અમેરિકામાં બેઠાં બેઠાં ભારતને વારંવાર ધમકીઓ આપનાર શીખ ફોર જસ્ટિસ (SFJ)નો આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુ ભારતને ધમકીઓ આપ્યા કરે છે. ફ્લાઈટમાં બોમ્બ મૂકવાની સૌથી વધારે ધમકી પન્નુએ જ આપી છે. દિવાળીના વેકેશન વખતે, ફરવાના સમયે જ ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળતાં
.
નમસ્કાર,
ગુરપતવંતસિંહ પન્નુ અમેરિકાથી ખાલિસ્તાની નેટવર્ક ઓપરેટ કરે છે. વારંવાર ભારત વિરોધી ઝેર ઓકે છે અને ભારત-કેનેડા વચ્ચેના સંબંધો બગાડવામાં પણ પન્નુની ખાલિસ્તાની નીતિનો હાથ છે. આ બધા વચ્ચે કેનેડાના 28 જેટલા સાંસદોએ વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના રાજીનામાની માગણી કરી છે. બીજી તરફ અમેરિકા પન્નુને છાવરે છે. હવે પન્નુએ કેનેડાની ન્યૂઝ ચેનલ સામે ડર વ્યક્ત કર્યો છે કે, અમેરિકામાં ભારત મારી હત્યા કરાવશે. આ બધા વચ્ચે ભારતના રો અધિકારી વિકાસ યાદવનું નામ પણ ચર્ચામાં રહ્યું છે. આજે પન્નુ, વિકાસ યાદવ, કેનેડા અને રો કનેક્શનની વાત કરીએ…
પન્નુએ ધમકી આપી કે, 1થી 19 નવેમ્બર વચ્ચે એરઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરતા… અમેરિકામાં રહેતા શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એર ઈન્ડિયામાં બોમ્બવિસ્ફોટ કરવાની ધમકી આપી છે. આતંકવાદી પન્નુએ વીડિયો જાહેર કર્યો હતો અને 1984નાં શીખ રમખાણોનો બદલો લેવાની વાત કરી હતી. તેણે લોકોને એર ઈન્ડિયામાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે. પન્નુએ વીડિયોમાં કહ્યું, નવેમ્બર 1984નાં શીખ રમખાણોની 40મી વર્ષગાંઠ છે. 1984માં 13 હજારથી વધુ શીખ, મહિલાઓ અને બાળકો માર્યાં ગયાં હતાં. આજે પણ દિલ્હીમાં વિધવા વસાહત છે. આ સમગ્ર ઘટના ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. વિદેશ પ્રવાસ કરતા લોકોએ 1થી 19 નવેમ્બર સુધી એર ઈન્ડિયાનો બહિષ્કાર કરવો જોઈએ. તેણે પાઈલટ્સને ધમકી આપી કે બોર્ડ પર શંકાસ્પદ બોમ્બ હોઈ શકે છે. ગયા વર્ષે પણ 19 નવેમ્બરે પન્નુએ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.
પન્નુએ કેનેડાની ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં શું વાતો કહી…
1. મોદી અને ભારતીય હાઈ કમિશનરના અલગ-અલગ નિવેદનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું હતું કે જે કોઈ ભારત વિરુદ્ધ જશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેને મારી નાખવામાં આવશે. પરંતુ કેનેડામાં પૂર્વ ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માનું કહેવું છે કે અમે અન્ય કોઈ દેશની ધરતી પર આવી કાર્યવાહી કરતા નથી, જે કોઈપણ દેશના કાયદાને નુકસાન પહોંચાડે.
2. હત્યાના પ્રયાસમાં નિખિલ ગુપ્તાનું નામ જ્યારે પન્નુને હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને પન્નુની હત્યાના પ્રયાસ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું- અમેરિકામાં મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનું નામ સામે આવ્યું હતું. પુરાવા તરીકે વાતચીતના મેસેજ અને વીડિયો પણ આપવામાં આવ્યા હતા.
