26 ઓક્ટોબરે રાત્રે 11 વાગ્યે ઈઝરાયલની સિક્યોરિટી કેબિનેટના નેતાઓએ ફોનમાં વાત કરી. તેમણે ફોનમાં જ નક્કી કરી લીધું કે, 1 ઓક્ટોબરે ઈરાને હુમલો કર્યો હતો તેનો જવાબ આજે જ આપી દઈશું.બધાની સહમતી થઈ ને એ જ રાત્રે 2 વાગ્યે 15 મિનિટે 100 જેટલા ઈઝરાયલના ફાઇટર જ
.
નમસ્કાર,
1 ઓક્ટોબરે ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો તેના 25 દિવસ પછી ઈઝરાયલે પણ ઈરાન પર વળતો હુમલો કર્યો. વિશ્વને ભય હતો કે, આવું થવાથી ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ થઈ શકે છે. પણ હજી સુધી તો એવું કાંઈ થયું નથી. પણ ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધની શક્યતા નકારી શકાય નહીં. કારણ કે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ કહ્યું છે કે, ઈઝરાયલને ના પાડી હતી છતાં ઈરાનની સરહદમાં ઘૂસીને હુમલો કર્યો છે. એ અમને નબળા ન સમજે. ઈઝરાયલને ઈરાની લોકોની તાકાતનો અંદાજો નથી. ખામેનીએ કરેલા હુંકારથી એવું સમજી શકાય કે, નક્કી ઈરાન પણ ટૂંક સમયમાં ફરી ઈઝરાયલ પર એટેક કરી શકે છે.
ઈઝરાયલે આ હુમલાને સ્વ-બચાવ ગણાવ્યો શુક્રવારે રાત્રે 02:00 વાગ્યા પછી ઈઝરાયલના ફાયટર પ્લેન ઈરાન પર હુમલો કરવા માટે ઊડ્યા ત્યારે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે તેલ અવીવમાં IDFના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી ઓપરેશન જોઈ રહ્યા હતા. સવારે 6 વાગ્યા પછી IDF એ કહ્યું કે ઈરાન પર હુમલા હવે સમાપ્ત થઈ ગયા છે. યુએસ પ્રેસિડેન્શિયલ ઓફિસે આ હુમલાને “સ્વ-બચાવનો પ્રયાસ” ગણાવ્યો હતો. ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલામાં અમેરિકાએ મદદ કરી હતી અને ઈરાનમાં ડિફેન્સના સ્થળો, મિસાઈલ ફેક્ટરીઓને ચોક્કસ નિશાન બનાવીને ટાર્ગેટેડ હુમલા કરાયા હતા. ઈઝરાયલે પોતાના ફાઈટર પ્લેન મોકલીને 200થી વધારે મિસાઈલ ઈરાન પર છોડી હતી.
ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈઝરાયલના હુમલામાં તેહરાન, ખુઝેસ્તાન અને ઈલામ પ્રાંતમાં ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાની સેનાએ પુષ્ટિ કરી છે કે આ હુમલાઓમાં તેના ચાર સૈનિકો માર્યા ગયા હતા. ઈરાનના એર ડિફેન્સે કહ્યું કે તેણે ઈઝરાયલના હુમલાઓને અટકાવ્યા હતા એટલે ઓછું નુકસાન થયું છે. અમેરિકી વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે હુમલામાં ઈરાની ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે પરમાણુ સ્થળો સામેલ નથી.
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ શું કહ્યું? ઈઝરાયલે કરેલા હુમલા બાદ ઈરાને પણ પોતાનું વલણ દર્શાવ્યું છે. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ કહ્યું કે યહૂદીઓ (ઈઝરાયેલ) ઈરાનને લઈને ખોટી ધારણાઓ લગાવી રહ્યા છે, તેઓ ઈરાનને જાણતા નથી. તે હજુ પણ ઈરાની લોકોની તાકાતને બરાબર સમજી શક્યા નથી. આ બાબતો અમારે તેને સમજાવવી પડશે. તેણે કહ્યું કે બે રાત પહેલાં યહૂદી શાસન (ઈઝરાયેલ)એ ખોટું પગલું ભર્યું છે. ઈરાન પર હુમલો કરીને ભૂલ કરી છે, અમારે તેને અમારી તાકાત બતાવવી પડશે.
