી બિલ્ડીંગ પર એટેક કર્યો. ઈઝરાયલના સૈનિકોને એ ખબર નહોતી કે સોફા પર જે વ્યક્તિ બેઠો હતો અને તેનું એટેકમાં મોત થયું છે તે બીજું કોઈ નહીં પણ હમાસનો ચીફ યાહ્યા સિનવાર હતો.
કોણ હતો હમાસ ચીફ યાહ્યા સિનવાર? 2023માં 7 ઓક્ટોબરે આતંકી જૂથ હમાસે ઈઝરાયલ પર મોટો હુમલો કરીને વિશ્વને ચોંકાવી દીધું ત્યારે જ ઈઝરાયલને પહેલી શંકા યાહ્યા સિનવાર પર હતી. યાહ્યા સિનવાર હમાસનો ખતરનાક ચીફ હતો. ઈઝરાયલ એક વર્ષથી તેની પાછળ પડ્યું હતું પણ તે હાથમાં આવતો નહોતો. અંતે ઈઝરાયલે તેનો ખાતમો બોલાવી દીધો છે. યાહ્યા સિનવારને ઈસ્માઈલ હાનિયાહ પછી હમાસનો બીજો ચીફ માનવામાં આવતો હતો. ઈસ્માઈલ હાનિયાની પણ આ વર્ષે જુલાઈમાં ઈઝરાયલ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ પછી યાહ્યાએ હમાસની કમાન સંભાળી. ઇઝરાયલ જાણતું હતું કે સિનવાર ગાઝામાં એક સુરંગમાં ભૂગર્ભમાં છુપાયેલો છે. સિનવાર કોઈ સાથે વાત કરતો નહોતો, કારણ કે તેને ડર હતો કે જો તે કોઈ સાથે વાત કરશે તો તેને ઈઝરાયલ ટ્રેક કરી લેશે.
અબુ ઇબ્રાહિમ તરીકે ઓળખાતા યાહ્યા સિનવારનો જન્મ ગાઝા પટ્ટીના દક્ષિણ વિસ્તારમાં સ્થિત ખાન યુનિસ શરણાર્થી શિબિરમાં થયો હતો. યાહ્યાના માતા-પિતા એશકેલોનના હતા. પણ જ્યારે 1948માં ઈઝરાયલની સ્થાપના થઈ અને હજારો પેલેસ્ટિનિયનોને તેમના પૂર્વજોના ઘરોમાંથી હાંકી કાઢવામાં આવ્યા, ત્યારે યાહ્યાના માતા-પિતા પણ શરણાર્થી બન્યા. પેલેસ્ટિનિયન તેને ‘અલ-નકબા’ એટલે કે આપત્તિ કહે છે. યાહ્યા સિનવારે તેમનું પ્રારંભિક શિક્ષણ ખાન યુનિસની બોયઝ સેકન્ડરી સ્કૂલમાં કર્યું હતું. આ પછી તે ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાંથી અરબી ભાષામાં ગ્રેજ્યુએટ થયો. તેની માનસિકતા પહેલેથી જ ઈઝરાયલ વિરોધી રહી છે. હમાસની સ્થાપનાથી તે આ સંગઠન સાથે જોડાયેલો હતો. યાહ્યા સિન્વારની ઇઝરાયલ દ્વારા 1982માં પહેલીવાર ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેમની ઉંમર માત્ર 19 વર્ષની હતી. યાહ્યા પર ‘ઈસ્લામિક પ્રવૃત્તિઓ’માં સામેલ હોવાનો આરોપ હતો. 1985માં તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી. આ સમયની આસપાસ યાહ્યાએ હમાસના સ્થાપક શેખ અહેમદ યાસીનનો વિશ્વાસ જીતી લીધો. આ કારણે જ યાહ્યાને હમાસમાં ઊંચો દરજ્જો મળ્યો. 1987માં હમાસની સ્થાપના થયાના બે વર્ષ પછી યાહ્યાએ તેનું સૌથી ખતરનાક આંતરિક સુરક્ષા સંગઠન અલ-મજદની સ્થાપના કરી. તે સમયે યાહ્યા માત્ર 25 વર્ષનો હતો.
સિનવારનું વલણ અને માનસિકતા તાલિબાની રહ્યા છે સિનવાર પહેલેથી જ ક્રૂર માનસિકતા ધરાવતો હતો. કોઈ બિભત્સ વીડિયો જુએ તો ય કડક સજા આપતો. પોતે જે કહે તેમ ગાઝાના લોકોએ કરવાનું, એ માનસિકતા તેની હતી. યાહ્યાએ ઘણાની પોતાના હાથે હત્યા કરી છે અને તેને તેના પર ખૂબ ગર્વ હતો. એકવાર યાહ્યાએ ઇઝરાયલ માટે જાસૂસી કરવાની શંકામાં એક વ્યક્તિને તેના જ સગાભાઇના હાથે જીવતો દફનાવ્યો હતો અને તેને જીવતો દફનાવવા પાવડાથી નહીં પણ ચમચીથી જમીન ખોદાવી હતી. યાહ્યા એક એવી વ્યક્તિ હતી જે તેની આસપાસ ઘણા ગુંડાઓ અને અન્ય લોકોને પોતાની સાથે રાખતો. લોકો તેનાથી બહુ ડરતા હતા એટલે મને-કમને સાથે રહેવું પડતું.