3. પંજાબીઓ માટે અલગ દેશની માગ કરવા બદલ નિજ્જરની હત્યા ગુરુની કૃપાથી હું બચી ગયો હતો, પરંતુ નિજ્જરને મારવા માટે શૂટર્સ રાખવામાં આવ્યા હતા અને તે માર્યો ગયો હતો. પંજાબીઓ માટે અલગ દેશની માગણી કરવા બદલ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાન રેફરન્ડમના મુખ્ય નેતા હતો.
4. મારા મૃત્યુનો સમય નિશ્ચિત છે પન્નુએ કહ્યું- મારા કપાળ પર મારા મૃત્યુનો સમય અને દિવસ લખાયેલો છે. મને ગમે તેટલો ધમકાવવામાં આવે કે ડરાવવામાં આવે, હું ખાલિસ્તાન રેફરન્ડમ ચલાવવાનું બંધ કરીશ નહીં. ભારત હજુ પણ મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યું છે. મને હજુ પણ ભારતથી ખતરો છે.
5. ભારત સરકાર પંજાબ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ સાથે પણ સંપર્કમાં ભારત સરકાર પંજાબ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગ સાથે પણ સતત સંપર્કમાં છે. તે મારા જ સમુદાયના લોકો દ્વારા મારી હત્યા કરાવવા માગે છે. આમ કરવાથી હું રોકાવાનો નથી. આમ કરીને ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ કેનેડા અને અમેરિકાની સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે.
પન્નુની હત્યાના કાવતરાંનો આખો મામલો શું છે? અમેરિકાનું કહેવું છે કે પન્નુની હત્યાનું કાવતરું ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ઘડવામાં આવ્યું હતું. એક ભૂતપૂર્વ ભારતીય અધિકારી વિકાસ યાદવે નિખિલ ગુપ્તાને પન્નુની હત્યાનું કાવતરું રચવા કહ્યું હતું. મૂળ ભારતીય અને કેનેડાના નાગરિક નિખિલ ગુપ્તાની ચેક રિપબ્લિક પોલીસે 30 જૂન, 2023ના રોજ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ ધરપકડ કરી હતી. આ પછી 14 જૂન 2024ના રોજ નિખિલને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. નિખિલ વિરુદ્ધ અમેરિકામાં કેસ ચલાવવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોતે નિર્દોષ હોવાનું કહ્યું હતું.
અમેરિકાએ ટ્રુડોના દાવાને નકારી કાઢ્યો, વિકાસનો નિજ્જરની હત્યા સાથે કોઈ સંબંધ નથી… પન્નુની હત્યાના કાવતરામાં ભારતનું નામ સામે આવ્યા બાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ દાવો કર્યો હતો કે રો અધિકારી વિકાસ યાદવ પણ નિજ્જરની હત્યામાં સામેલ હતો. જોકે, અમેરિકાએ દાવો ફગાવી દીધો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે કેનેડામાં નિજ્જર હત્યાકાંડ સાથે વિકાસનો કોઈ સંબંધ નથી. એફબીઆઈનો આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો તણાવમાં છે. કેનેડાએ નિજ્જરની હત્યામાં ભારતીય રાજદ્વારીઓ સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી ભારતે હાઈ કમિશનર સહિત પોતાના 6 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા.
પન્નુની હત્યાના કાવતરાંની અમેરિકાના દાવાની ટાઈમલાઈન સમજો…
- 15 મે, 2023: યુએસ પ્રોસિક્યુટરના જણાવ્યા અનુસાર, એક ભારતીય રો અધિકારી વિકાસ યાદવે નિખિલ ગુપ્તાને કામ સોંપ્યું હતું.