ઈરાન-ઈઝરાયલ વચ્ચે નાના હુમલા તો થયા જ કરે છે ઇરાન મીડલ ઈસ્ટમાં કેટલાક ગ્રુપનું સમર્થન કરે છે, જેને ‘પ્રોક્સિ ગ્રુપ’ કહેવામાં આવે છે. ઈઝરાયલ આ ગ્રુપને પોતાના દુશ્મન માને છે. આમાં હમાસ અને હિઝબુલ્લાહનો પણ સમાવેશ થાય છે, જેની સાથે ઇઝરાયલ હાલમાં યુદ્ધ લડી રહ્યું છે. એપ્રિલ-2024માં ઈરાને લગભગ 300 મિસાઈલ અને ડ્રોનથી ઈઝરાયલ પર પહેલો સીધો હુમલો કર્યો હતો. આ હુમલો સીરિયામાં ઈરાની એમ્બેસી કમ્પાઉન્ડ પર ઈઝરાયલના હવાઈ હુમલાનો જવાબ હતો, જેમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના ઘણા ટોચના કમાન્ડર માર્યા ગયા હતા. ઇઝરાયલે ઇરાનના ઇસ્ફહાન વિસ્તારમાં મિસાઈલથી હુમલા કર્યા હતા. એ પછી જુલાઇ મહિનામાં ઇઝરાયલે બૈરૂતમાં હવાઇ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરને મારી નાખ્યો હતો. બીજા દિવસે, હમાસના રાજકીય નેતા ઇસ્માઇલ હાનિયાહનું તેહરાનમાં વિસ્ફોટમાં મોત થયું હતું. ઈરાને આ માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું, જોકે ઈઝરાયલે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. એ પછી સપ્ટેમ્બર-2024ના અંતમાં ઈઝરાયલે હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહ અને ઈરાનના વરિષ્ઠ અધિકારી બ્રિગેડિયર જનરલ અબ્બાસ નીલફોરોશનને બૈરૂતમાં મારી નાખ્યા. આ મહિને 1 ઓક્ટોબરે ઈરાને ઈઝરાયલ પર લગભગ 200 બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. જે તેણે હાનિયાહ, નસરાલ્લાહ અને નીલફોરોશનની હત્યાના જવાબમાં છોડી હતી.
ઈરાનમાં અત્યારે શું સ્થિતિ છે? ઈરાનના મીડિયામાં છપાયેલી તસવીરો દર્શાવે છે કે દેશમાં સામાન્ય લોકોનું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું છે. હંમેશાની જેમ તેહરાનની શેરીઓ લોકો અને વાહનોથી ભરેલી છે અને વ્યસ્ત દેખાય છે. લોકો ગાર્ડનમાં ફરે છે, વોક કરે છે. ફ્રૂટ અને શાકભાજીના બજારો રાબેતા મુજબ ખુલ્લા છે. ઈરાને તેની એરસ્પેસ થોડા કલાકો માટે બંધ કરી દીધી હતી, પરંતુ પછી તેને ફરીથી ખોલી દીધી હતી અને દેશભરમાં કોમર્શિયલ ફ્લાઈટ્સ પણ શરૂ થઈ ગઈ હતી. એવા સંકેતો મળી રહ્યા છે કે ઈરાન સરકાર નાગરિકો પર ઈઝરાયલના હુમલાની અસર ઘટાડવા માંગે છે.
આગળ શું થઈ શકે? પ્રારંભિક સંકેતો સૂચવે છે કે ઇઝરાયલનો ઈરાન તાજેતરનો હુમલો એટલો ગંભીર નહોતો. અમેરિકન ન્યૂઝ ચેનલ એક્સિયોસના જણાવ્યા અનુસાર હુમલા પહેલાં ઈઝરાયલે ઈરાનને એક સંદેશ મોકલ્યો હતો, જેમાં હુમલા અંગે કેટલીક વિગતો આપવામાં આવી હતી અને ઈરાનને જવાબ ન આપવાની ચેતવણી આપવામાં આવી હતી. આ એક સંકેત હોઈ શકે છે કે ઇઝરાયલ પરિસ્થિતિને વધુ વધારવા માંગતું નથી. હાલ પૂરતું તો નહીં જ. ઇઝરાયેલી સૈન્યએ એક નિવેદનમાં કહ્યું, અમે ગાઝા પટ્ટી અને લેબનોનમાં અમારા યુદ્ધમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઈરાન પર અમે માત્ર પ્રેશર બનાવેલું રાખીશું. અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે આ સીધા હુમલાનો સીલસીલો ખતમ થવો જોઈએ. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઈઝરાયલ પોતાનો બચાવ કરવા માટે હકદાર છે. ઈરાનના વિદેશ મંત્રાલયે આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ઈરાન આ વિસ્તારની શાંતિ માટેની પોતાની જવાબદારીઓ સમજે છે. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા સીન સેવેટે જણાવ્યું હતું કે ઇઝરાયલે જે હુમલો કર્યો તે માત્ર લશ્કરી સાધનો બનાવતી જગ્યાએ કર્યો છે. લોકો પર નથી કર્યો. જ્યારે ઈરાને ઈઝરાયલ 1 ઓક્ટોબરે પર હુમલો કર્યો હતો ત્યારે સૌથી વધારે વસ્તીવાળા વિસ્તારમાં હુમલો કર્યો હતો પણ ઈરાનની પોતાની બનાવટની મિસાઈલ હતી એટલે વધારે નુકસાન થયું નહોતું. અત્યારે ભલે એકબીજા દેશ અલગ અલગ વાતો કરે પણ મનમાં તો કાંઈક બીજું જ ચાલતું હોય છે. ઈઝરાયલ અને ઈરાન બંને હવે પોતપાતાની તાકાત બતાવવા પર ઉતરી આવ્યા છે એટલે બંને દેશો વચ્ચે લડાઈ વધુ વેગ પકડી શકે છે.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે શું ફેર?
