ઇસ્લામાબાદ2 કલાક પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાની સેનાના આ વાહન પર આત્મઘાતી હુમલો કર્યો હતો.
બલૂચ લિબરેશન આર્મી (BLA)એ રવિવારે પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો કરવાનો દાવો કર્યો છે. BLA અનુસાર, તેમના માજીદ બ્રિગેડ અને ફતેહ બ્રિગેડે સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો. આમાં 90 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા.
BLA અનુસાર, ક્વેટાથી કફ્તાન જઈ રહેલા 8 લશ્કરી વાહન પર હુમલો કર્યો હતો. આત્મઘાતી લડવૈયાઓએ નોશ્કીમાં હાઇવે નજીક વાહનોને નિશાન બનાવ્યા. નોશ્કીના એસએચઓ ઝફરઉલ્લાહ સુલેમાનીએ જણાવ્યું હતું કે એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલું વાહન સેનાના કાફલા સાથે અથડાવ્યું હતું.
આ પછી BLAની ફતેહ સ્ક્વોડના લડવૈયાઓએ સેનાના કાફલામાં ઘૂસીને સૈનિકોને મારી નાખ્યા. જે વાહન પર આત્મઘાતી હુમલો કર્યો હતો એ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.
સુલેમાનીના જણાવ્યા મુજબ, ઘાયલોને નોશ્કીની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ વિસ્તારમાં કટોકટી લાગુ કરવામાં આવી છે. માત્ર 5 દિવસ પહેલાં BLAએ એક પેસેન્જર ટ્રેનની હાઇજેક કરી હતી. એમાંથી મહિલાઓ અને બાળકોને બહાર કાઢ્યાં હતાં.

પાકિસ્તાની પોલીસે કહ્યું – ફક્ત 5 સૈનિક માર્યા ગયા બલૂચ આર્મીના દાવાથી વિપરીત પાકિસ્તાની પોલીસે કહ્યું હતું કે રસ્તાની નજીક પડેલો બોમ્બ ફૂટ્યો હતો. ત્યાંથી પસાર થતી સૈનિકોને લઈ જતી એક બસ તેની સાથે અથડાઈ. આ હુમલામાં પાંચ પાકિસ્તાની સૈનિક માર્યા ગયા અને 10 ઘાયલ થયા. મૃતકો અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
છેલ્લા આતંકવાદીને ઠાર ન કરીએ ત્યાં સુધી લડીશું- બલૂચિસ્તાનના મુખ્યમંત્રી બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ કહ્યું હતું કે બલૂચિસ્તાનની શાંતિ સાથે રમત રમનારાઓનો અંત ખૂબ જ ખરાબ થશે. આ કાયર હુમલાઓ અમારી હિંમત તોડી શકશે નહીં. અમે કોઈપણ કિંમતે શાંતિ જાળવી રાખીશું. આ યુદ્ધ છેલ્લો આતંકવાદી માર્યો ન જાય ત્યાં સુધી ચાલુ રહેશે.

