3 કલાક પેહલા
- કૉપી લિંક
ભારત અને કેનેડાની વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બગડતા સંબંધોની વચ્ચે દિલ્હીમાં ભાગેડુ આતંકવાદીઓની યાદીમાં કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીના એક અધિકારીનું નામ સામેલ છે. ભારત આ યાદીમાં સામેલ આતંકવાદીઓને કેનેડામાંથી દેશ નિકાલ કરાવવા માગે છે. ભારતે આ યાદી ટ્રુડો પ્રશાસનને સુપરત કરી છે.
રિપોર્ટ પ્રમાણે, પ્રતિબંધિત ઈન્ટરનેશનલ શીખ યૂથ ફેડરેશન (ISYF)ના સભ્ય અને CBSAમાં સેવા આપતા સંદીપ સિંહ સિદ્ધુને પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે તેની કથિત સંડોવણી બદલ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.
ISI સાથે સંપર્કમાં છે સિદ્ધુ
સિદ્ધુ કથિત રીતે 2020માં બલવિંદર સિંહ સંધુની હત્યાને અંજામ આપવા માટે પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડે તેમજ અન્ય ISI ઓપરેટિવ્સના સંપર્કમાં હતો. સંધુ ખાલિસ્તાની આતંકવાદીઓ સામેની લડાઈ માટે જાણીતો હતો. તે અલગતાવાદી ચળવળમાં પ્રતિકારનું પ્રતીક બની ગયો હતો.
સિદ્ધુ સીબીએસએનો સુપરિન્ટેન્ડેન્ટ હતો
સંધુને તેની બહાદુરી માટે શૌર્યચક્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. તેઓ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા યુએસ અને કેનેડામાં ખાલિસ્તાન જનમતનો વિરોધ કરવા માટે પણ જાણીતો હતો. એક રિપોર્ટ અનુસાર, સંદીપ સિંહ સિદ્ધુને કથિત રીતે CBSAમાં સુપરિન્ટેન્ડેન્ટના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ કહ્યું હતું કે કેનેડાના ખાલિસ્તાની ગુર્ગા સની ટોરન્ટો અને પાકિસ્તાનનો આતંકવાદી લખબીર સિંહ ઉર્ફે રોડે સંધુની હત્યાની પાછળ માસ્ટરમાઇન્ડ છે, જોકે હજુ સુધી એ જાણી શકાયું નથી કે શું સની ટોરન્ટો, સંદીપ સિંહ સિદ્ધુનું જ બીજું નામ છે કે શું?
નિજ્જરની હત્યા બાદ ભારત-કેનેડા સંબંધોમાં તણાવ
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે. આ કારણે ભારતે કેનેડામાંથી તેના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા અને કેનેડાના રાજદ્વારીઓને પણ દેશ નિકાલ કર્યા. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આક્ષેપ કર્યો હતા કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકો સામે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભારત સરકારના એજન્ટો સામેલ છે. ભારતે આ મામલે તપાસમાં કેનેડાને સહકાર આપ્યો નથી. જોકે ભારતે આ આરોપો સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.