- 29 મે: નિખિલ ગુપ્તાએ પન્નુને મારી શકે તેવી વ્યક્તિની શોધ શરૂ કરી. જો કે, પન્નુને મારવા માટે રાખવામાં આવેલો વ્યક્તિ અમેરિકાનો અંડરકવર એજન્ટ હોવાનું બહાર આવ્યું. થોડા અઠવાડિયા સુધી નિખિલ ગુપ્તાએ આ અન્ડર કવર એજન્ટ સાથે પન્નુની હત્યાની પદ્ધતિ અને કિંમત વિશે ચર્ચા કરી.
- 9 જૂન: નિખિલ ગુપ્તાએ પન્નુની હત્યા કરવા માટે રાખવામાં આવેલા હિટમેનને એક વ્યક્તિ દ્વારા 15 હજાર ડૉલર (12 લાખ 49 હજાર રૂપિયા)ની રોકડ મોકલી. આ હત્યા માટેનું એડવાન્સ પેમેન્ટ હતું. આખી ડીલ 1 લાખ ડોલર (84 લાખ રૂપિયા)માં થઈ હતી.
- 11 જૂન : ભારતીય રો અધિકારી વિકાસ યાદવે નીખિલ ગુપ્તાને કહ્યું કે પન્નુને હજુ મારી શકાય તેમ નથી. હકીકતે જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. ગુપ્તાએ ફોન પર એમ પણ કહ્યું હતું કે 10 દિવસ સુધી કશું કરી શકાશે નહીં. નહીંતર દેખાવો શરૂ થશે.
- 18 જૂન : આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર કેનેડામાં માર્યો ગયો.
- 19 જૂન: અમેરિકામાં પન્નુની હત્યા કરવા માટે રાખવામાં આવેલા હિટમેનને નીખિલે નિજ્જરની હત્યાનો વીડિયો મોકલ્યો. કહ્યું કે આ સારા સમાચાર છે, હવે રાહ જોવાની જરૂર નથી.
- 24 થી 29 જૂન : નીખિલ ગુપ્તાએ પન્નુને મારવાની યોજનાને આગળ ધપાવી. પન્નુ પર દેખરેખ શરૂ કરી.
- 30 જૂન : નીખિલ ગુપ્તાને યુએસના કહેવા પર ચેક રિપબ્લિકમાં અટકાયતમાં લેવામાં આવ્યો.
ગુરપતવંતસિંહ પન્નુ છે કોણ?
- તે અમૃતસરના ખાનકોટ ગામનો રહેવાસી છે.
- પંજાબ યુનિવર્સિટીમાંથી પન્નુએ લૉનો અભ્યાસ કર્યો છે.
- પન્નુના પિતા મહિન્દર સિંહ પંજાબ સ્ટેટ એગ્રીકલ્ચર માર્કેટિંગ બોર્ડના કર્મચારી હતા
- પન્નુ હાલમાં અમેરિકામાં વકીલ છે અને SFJ શીખ ફોર જસ્ટિસનો કાનૂની સલાહકાર પણ છે.
- પન્નુ અમેરિકાની સાથે કેનેડાનો પણ રહેવાસી છે.
- અમેરિકા સિવાય તે કેનેડા અને બ્રિટનમાં પોતાના સંગઠન મારફત ભારત વિરોધી પ્રોપેગેન્ડા ચલાવે છે.
- ખાલિસ્તાનની માગણીના નામે તે વીડિયો જાહેર કરીને પંજાબમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરે છે.
વિકાસ યાદવ વિશે FBIએ શું દાવા કર્યા….
- રેવાડી જિલ્લાના પ્રાણપુરા ગામનો વતની
- વિકાસ યાદવ પહેલાં CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ હતા.
- વિકાસની નિયુક્તિ ભારત સરકારની કેબિનેટ સચિવાલયે કરી હતી.