22 વર્ષ ઈઝરાયલની જેલમાં રહ્યો સિનવાર યાહ્યા સિનવારની મોટા ભાગની યુવાની જેલમાં જ ગઈ. 1988થી 2011 ની વચ્ચેના લગભગ 22 વર્ષ ઇઝરાયલની જેલોમાં વિતાવ્યા. એવું લાગે છે કે જેલમાં તેમના સમય દરમિયાન તેમને એકાંત કેદમાં રાખવામાં આવ્યો હતો અને આ જ કારણોથી તે વધારે કટ્ટરપંથી બની ગયો. યાહ્યા સત્તાના બળથી જેલની અંદર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવામાં સફળ રહ્યો. તે કેદીઓના નેતા તરીકે ઉભરી આવ્યો. તે કેદીઓ વતી જેલના અધિકારીઓ સાથે વાટાઘાટો કરતો. યાહ્યા લુચ્ચો, ચાલાક હતો. તે એક એવો વ્યક્તિ હતો જે જાણતો હતો કે ક્યારે અને કેવી રીતે બીજા લોકોને મંત્રમુગ્ધ કરીને કંટ્રોલમાં રાખવા. 2011માં જ્યારે કેદીઓના વિનિમયનો કરાર થયો ત્યારે ઈઝરાયલે પોતાના એક સૈનિક, જેનું નામ ગિલાડ શલિટ હતું તેના બદલામાં ગાઝાના 1027 કેદીઓને છોડ્યા. જેમાં એક યાહ્યા સિનવાર પણ હતો. ત્યાં સુધીમાં ઈઝરાયલે ગાઝા પટ્ટી પરનું પોતાનું નિયંત્રણ છોડી દીધું હતું અને ગાઝાની કમાન હમાસના હાથમાં આવી ગઈ હતી.
હમાસે યાસર અરાફતના નેતાઓને પટકી-પટકીને મારી નાખ્યા ગાઝામાં યાસર અરાફાતની સરકાર અને હમાસ વચ્ચે ચૂંટણી થઈ જેમાં હમાસે ચૂંટણી જીતી લીધી. ચૂંટણી જીત્યા પછી હમાસે યાસર અરાફાતની અલ-ફતહ પાર્ટીના નેતાઓને ખતમ કરી દીધા હતા. અલ-ફતાહના ઘણા નેતાઓને ઊંચી ઈમારતો પરથી ફેંકી દેવામાં આવ્યા હતા. જ્યારે યાહ્યા સિનવાર ગાઝા પાછો ફર્યો ત્યારે તેમને લોકોએ નેતા તરીકે સ્વાકારી લીધો. હમાસના આગેવાનો અને ગાઝાના લોકો પણ એવું માનતા હતા કે, યાહ્યા જ ગાઝાને ઊંચાઈએ લઈ જશે અને ઈઝરાયલ સામે શિંગડા ભરાવશે કારણ કે તે 22 વર્ષ ઈઝરાયલની જેલમાં રહી આવ્યો હતો.
સિનવાર એટલે ‘ખાન યુનુસનો કસાઈ’ 2013માં યાહ્યા સિનવાર ગાઝા પટ્ટીમાં હમાસના પોલિટિકલ બ્યુરોના સભ્ય તરીકે ચૂંટાયો અને 2017માં તે તેનો ચીફ બન્યો. યાહ્યા સિનવારના નાના ભાઈ મુહમ્મદે પણ હમાસમાં મોટી ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું. 2014માં ઈઝરાયલે મુહમ્મદની હત્યા કરી પણ તે બચી ગયાનું પણ કહેવાયું હતું. ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુહમ્મદ હજુ પણ જીવિત છે અને તે હમાસની સૈન્ય શાખામાં એક્ટિવ છે. મુહમ્મદ વિશે એવું કહેવાય છે કે તે ગાઝાની સુરંગોમાં છુપાયેલો છે અને 7 ઓક્ટોબરના હુમલામાં તેણે મોટી ભૂમિકા ભજવી હશે. સિનવારના નામથી ગાઝાના લોકો ધ્રુજતા. કારણ કે તે ગમે ત્યારે ગમે તેને મારી નાંખતો. તેના ક્રૂર અને હિંસક સ્વાભાવના કારણે સિનવારને ‘ખાન યુનિસનો કસાઈ’ પણ કહેવામાં આવતો હતો.
હમાસની જવાબદારી હવે કોના માથે? સિનવાર પહેલાં ઈઝરાયલની સેનાએ 31 જુલાઈએ હમાસના ભૂતપૂર્વ વડા ઈસ્માઈલ હાનિયેહ અને 13 જુલાઈએ હમાસના લશ્કરી વડા મોહમ્મદ દૈફની હત્યા કરી હતી. ઇઝરાયલની સેનાએ છેલ્લા 78 દિવસમાં આ ત્રણ નેતાઓને મારી નાખ્યા છે. આવી સ્થિતિમાં હમાસમાં તેમના સ્થાને નવા નેતાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સિનવારના મૃત્યુ પછી કેટલાક એવા લોકો છે જેઓ તેમની જગ્યા લઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, હમાસના હવે પછીના ચીફ બનવા માટે ચાર દાવેદાર છે.
