કોલંબો20 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રીલંકાના ફિશરીઝ મિનિસ્ટર ડગલસ દેવાનંદે કાચ્છથીવુ પર ભારતના નિવેદનોને પાયાવિહોણા ગણાવ્યા છે. (ફાઈલ)
કચ્છથીવુ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે શ્રીલંકાના મંત્રીએ કહ્યું છે કે ટાપુને પરત લેવા અંગેના ભારતના નિવેદનોનો કોઈ આધાર નથી. શ્રીલંકાના મત્સ્યોદ્યોગ મંત્રી ડગલસ દેવાનંદે કહ્યું, “ભારતમાં ચૂંટણીનો સમય છે. આવી સ્થિતિમાં કચ્છથીવુ પરના દાવા સંબંધિત નિવેદનો કરવા તે કોઈ નવી વાત નથી.”
શ્રીલંકાના મંત્રીએ ગુરુવારે જાફનામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, “મને લાગે છે કે ભારત આ સ્થાન પોતે જ મેળવવા માંગે છે જેથી કરીને શ્રીલંકાના માછીમારોને અહીં કોઈ અધિકારો ન મળે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (31 માર્ચ) એક RTI અહેવાલને ટાંકીને કહ્યું હતું કે કોંગ્રેસે ભારતના રામેશ્વરમ પાસે આવેલા કાચ્છથીવુ ટાપુ શ્રીલંકાને સોંપી દીધો છે. દરેક ભારતીય તેનાથી નારાજ છે.
મંત્રીએ કહ્યું- 1974માં બંને દેશના માછીમારો એકબીજાની સરહદમાં માછલી પકડતા હતા
ડગલસે કહ્યું, “ભારત અને શ્રીલંકા વચ્ચે 1974માં એક સમજૂતી થઈ હતી. આ અંતર્ગત બંને દેશના માછીમારોને એકબીજાની દરિયાઈ સીમામાં માછલી પકડવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ આ પછી 1976માં નવો કરાર કરવામાં આવ્યો અને માછીમારોને અધિકારો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા.”
શ્રીલંકાના મંત્રીએ કહ્યું કે નવા કરાર હેઠળ ભારતને કન્યાકુમારી પાસે આવેલી વેજ બેંક મળી. આ કાચ્છથીવુ કરતા 80 ગણો મોટો વિસ્તાર છે, જ્યાં ઘણા દરિયાઈ સંસાધનો રહેલા છે. આ વિસ્તાર 1976ની સમીક્ષામાં ભારતને મળ્યો હતો.
દાવો- ભારતીય માછીમારો ગેરકાયદેસર રીતે શ્રીલંકામાં ઘુસી રહ્યા છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં શ્રીલંકાના માછીમારોએ આરોપ લગાવ્યો છે કે ભારતીય માછીમારો ગેરકાયદેસર રીતે શ્રીલંકાની દરિયાઈ સરહદમાં માછીમારી કરવા માટે પહોંચી રહ્યા છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં શ્રીલંકન નેવીએ 178 માછીમારોને પકડ્યા છે. આ મામલાને લઈને શ્રીલંકામાં ઘણી જગ્યાએ દેખાવો થયા છે, જેના કારણે મત્સ્ય મંત્રી ડગ્લાસ દેવાનંદ પર દબાણ વધી રહ્યું છે.
આ પહેલા બુધવારે શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ કહ્યું હતું કે, “આ મુદ્દો 50 વર્ષ પહેલા ઉકેલાઈ ગયો હતો. તેને ફરીથી ઉઠાવવાની કોઈ જરૂર નથી. કચ્છથીવુ પર કોઈ વિવાદ નથી. ભારતમાં માત્ર રાજકીય ચર્ચા ચાલી રહી છે કે આ માટે કોણ જવાબદાર છે? પરંતુ આના પર અધિકારો વિશે કોઈ વાત કરવામાં આવી નથી.”
આ પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે 1 એપ્રિલના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે સ્થિત કચ્છથીવુ ટાપુ પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઈન્દિરા સરકારે 1974માં ભારતનો આ ટાપુ શ્રીલંકાને આપી દીધો હતો.
કચ્છથીવુ પર જયશંકરના મહત્વના દાવા…
1. 1974ના કરારની ત્રણ શરત હતી
જયશંકરે કહ્યું- 1974માં ભારત અને શ્રીલંકાએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના દ્વારા બંને દેશો વચ્ચે દરિયાઈ સીમા નક્કી કરવામાં આવી હતી. આ સરહદ નક્કી કરતી વખતે કચ્છથીવુ શ્રીલંકાને આપવામાં આવ્યો હતો. આ કરારની 3 શરત હતી.