- વિકાસને RAWમાં ઈન્ડિયા ફોરેન ઈન્ટલિજન્સ સર્વિસમાં રાખ્યા
- RAWએ જ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું
- વિકાસે જ હત્યા માટે કિલર હાયર કર્યો
- 10 ઓક્ટોબર, 2024એ સાઉથ ન્યૂચોર્ક ડિસ્ટ્રીક્ટ કોર્ટે વિકાસ સામે ધરપકડ વોરંટ જારી કર્યું. 17 ઓક્ટોબરે કોર્ટે આરોપો ઘડ્યા
- આ પહેલાં નીખિલ ગુપ્તા સામે આરોપો ઘડાઈ ચૂક્યા છે.
- ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકાએ જે વ્યક્તિ પર આરોપ લગાવ્યો છે તે ભારત સરકારનો કર્મચારી નથી.
પન્નુને 2020માં આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો 2019માં ભારત સરકારે પન્નુના સંગઠન SFJ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ એટલે કે UAPA હેઠળ આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ ધરવાના આરોપસર પ્રતિબંધ મૂક્યો હતો. ગૃહ મંત્રાલયે તેના નોટિફિકેશનમાં કહ્યું હતું કે શીખો માટે જનમત સંગ્રહની આડમાં SFJ સંગઠન પંજાબમાં અલગતાવાદ અને ઉગ્રવાદી વિચારધારાને સમર્થન આપતું રહ્યું છે. 2020માં પન્નુ પર અલગતાવાદને પ્રોત્સાહન આપવા અને પંજાબી શીખ યુવાનોને હથિયાર ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવાનો આરોપ લાગ્યો હતો. આ પછી 1 જુલાઈ 2020ના રોજ કેન્દ્ર સરકારે પન્નુને UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો. 2020માં સરકારે SFJ સંબંધિત 40થી વધુ વેબ પેજ અને યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો.
પન્નુ વિરુદ્ધ એક ડઝન કેસ, સોશિયલ મીડિયા પર ભડકાઉ નિવેદનો કરે છે SFJ અને પન્નુ વિરુદ્ધ ભારતમાં 12 જેટલા કેસ નોંધાયેલા છે. જેમાં પંજાબમાં રાજદ્રોહના 3 કેસ પણ સામેલ છે. પંજાબ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડોઝિયરમાં SFJ દ્વારા સોશિયલ મીડિયા પર ઘણા વર્ષોથી વિવિધ અલગતાવાદી પોસ્ટની માહિતી છે. આમાં તે આતંકવાદીઓને સમર્થન કરતો હતો. પન્નુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પંજાબી ભાષામાં ઓડિયો અને વિડિયો સંદેશા બહાર પાડે છે. આમાં તે પંજાબી યુવાનોને ભારત વિરુદ્ધ ઉશ્કેરે છે. આટલું જ નહીં, પૈસાની લાલચ આપીને તેણે પંજાબ-હરિયાણામાં સરકારી ઈમારતોમાં ખાલિસ્તાની ઝંડો પણ લગાવ્યો છે. આ સિવાય તાજેતરમાં જી-20 સમિટ દરમિયાન દિલ્હીના મેટ્રો સ્ટેશન પર લખવામાં આવેલા ખાલિસ્તાની સૂત્રો પણ પન્નુના કહેવા પર લખવામાં આવ્યા હતા. પન્નુ સોશિયલ મીડિયા દ્વારા યુવાનોનું બ્રેનવોશ કરે છે અને તેમને ભારત વિરુદ્ધ ઉશ્કેરે છે.