પાંચ દિવસ પહેલાં BLAએ ટ્રેનને હાઇજેક કરી હતી આ પહેલાં 11 માર્ચે, BLAએ ક્વેટાથી પેશાવર જતી જાફર પેસેન્જર ટ્રેનને હાઇજેક કરી હતી. મંગળવારે સવારે 9 વાગ્યે જાફર એક્સપ્રેસ ક્વેટાથી પેશાવર જવા રવાના થઈ હતી. સિબી પહોંચવાનો સમય બપોરે 1:30 વાગ્યાનો હતો.
આ પહેલાં બપોરે લગભગ 1 વાગ્યે, બલૂચ લિબરેશન આર્મીએ બલૂચિસ્તાનના બોલાન જિલ્લાના મશ્કાફ વિસ્તારમાં આ હુમલો કર્યો હતો. આ એક પહાડી વિસ્તાર છે, જ્યાં 17 ટનલ છે, એના કારણે ટ્રેન ધીમી ગતિએ ચલાવવી પડે છે. આનો ફાયદો ઉઠાવીને BLAએ ટ્રેન પર હુમલો કર્યો.
સૌપ્રથમ બલૂચ આર્મીએ મશ્કાફમાં ટનલ નંબર-8માં રેલવે ટ્રેક ઉડાવી દીધો. આ કારણે જાફર એક્સપ્રેસ પાટા પરથી ઊતરી ગઈ. આ પછી BLAએ ગોળીબાર શરૂ કર્યો. ગોળીબારમાં ટ્રેન ડ્રાઈવર પણ ઘાયલ થયો હતો.
આ ટ્રેનમાં સુરક્ષા દળો, પોલીસ અને ISI એજન્ટો મુસાફરી કરી રહ્યા હતા. બધા પંજાબ જઈ રહ્યા હતા. તેમણે BLA હુમલાનો જવાબ આપ્યો, પરંતુ BLAએ ટ્રેન કબજે કરી લીધી. આ દરમિયાન ઘણા સુરક્ષાકર્મચારીઓ માર્યા ગયા.
ઘટનાની માહિતી મળતાં પાકિસ્તાની સેનાએ જમીન પરથી BLA પર ગોળીબાર કર્યો અને હવામાંથી બોમ્બ પણ છોડ્યા, પરંતુ BLA લડવૈયાઓએ કોઈક રીતે સેનાના ભૂમિ ઓપરેશનને અટકાવી દીધું.
ગયા વર્ષે 25 અને 26 ઑગસ્ટ 2024ની રાત્રે BLAએ આ ટ્રેનના રૂટ પર કોલપુર અને માખ વચ્ચેનો પુલ ઉડાવી દીધો હતો. એના કારણે ટ્રેન સેવા બંધ થઈ ગઈ હતી. 11 ઓક્ટોબર 2024થી ટ્રેન સેવા ફરી શરૂ કરી હતી.

બલૂચિસ્તાન લિબરેશન આર્મી શું છે? બલૂચિસ્તાનના ઘણા લોકો માને છે કે ભારત-પાકિસ્તાનના ભાગલા પછી તેઓ એક સ્વતંત્ર દેશ તરીકે રહેવા માગતા હતા, પરંતુ તેમની સંમતિ વિના તેમને પાકિસ્તાનમાં સામેલ કરવામાં આવ્યા. સ્વતંત્ર દેશ બન્યો નહીં અને તેથી બલૂચિસ્તાનમાં સેના અને લોકો વચ્ચેનો સંઘર્ષ આજે પણ ચાલુ છે.
BBCના મતે બલૂચિસ્તાનમાં આઝાદીની માગણી કરતાં ઘણાં સંગઠનો છે, પરંતુ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સૌથી શક્તિશાળી સંગઠન છે. આ સંગઠન 70ના દાયકામાં અસ્તિત્વમાં આવ્યું હતું, પરંતુ 21મી સદીમાં તેનો પ્રભાવ વધ્યો છે.
BLA બલૂચિસ્તાનને પાકિસ્તાની સરકાર અને ચીનથી મુક્ત કરાવવા માગે છે. તેઓ માને છે કે બલૂચિસ્તાનનાં સંસાધનો પર તેમનો અધિકાર છે. પાકિસ્તાન સરકારે 2007માં બલૂચિસ્તાન લિબરેશન આર્મીને આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કર્યું હતું.

ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સમાં પાકિસ્તાન બીજા ક્રમે સિડની સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ (GTI) રિપોર્ટ 2025માં પાકિસ્તાનને વિશ્વમાં બીજા ક્રમનો સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત દેશ તરીકે વર્ણવવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત વિસ્તારો છે. દેશભરમાં થયેલી કુલ આતંકવાદી ઘટનાઓમાંથી 90% ઘટનાઓ આ વિસ્તારમાં બની હતી.
આ અહેવાલમાં સતત બીજા વર્ષે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને પાકિસ્તાનનું સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. 2024માં જૂથે 482 હુમલા કર્યા, જેમાં 558 લોકોનાં મોત થયાં, જે 2023 કરતાં 91% વધુ છે.