1. ખાલિદ મેશાલ : 1987માં જ્યારે હમાસની રચના થઈ ત્યારે તેમાં મેશાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તે 1996માં હમાસનો પોલિટિકલ ચીફ બન્યો અને 2017 સુધી આ પદ પર રહ્યો. આ પછી હાનિયેહના મોત બાદ તેનું સ્થાન લીધું. મેશાલ દોહામાં રહે છે.
2. જેહર જબરીન : પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે કેદીઓની આપ-લેમાં જબરીને મોટી ભૂમિકા ભજવી છે. તે હાનિયેહના ડેપ્યુટી તરીકે કામ કરતો હતો. તે હમાસ માટે ફંડ ભેગું કરે છે, એટલે જ તેને હમાસનો સીઈઓ પણ કહેવાય છે.
3. ખલીલ અલ હય્યા : ખલીલ અલ-હય્યા પણ હાનિયેહના ડેપ્યુટી તરીકે કામ કરતો હતો. તે ઈઝરાયેલ સાથે વાતચીતના પક્ષમાં નથી. તેમનું માનવું છે કે ઈઝરાયલને હરાવીને જ પેલેસ્ટાઈનની સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.
4. મૂસા અબુ મરજોક હમાસ : મરજોકે અબુધાબીમાં પેલેસ્ટાઈન મુસ્લિમ બ્રધરહુડ સંગઠન શરૂ કર્યું. આ સંગઠનમાંથી હમાસની રચના થઈ છે. આ પછી મરજોક અમેરિકા ગયો. ત્યાં આતંકી પ્રવૃત્તિઓમાં પકડાયો અને 22 મહિના જેલ થઈ. અમેરિકાએ તેનો દેશ નિકાલ કર્યો ને તે ગાઝા આવી ગયો. હમાસ સાથેના આંતરરાષ્ટ્રીય સંબંધો આ અબુ મરજોક સંભાળે છે.
સિનવારના મૃત્યુ પછી વિશ્વના નેતાઓએ શું કહ્યું?
- બેન્જામીન નેતન્યાહુ, વડાપ્રધાન, ઈઝરાયલ : ઈતિહાસમાં હોલોકાસ્ટ પછી યહૂદીઓ પર કરાયેલા ભયાનક નરસંહારને અંજામ આપનારો યાહ્યા સિનવાર માર્યો ગયો છે. ઈઝરાયલે સિનવારને મારીને હિસાબ બરાબર કરી નાખ્યો છે. પણ ઈઝરાયલ-હમાસનું યુદ્ધ હજી ખતમ થયું નથી. જો હમાસ હથિયાર અને બંધકો બંનેને છોડી દે તો યુદ્ધ ખતમ થઈ શકે.
- જો બાઈડન, રાષ્ટ્રપતિ, અમેરિકા : ઈઝરાયલ, અમેરિકા અને સમગ્ર વિશ્વ માટે આ ખુશીનો દિવસ છે. તે 30થી વધુ દેશોના હજારો નાગરિકોના મૃત્યુ માટે જવાબદાર હતો.
- ઇમેન્યુઅલ મેક્રોન, રાષ્ટ્રપતિ, ફ્રાન્સ : સિનવાર 7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. હું પીડિતોની સાથે છું. ફ્રાન્સ હજી પણ હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોની મુક્તિની માગ કરે છે.
- કીર સ્ટારમર, વડાપ્રધાન, બ્રિટન : બ્રિટન સિનવારના મૃત્યુ પર શોક નહીં કરે. મારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે.
- જસ્ટીન ટ્રુડો, વડાપ્રધાન, કેનેડા : સિનવારના મૃત્યુ સાથે આતંકના શાસનનો અંત આવ્યો. હમાસે હવે તેના હથિયાર મૂકી દેવા જોઈએ. બંધકોને મુક્ત કરવા જોઈએ.
- જ્યોર્જિયા મેલોની, વડાપ્રધાન, ઈટલી : હવે યુદ્ધવિરામની જાહેરાત કરો. બંધકોને મુક્ત કરવા જોઈએ અને ગાઝાનો ફરી વિકાસ થવો જોઈએ.
અને છેલ્લે,
આમ આદમી પાર્ટીના દિલ્હીના એક વખતના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન બે વર્ષે જેલમાંથી છૂટ્યા છે. મની લોન્ડરિંગના કેસમાં મુખ્યમંત્રી કેજરીવાલ હતા ત્યારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનિષ સિસોદિયા આ બધા જેલમાં જઈ આવ્યા છે અને સૌથી પહેલા જેલમાં જનારા હતા સત્યેન્દ્ર જૈન. એનો છુટકારો સૌથી છેલ્લે થયો છે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિચર્સ : યશપાલ બક્ષી)