ઈરાન : ઈરાન એ સદીઓ પહેલાં ફારસ દેશના નામથી ઓળખાતો હતો. આ દેશમાં શિયા વસ્તી વધારે છે. દેશની 15 ટકા વસ્તી રાજધાની તહેરાનમાં રહે છે. ઈરાનની ઈકોનોમી મુખ્યત્વે તેલ, પ્રાકૃતિક ગેસની નિકાસ પર નિર્ભર છે.
ઈઝરાયલ : આ દેશ યહૂદીઓનું મૂળ નિવાસ સ્થાન હતું. ઈઝરાયલની રાજધાની જેરૂસલેમ છે. ડિફેન્સની બાબતમાં દુનિયાના શક્તિશાળી દેશોમાં ઈઝરાયલનો પહેલો નંબર આવે છે.
(ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 2300 કિલોમીટરનું અંતર છે. આ બંને દેશની વચ્ચો વચ્ચ ઈરાક દેશ આવે છે.)
ઈઝરાયલ અને ઈરાનની લશ્કરી તાકાતમાં ઈરાન વધારે મજબૂત…
- ઈઝરાયલની વસતિ 95 લાખ છે. ઈરાનની વસ્તી 8 કરોડ છે.
- ઈઝરાયલ પાસે 1 લાખ 70 હજાર લાખ સૈનિક એક્ટિવ છે તો ઈરાન પાસે 6 લાખ 10 હજાર સૈનિક એક્ટિવ છે.
- ઈઝરાયલ પાસે 5 લાખ જવાન રિઝર્વ છે, તો ઈરાન પાસે 4 લાખ જવાન રિઝર્વ છે.
- ઈઝરાયલ પાસે 612 એરક્રાફ્ટ છે તો ઈરાન પાસે 551 છે.
- ઈઝરાયલ પાસે 1,370 ટેન્ક છે જ્યારે ઈરાન પાસે 1,996 છે.
- ઈઝરાયલ પાસે લડાઈ કરવા નાની 101 વોર બોટ છે જ્યારે ઈરાન પાસે 67 બોટ છે.
- ઈઝરાયલ પાસે 146 હેલિકોપ્ટર છે તો ઈરાન પાસે 126 હેલિકેપ્ટર છે.
- ઈઝરાયલ પાસે 43 હજાર આર્મ્ડ વ્હીકલ છે, ઈરાન પાસે 69 હજાર છે.
- ઈઝરાયલ પાસે 5 સબમરીન છે તો ઈરાન પાસે 19 સબમરીન છે.
ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ થાય તો ભારતને શું અસર થાય? ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ વધે તો આ સ્થિતિ ભારત માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. કારણ કે ભારતના ઈરાન અને ઇઝરાયલ બન્ને દેશો સાથે સારા સંબંધ છે.આ ઉપરાંત પશ્ચિમી એશિયાના દેશોમાં રહેતા ભારતીયનો સંખ્યા પણ વધારે છે. ઈરાન અને ઇઝરાયલ સંઘર્ષ ભારતીય અર્થવ્યવસ્થાને પણ અસર કરી શકે છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે થઈ રહેલા સંઘર્ષ દરમિયાન ભારત માટે સૌથી મોટો પડકાર આ બન્ને દેશ અને પશ્ચિમ એશિયાના અન્ય દેશોમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાનો છે. ઇઝરાયલમાં લગભગ 18 હજાર ભારતીયો છે, જ્યારે ઈરાનમાં પાંચથી સાત હજાર ભારતીયો રહે છે. ભારત જો હવે ઇઝરાયલ સાથે પોતાના સારા સંબંધ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે તો ઈરાન સાથેના સંબંધ ખરાબ થઈ શકે છે. તેનાથી વિપરીત જો ઈરાન સાથે સારા સંબંધ રાખે તો ઇઝરાયલની સાથે-સાથે અમેરિકાની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. આ કટોકટી પર ભારત દ્વારા વધુ પડતાં નિવેદનોથી બચવું જરૂરી છે. આ મૂંઝવણભરી સ્થિતિ કોઈ પણ દેશની વિદેશ નીતિમાં પડકાર નથી પરંતુ સંકટ છે. ભારત માટે આ સ્થિતિ રાજદ્વારી સંકટ છે અને જો ઈરાનમાં તેલના ભંડારો પર હુમલા થશે તો પેટ્રોલ-ડિઝલના ભાવ બેકાબૂ બની શકે છે.