પ્રથમ, બંને દેશોને તેમના પ્રાદેશિક પાણી પર સંપૂર્ણ અધિકાર અને સાર્વભૌમત્વ હશે. બીજી, ભારતીય માછીમારો પણ કચ્છથીવુનો ઉપયોગ કરી શકશે અને આ માટે કોઈ મુસાફરી દસ્તાવેજની જરૂર પડશે નહીં. ત્રીજી- ભારત અને શ્રીલંકાની નૌકાઓ પરંપરાગત રીતે એકબીજાની સરહદમાં મુસાફરી કરી શકશે.
આ કરાર સંસદમાં મૂકવામાં આવ્યો હતો. તત્કાલીન વિદેશમંત્રી સ્વરણ સિંહે 23 જુલાઈ 1974ના રોજ સંસદને ખાતરી આપી હતી. હું તેમનું પોતાનું નિવેદન વાંચી રહ્યો છું, જે કહે છે – હું માનું છું કે બંને દેશો વચ્ચેની સરહદો સમાન રીતે નક્કી કરવામાં આવી છે, એ ન્યાયી અને યોગ્ય છે.
2. કોંગ્રેસ અને ડીએમકે કચ્છથીવુ પર તેમની જવાબદારી નકારી રહ્યા છે
એસ. જયશંકરે કહ્યું, કચ્છથીવુ અને માછીમારોના મુદ્દા પર કોંગ્રેસ અને ડીએમકે હવે એવું વર્તન કરી રહ્યા છે કે તેમની કોઈ જવાબદારી નથી અને આજની કેન્દ્ર સરકારે આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ, જેમ કે એનો કોઈ ઇતિહાસ નથી, જેમ કે એ હમણાં જ બન્યું. કોંગ્રેસ-ડીએમકેના લોકો જ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે.
છેલ્લાં 20 વર્ષમાં શ્રીલંકા દ્વારા 6184 ભારતીય માછીમાર પકડવામાં આવ્યા છે. 1175 ભારતીય માછીમારી બોટ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે પણ ધરપકડ થાય છે ત્યારે આ લોકો મુદ્દો ઉઠાવે છે. ચેન્નઈમાં બેસીને નિવેદનો આપવાનું સરળ છે, પરંતુ અમે જાણીએ છીએ કે તે માછીમારોને કેવી રીતે મુક્ત કરવા.
3. અમને ખબર નથી કે આ વાત જનતાથી કોણે છુપાવી છે
વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, “કાચ્છથીવુનો મુદ્દો લાંબા સમયથી લોકોથી છુપાયેલો હતો. કોણ જવાબદાર છે, કોણ તેમાં સામેલ છે, કોણે તેને છુપાવ્યું છે. અમને ખબર છે. અમને લાગે છે કે જનતાને એ જાણવાનો અધિકાર છે કે કોણે આ કર્યું છે.”
કચ્છથીવુ 285 એકરમાં ફેલાયેલું છે, જે રામેશ્વરમથી 19 કિમી દૂર છે
ભારતના તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે વિશાળ દરિયાઈ વિસ્તાર છે. આ દરિયાઈ વિસ્તારમાં અહીં ઘણા ટાપુઓ છે, જેમાંથી એકનું નામ કચ્છથીવુ છે. શ્રીલંકાના વિદેશ મંત્રાલયની વેબસાઈટ અનુસાર, કચ્છથીવુ 285 એકરમાં ફેલાયેલો ટાપુ છે. આ ટાપુ બંગાળની ખાડી અને અરબી સમુદ્રને જોડે છે.
આ ટાપુ 14મી સદીમાં જ્વાળામુખી વિસ્ફોટ પછી રચાયો હતો. જે રામેશ્વરમથી લગભગ 19 કિલોમીટર અને શ્રીલંકાના જાફના જિલ્લાથી લગભગ 16 કિલોમીટર દૂર છે. રોબર્ટ પાક 1755 થી 1763 સુધી મદ્રાસ પ્રાંતના બ્રિટિશ ગવર્નર હતા. આ દરિયાઈ વિસ્તારનું નામ રોબર્ટ પાકના નામ પરથી પાક સ્ટ્રેટ રાખવામાં આવ્યું હતું.