પન્નુનો કેનેડાની ચેનલને ઈન્ટરવ્યુ, ભારત સાથે વણસતા સંબંધો અને ટ્રુડોના રાજીનામાની માગણી… ભારત-કેનેડા વચ્ચે વણસેલા સંબંધો પાછળ પન્નુની મોટી ભૂમિકા છે. પન્નુએ કેનેડામાં જે માણસ ખાલિસ્તાની પ્રવૃત્તિઓ માટે રોક્યો હતો તે હરદીપસિંહ નિજ્જરની હત્યા થઈ. નિજ્જરની હત્યા ભારતના એજન્ટોએ કરી અને તેમાં ભારતના રાજદ્વારીઓ સામેલ હતા-એવો આક્ષેપ કેનેડાએ કર્યા પછી બંને દેશ વચ્ચેના સંબંધો બગડ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ અવાર નવાર ભારત પર હત્યાનો આરોપ લગાવ્યો છે. કેનેડા ખાલિસ્તાની વિચારધારાને સમર્થન આપે છે તે વાત ભારત બરાબર જાણે છે. આવા સમયે કેનેડાના પોલિટિક્સમાં ટ્રુડો સામે વિરોધ વંટોળ ઊભો થયો છે અને સાંસદોએ એવી ડિમાન્ડ કરી છે કે, ટ્રુડો 28 ઓક્ટોબર સુધીમાં રાજીનામું આપી દે.
કેનેડાના 28 સાંસદો જસ્ટિન ટ્રુડોના રાજીનામાની માંગ કરે છે હાઉસ ઓફ કોમન્સના સત્ર દરમિયાન યોજાયેલી બેઠકમાં સાંસદોએ રાજીનામાની માંગ ઉઠાવી હતી. બુધવારે મળેલી મીટિંગમાં, અસંતુષ્ટ સાંસદોએ તેમની ચિંતાઓ અને હતાશાઓ સીધી પીએમ ટ્રુડો પાસે પહોંચાડી. ટ્રુડો પોતાની પાર્ટીની અંદરથી જ વધી રહેલા દબાણનો સામનો કરી રહ્યા છે. અસંતુષ્ટ લિબરલ સાંસદોએ તેમને 28 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. બુધવારે કોકસની બેઠક દરમિયાન, ટ્રુડોના રાજીનામાંની રૂપરેખા આપતો દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હતો.
ટ્રુડો પર તેમના જ દેશમાં દબાણ સીબીસી ન્યૂઝના અહેવાલ મુજબ, 24 સાંસદોએ ટ્રુડોને પદ છોડવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મીટિંગ દરમિયાન, બ્રિટિશ કોલંબિયાના સાંસદ પેટ્રિક વ્હીલરે એક દસ્તાવેજ રજૂ કર્યો, જેમાં ટ્રુડોના રાજીનામાની તરફેણમાં દલીલ કરવામાં આવી હતી. તે સૂચવે છે કે લિબરલ પાર્ટી યુએસ પ્રમુખ જો બાઈડેને રાષ્ટ્રપતિની ચૂંટણી ન લડવાનું પસંદ કર્યા પછી ડેમોક્રેટ્સે જે જોયું તે સમાન પરિસ્થિતિનો અનુભવ કરી શકે છે. ત્રણ કલાક સુધી ચાલેલી બેઠકમાં સાંસદોને તેમના મંતવ્યો રજૂ કરવા માટે બે-બે મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા સાંસદોએ ટ્રુડોને આગામી ચૂંટણી પહેલાં પદ છોડવાની અપીલ કરી હતી. જો કે ટ્રુડોના સમર્થનમાં પણ ઘણા સાંસદો પણ ઊભા રહ્યા હતા.
છેલ્લે,
છેલ્લા 11 દિવસમાં 255 જેટલી ફ્લાઈટમાં બોમ્બ મૂકવાની ધમકી મળી છે. એમાં 24 ઓક્ટોબર, ગુરુવારે એક જ દિવસમાં 85 ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી છે. આનાથી 600 કરોડથી વધુનું નુકસાન થઈ ચૂક્યું છે. આમાંથી મોટાભાગની ધમકીઓ ખાલિસ્તાનીઓ આપી રહ્યા હોય તેવી સંભાવના છે. જેમાં પન્નુ મુખ્ય છે. સિવિલ એવિએશન મંત્રી રામ નાયડૂએ કહ્યું કે, બધી ધમકીઓ ભલે ખોટી હોય પણ અમે તેને હળવાશમાં ન લઈ શકીએ.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિચર્સ : યશપાલ બક્ષી)