ઈઝરાયલે વળતો હુમલો કર્યા પછી વિશ્વએ શું પ્રતિક્રિયા આપી? ઈરાન પર ઈઝરાયલના હવાઈ હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા આ હુમલાની નિંદા કરવામાં આવી રહી છે અને તમામ પક્ષોને સંયમ રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.
- બ્રિટીશ વડાપ્રધાન સર કીર સ્ટારમેરે કહ્યું છે કે ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે, પરંતુ તમામ પક્ષોને સંયમ રાખવા વિનંતી. હવે ફરી ઈરાને બદલો ન લેવો જોઈએ.
- ભારતીય વિદેશ મંત્રાલયે પણ પોતાના નિવેદનમાં કોઈપણ દેશનું નામ લીધા વિના કહ્યું છે કે, અમે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને તે સમગ્ર ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા પર તેની અસરને લઈને અત્યંત ચિંતિત છીએ.
- રશિયાએ કહ્યું છે કે, અમે મીડલ ઈસ્ટમાં વધી રહેલી દુશ્મનાવટથી ચિંતિત છીએ અને સામેલ તમામ પક્ષોને સંયમ રાખવા વિનંતી કરીએ છીએ.
- યુએઈએ કહ્યું છે કે જોખમ ઘટાડવા અને તણાવને વધુ વધતો અટકાવવા માટે અત્યંત સંયમ રાખવો અને યોગ્ય નિર્ણયો લેવા જરૂરી છે.
- જર્મનીના ચાન્સેલર ઓલાફ શુલ્ટ્ઝે કહ્યું: ઇરાન વિરુદ્ધ ઇઝરાયલના તાજેતરની સ્ટ્રાઇક્સે નાગરિકોને નિશાન ન બનાવીને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કર્યો છે અને તે ઇરાન પર અગાઉના હુમલાનો જવાબ છે, તેથી તે તણાવને વધુ વધારશે નહીં.
ઈઝરાયલે ઈરાનનની તાકાત તોડી નાખી ઈરાનનું ઈઝરાયલ સાથેનું યુદ્ધ હવે નવા વળાંક પર છે, કારણ કે ઈરાને જે નાના નાના સંગઠનો ઊભા કર્યા હતા તે તમામ ખતમ થઈ રહ્યા છે. ઈરાનનો મુખ્ય ચહેરો મનાતું હમાસ લગભગ ખતમ થઈ ગયું છે. ઈરાનની બીજી પાંખ હિઝબુલ્લાહ સંપૂર્ણપણે તૂટી ગઈ છે. તેની લીડરશિપની હત્યા કરવામાં આવી છે. ઈરાનને સીરિયા તરફથી વધુ મદદ મળતી નથી. યમનના હુતિઓની તાકાત હમાસ કે હિઝબુલ્લાહ જેટલી નથી એ એની પણ મર્યાદા છે. ટૂંકમાં, ઈરાને જેટલા આતંકી સંગઠનો ઊભા કર્યા હતા તે તમામ લગભગ ખતમ થઈ ચૂક્યા છે. હવે જો લડાઈ થશે તો સીધી ઈરાન-ઈઝરાયલ વચ્ચે થશે.
છેલ્લે,
અમેરિકાએ ઈઝરાયલને ના પાડી હતી કે, તે ઈરાન પર હુમલો કરે તો પણ તેલ ભંડાર અને ન્યૂક્લિયર પ્લાન્ટ પર હુમલો નહીં કરે. ઈઝરાયલે અમેરિકાની વાત માની લીધી ને આ જગ્યાએ પર હુમલા ન કર્યા. પણ થોડા દિવસો પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલને સલાહ આપી હતી કે ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો કરો, પછી બીજી વાત. પણ ઈઝરાયલે બાઈડનની વાત માની. ટ્રમ્પની વાત માની નહીં. આના પરથી ખબર પડે કે અમેરિકાની ચૂંટણીના પરિણામો કઈ તરફ આવવાની સંભાવના છે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિચર્સ : યશપાલ બક્ષી)